મહેસાણાનું ઊંઝા એટલે પાટીદારોનું ગઢ. પાટીદારોનાં ગઢ એવા ઊંઝામાં રાજકારણ ગરમાયું છે. અપક્ષનાં ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર તો બીજી તરફ પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી લડનાર પાટીદાર ઉમેદવાર છે. ત્યારે ઊંઝાનાં પાટીદારો કોના પર કળશ ધોળે તે જોવું રહ્યું.
મહત્વનું છે કે ઊંઝામાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ઊંઝાની આ ચૂંટણી જંગમાં સૌની નજર મંડાઈ છે. તેમાં પણ અપક્ષમાંથી પાટીદાર ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપનાં આશાબેન પટેલ અને કોંગ્રેસનાં કામુ પટેલ હવે સીધા મેદાને આવતા ઉંઝાની ચૂંટણીમાં કસમકશ જોવા મળશે. એક તરફ કોંગ્રેસમાં ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય રહી ચૂકેલા આશાબેન પટેલ છે કે જેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાં બાદ ફરીથી આ જ બેઠક પરથી ભજઓમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
કોંગ્રેસમાં ચૂંટણી લડ્યાં દરમ્યાન પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો. જો કે, હવે ઊંઝામાં એવો કોઈ જુવાળ નથી. પરંતુ સ્થાનિક પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલની નારાજગીનો સામનો કરવાનો છે. ત્યારે ઊંઝાનાં પાટીદારો કોને મત આપે છે તે જોવું રહ્યું. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ઊંઝા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કામુ પટેલ કે જેઓ પ્રથમ વાર વિધાનસભા બેઠક માટેની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનાં માટે પણ ઊંઝાનાં પાટીદારોનો સાથ મેળવવા તનતોડ મહેનત કરવી પડે તેમ છે. જેઓ પ્રતિસ્પર્ધી ઉમેદવાર પર આક્ષેપ કરવાની જગ્યાએ ઊંઝાનાં કામો પર ધ્યાન આપી સ્થાનિક મુદ્દાઓ સાથે ચૂંટણી રથમાં આગળ વધી રહ્યાં છે.
ઊંઝામાં અત્યાર સુધી છેલ્લાં 5 ટર્મથી નારાયણ પટેલ ધારાસભ્ય રહી ચૂક્યાં છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં આશા પટેલ સામે તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આશા પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેન પટેલે ફરીથી આ જ બેઠક પરથી ટિકિટ મેળવ્યાં પહેલાં નારાયણ પટેલ જૂથ દ્વારા આડકતરી રીતે ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
જો કે, ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પણ આશાબેન પટેલને જ ટિકિટ મળ્યાં બાદ સ્થાનિક લોકો જે આશા પટેલને ટિકિટ નહીં આપવાની માંગ કરી રહ્યાં હતાં. તેવાં લોકો પણ હવે અચાનક ગાયબ થઈ ગયેલાં જોવાં મળી રહ્યાં છે અને જાણે પાર્ટીમાંથી જ કોઈ દબાણ આવ્યું હોય તેમ આશા પટેલને ટિકિટ બાદ આશા પટેલનો વિરોધ કરનાર લવાદ સમિતિ પણ જાણે વિખેરાઈ ગઈ છે. ત્યારે હવે ઊંઝા મત વિસ્તારનાં મતદારો શું માને છે તે જોવું રહ્યું.
આમ, ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીનાં ઉમેદવારોની જાહેરાત 4 એપ્રિલ સુધી સસ્પેન્સ હતી. જો કે, ઉમેદવારીની છેલ્લી તારીખે બંને પક્ષોએ પોતાનાં બાગડ બીલ્લા મેદાને ઉતારી દીધાં હતાં. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ઊંઝાનાં મતદારો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં આશાબેન પટેલને જીતાડે છે કે પક્ષ પલટો કરનાર આશાબેન પટેલનાં વિરોધમાં કોંગ્રેસનાં ઉમેદવારને સમર્થન આપે છે. તે તો ચૂંટણીનાં પરિણામ બાદ જ માલુમ પડશે.