હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા છે ત્યારે હવે મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે.
સોખડા મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચા
સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ અગ્રેસર
ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં
સોખડાના હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને ભક્તોના અંતિમ દર્શન માટે વડોદરાન નજીક આવેલા હરિધામ સોખડા ખાતે મુકવામાં આવ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી રહ્યા છે તો રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ દર્શને આવ્યા હતા ત્યારે હવે હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારીને લઈે ચર્ચાઓ શરૂ થઈ છે.
આ 2 સંતોના નામ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે, નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે. તો ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે.
ત્યાગવલ્લભ સ્વામીનું નિવેદન
નવા ગાદિપતિની ચર્ચામાં ત્યાગવલ્લભ સ્વામીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "હાલ કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું એક નાનો સેવક છું. તો નવા ગાદિપતિનું નામ સંતોની બેઠકમાં નક્કી થશે તેવી વાત પણ તેમણે કહી હતી.
1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ
હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવનાર છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવશે. પ્રદેશ પ્રમાણે, દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરાયો છે.
છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત
હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
1934માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.