WHOએ કહ્યું કે મચ્છર અને જંતુઓ દ્વારા ફેલાતા રોગો આગામી મહામારી સાબિત થવાની સંભાવનાની યાદીમાં ટોચ પર
WHOએ ભવિષ્યની મહામારી અંગે આપી ચેતવણી
મચ્છર અને જંતુઓથી થતી બીમારીથી મહામારીનો ખતરો
ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધુ ખતરો
હજી તો વિશ્વ કોરોના વાયરસના કહેરમાંથી બહાર આવ્યુ નથી ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવી એક મહામારીને લઇને ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આગામી સમયમાં જંતુઓથી ફેલાતા રોગો જોખમ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બીમારીઓ આગામી મહામારીનું કારણ બની શકે છે. આ રોગોમાં ઝિકા, યલો ફીવર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો સમાવેશ થાય છે. જે મચ્છરો અને જંતુઓ દ્વારા ફેલાય છે. ઝીકા વાયરસ આફ્રિકન દેશોમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં WHOની ચેતવણી બાદ દુનિયાભરના દેશો ચિંતામાં જોવા મળ્યા.
આ વિસ્તારોમાં જોખમ વધારે
WHOએ કહ્યું કે મચ્છર અને જંતુઓ દ્વારા ફેલાતા રોગો આગામી મહામારી સાબિત થવાની સંભાવનાની યાદીમાં ટોચ પર છે. ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં રહેતા લોકો ખાસ કરીને જોખમમાં છે. આ વિસ્તારોમાં દુનિયાના ઘણા દેશો આવે છે જ્યાં લગભગ 400 કરોડ લોકો રહે છે. ત્યારે નિષ્ણાંતો કોવિડ -19 ના પુનરાવર્તનને રોકવા માટે વ્યૂહરચના બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
'અનેક રોગોએ ચેતવણીઓ આપી, પણ અમે તૈયારી ન કરી'
WHO ખાતે વૈશ્વિક ચેપી સંકટ તૈયારી ટીમના ડિરેક્ટર ડૉ. સિલ્વી બ્રાયન્ડે કહ્યું કે અમે બે વર્ષથી કોવિડ-19 મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને અમે કપરી સ્થિતિમાં જીવવાનું શીખ્યા છીએ. ત્યારે હવે ભવિષ્યમાં થનારા નુકસાનથી બચવા માટે આપણે પહેલેથી જ પુરતી તૈયારી કરવાની જરુર છે. 2003માં સાર્સ બીમારી બાદ આગળની મહામારી સામે તૈયારી રાખવો મોકો મળ્યો હતો. ઈન્ફલ્યુએન્ઝા 2009 રોગચાળાએ પણ ચેતવણી આપી હતી, પરંતુ આપણે કોઈ તૈયારી કરી નહી..
મચ્છર અને જીવજંતુથી ફેલાતી બીમારી બનશે જોખમી
WHOની નવી ગ્લોબલ આર્બોવાયરસ પહેલના શુભારંભ દરમિયાન તેમણે કહ્યું કે આગામી રોગચાળો આર્બોવાયરસને કારણે થઈ શકે છે. આમાં મચ્છર અને જંતુઓથી થતા રોગોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી પાસે એવા પણ કેટલાક સંકેતો છે જે જોખમ વધારી રહ્યા છે. WHOની નવી ગ્લોબલ આર્બોવાયરસ પહેલની રચનાનો ઉદ્દેશ્ય જંતુઓથી થતા જોખમોનો સામનો કરવા માટે કામ કરવાનો છે.
અત્યાર સુધીમાં આ બીમારીઓએ મચાવી છે તબાહી
મહત્વનું છે કે ઝિકા વાયરસે 2016 માં 89 થી વધુ દેશોમાં વિનાશ સર્જ્યો હતો. જ્યારે વર્ષ 2000 થી યલો ફિવરના કેસ વધી રહ્યા છે. આ બીમારી વિશ્વના 40 દેશોમાં ફેલાવાનું જોખમ વધારે છે. જેના કારણે દર્દીને કમળો અને લોહીની ઉલ્ટી થાય છે. ડેન્ગ્યુ દર વર્ષે 130 દેશોમાં 390 મિલિયન લોકોને પણ ચેપ લગાડે છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. ચિકનગુનિયાથી ભલે મોત ઓછા થાય પરંતુ તેની અસર 115 દેશોમાં જોવા મળે છે.