વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના વિશેષ એમ્બેસેડર ડોકટર ડેવિડ નાબરોએ કહ્યું હતું કે ભારતમાં આટલી વહેલી તકે લોકડાઉનનું અમલીકરણ ખૂબ જ દુરંદેશી વિચાર તેમજ સરકાર દ્વારા લેવાયેલો એક હિંમતભર્યો નિર્ણય છે. આ નિર્ણયથી ભારતના લોકોને કોરોના વાયરસ સામે મજબૂત લડત લડવાની તક મળશે. બીજી તરફ કોરોના મુદ્દે ચીનની તરફદારી કરવા બદલ WHOથી જાપાન નારાજ છે. જાપાનના નાયબ પ્રધાનમંત્રીએ WHOને તેમનું નામ બદલીને ચાઇનીઝ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કરી નાખવાની ટિપ્પણી કરી હતી.
કોરોનાવાયરસના ચેપને રોકવા માટે મોદી સરકારે ગયા મહિનાથી દેશભરમાં 21 દિવસનો લોક ડાઉન લાગુ કર્યો છે. સરકારના આ નિર્ણયની વિરોધી પક્ષોએ ટીકા પણ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે કોઈ તૈયારી કર્યા વિના લોક ડાઉનની જાહેરાત કરી હતી. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના વિશેષ એમ્બેસેડર ડોકટર ડેવિડ નાબરોએ કહ્યું હતું કે ભારતમાં આટલી વહેલી તકે લોક ડાઉનનું અમલીકરણ ખૂબ જ દુરંદેશી વિચાર તેમજ સરકાર દ્વારા લેવાયેલો એક હિંમતભર્યો નિર્ણય છે. આ નિર્ણયથી ભારતના લોકોને કોરોના વાયરસ સામે મજબૂત લડત લડવાની તક મળશે.
"ભારતની સારું પગલું"
ડેવિડ નબારોએ કહ્યું કે, 'ભારતમાં લોક ડાઉન ખૂબ જ ઝડપથી લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે અહીં કોરોનાના બહુ ઓછા કેસો હતા ત્યારે આ લાગુ કરવામાં આવ્યું. તે ચોક્કસપણે ભારતનો દુરંદેશી નિર્ણય હતો. આ નિર્ણય દ્વારા લોકોને તેના ખતરા વિશે યોગ્ય રીતે જાણ થશે. આ કિસ્સામાં તેને સ્થાનિક રૂપે રોકવામાં મદદ મળશે. તે સાચું છે કે ઘણા લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. સરકારનું આ એક સાહસિક પગલું છે. કામદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. પરંતુ જો મોડું લોકડાઉન થયું હોત તો ઘણા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હોત અને તે મોટા પાયે વાયરસ ફેલાઈ પણ ગયો હોત.
ઘણા દેશોએ લોક ડાઉનનું પાલન કર્યું નથી
ડેવિડ નબારોએ કહ્યું કે ત્રણ અઠવાડિયાનું લોક ડાઉન એ યોગ્ય વ્યૂહરચના છે. નબારોનું એમ પણ માનવું છે કે ઘણા દેશોમાં લોકડાઉનનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. તેમનો ઈશારો યુરોપ અને અમેરિકા તરફ હતો. ત્યાં દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1480 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
શું આ યુદ્ધનો અંત આવશે?
તેઓ એમ પણ માને છે કે આ ખતરનાક વાયરસનો ચેપ આગામી દિવસોમાં સમાપ્ત થવાનો નથી. નબારોના જણાવ્યા મુજબ, આ વાયરસ વિશે હમણાં કંઇ કહી શકાય એમ નથી. તેમણે કહ્યું, 'મને ખબર નથી કે ઉનાળામાં શું થશે. આ વાયરસ હાલમાં ફક્ત 4 મહિનાનો છે. હું એ જોવા માંગુ છું કે ઉનાળાની ઋતુમાં ભારતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. શું સંક્રમણ ઓછું થશે? કે તે બદલાશે નહીં? આ સવાલ ઉપર સૌની નજર છે.
કોરોના મુદ્દે ચીનની તરફદારી કરવા બદલ WHOથી જાપાન નારાજ
WHO કોરોના વાયરસને ચીન સાથે ન સાંકળવા માટે વારંવાર અપીલ કરે છે. આ મુદ્દે જાપાનના નાયબ પ્રધાનમંત્રીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો WHOએ સમયસર વિશ્વને જાણ કરી હોત કે ચીનથી આવો એક વાયરસ આવી રહ્યો છે તો આટલી ખાનાખરાબી ન સર્જાઈ હોત. તેમણે WHOને તેમનું નામ બદલીને ચાઇનીઝ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કરી નાખવાની પણ ટિપ્પણી કરી હતી.