કોણ પૃથ્વી કરતાં વધુ ભારે, આકાશ કરતાં વધુ ઊંચો, વાયુ કરતાં વધુ ઝડપી અને તરણાં કરતાં પણ વધારે તુચ્છ છે? યુધિષ્ઠિરઃ માતા પૃથ્વી કરતાં ભારે, પિતા આકાશ કરતાં ઊંચા, મન વાયુ કરતાં ઝડપી અને ચિંતા તરણાં કરતાં પણ વધુ તુચ્છ છે.
યક્ષનો સવાલઃ સૂર્યને ઊંચે કોણ ઉદય પમાડે છે, એની આસપાસ કોણ સહાયક સાથીઓ છે અને કોણ તેને અસ્ત પમાડે છે અને તે શેમાં સ્થિત રહે છે? યુધિષ્ઠિરનો જવાબઃ સૂર્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે, દેવો તેના સહાયકર્તા સાથીઓ છે. ધર્મ તેને અસ્ત પમાડે છે અને સત્યને આધારે તે પ્રતિષ્ઠિત રહે છે. યક્ષનો સવાલઃ મનુષ્ય શાનાથી શ્રોત્રિય થાય છે, શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે, શાથી તે સહાયવાન અને બુદ્ધિવાન થાય છે?
ધર્મનો જવાબઃ વેદાધ્યનથી મનુષ્ય શ્રોત્રિય થાય, તપથી તેને મહત્પ્રાપ્તિ થાય, ધૃતિથી સહાયવાન થાય અને વૃદ્ધોની સેવાથી તે બુદ્ધિમાન થાય છે. યક્ષનો સવાલઃ બ્રાહ્મણોનું દેવત્વ શું છે, તેમનામાં ધર્મ, મનુષ્યભાવ, દુર્જનોનાં જેવું આચરણ શું છે? ધર્મનો જવાબઃ વેદોનો સ્વાધ્યાય બ્રાહ્મણોનું દેવત્વ, તપસ્યા સત્પુરુષોના જેવો ધર્મ, મરણ એ તેમનામાં મનુષ્યભાવ અને નિંદા એ તેમનામાં દુર્જનો જેવું આચરણ છે. યક્ષનો સવાલઃ યજ્ઞ સંબંધી મુખ્ય સામ કયો છે, મુખ્ય યજુર્મંત્ર કયો છે, યજ્ઞને કઈ વસ્તુ સ્વીકારે છે અને યજ્ઞ કઈ વસ્તુનું ઉલ્લંઘન કરતો નથી? ધર્મનો જવાબઃ પ્રાણ યજ્ઞનો મુખ્ય સામ, મન એ મુખ્ય યજુર્મંત્ર, ઋગ્વેદની મુખ્ય ઋચા જ યજ્ઞને સ્વીકારે છે અને યજ્ઞ એ ઋચાનું ઉલ્લંઘન કરતો નથી.
યક્ષનો સવાલઃ કયો મનુષ્ય લોકમાં પુજાયેલો અને માન પામેલો છતાં જીવતો મરેલો છે? જવાબઃ જે મનુષ્ય દેવ, અતિથિ, પોષ્યવર્ગ, પિતૃઓ અને પોતાનો પંડ એ પાંચને કંઈ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે. યક્ષઃ કોણ પૃથ્વી કરતાં વધુ ભારે, આકાશ કરતાં વધુ ઊંચો, વાયુ કરતાં વધુ ઝડપી અને તરણાં કરતાં પણ વધારે તુચ્છ છે? યુધિષ્ઠિરઃ માતા પૃથ્વી કરતાં ભારે, પિતા આકાશ કરતાં ઊંચા, મન વાયુ કરતાં ઝડપી અને ચિંતા તરણાં કરતાં પણ વધુ તુચ્છ છે.
યક્ષઃ ભૂત માત્રનો અતિથિ કોણ, સનાતન ધર્મ કયો, અમૃત શું અને આ સર્વ જગત શું છે? યુધિષ્ઠિરઃ અગ્નિ ભૂત માત્રનો અતિથિ, મોક્ષ ધર્મ સનાતન ધર્મ, ગાયનું દૂધ અમૃત અને વાયુ એ સર્વ જગત છે. યક્ષઃ ધર્મ, યશ, સ્વર્ગ અને સુખનું મુખ્ય સ્થાન શું છે? યુધિષ્ઠિરઃ દક્ષતા ધર્મનું, દાન એ યશનું, સત્ય એ સ્વર્ગનું અને શીલ એ સુખનું મુખ્ય સ્થાન છે. યમઃ મનુષ્યનો આત્મા કોણ છે? ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન, ઉત્તમ ધન, ઉત્તમ લાભ અને ઉત્તમ સુખ શું છે? યુધિષ્ઠિરઃ દક્ષતા ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન, વિદ્યા ઉત્તમ ધન, આરોગ્ય ઉત્તમ લાભ અને સંતોષ ઉત્તમ સુખ છે.
યક્ષઃ ધર્મ, અર્થ અને કામ એ પરસ્પર વિરોધી છે તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે એકત્ર સંગમ થાય? યુધિષ્ઠિરઃ જ્યારે ધર્મ અને ભાર્યા(જીવનસંગિની) બંને પરસ્પર અનુકુળ રહીને વર્તે ત્યારે ધર્મ, અર્થ અને કામનો એકત્ર સમાગમ થાય. યક્ષઃ ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે, કોને ધૈર્ય કહ્યું છે, તેમણે ઉત્તમ સ્નાન ક્યું કહ્યું છે અને કોને તેઓ આ લોકમાં દાન કહે છે? યુધિષ્ઠિરઃ સ્વધર્મમાં સ્થિરતાને ઋષિઓએ સ્થૈર્ય કહ્યું છે, ઇન્દ્રિય નિગ્રહને ધૈર્ય, મનના મેલના ત્યાગને ઉત્તમ સ્નાન અને પ્રાણી માત્રનાં રક્ષણને તેઓ આ લોકમાં દાન કહે છે. યક્ષ-ધર્મ સંવાદમાં યક્ષ યુધિષ્ઠિરને ૧૦૦ કરતાં વધુ સવાલો પૂછે છે અને યુધિષ્ઠિરે દરેક સવાલના જવાબ ક્ષણ માત્રનો વિલંબ કર્યા વગર આપે છે. યુધિષ્ઠિર પાસે પોતિકી એકાંતની સાધના હતી તેથી તે બધા પ્રશ્નોના જવાબો આપી શક્યા.
આ પ્રશ્નોત્તરીનું વારંવાર એકાંતે ચિંતન કરવા જેવું છે. નારદ યુધિષ્ઠિર સંવાદ, યુધિષ્ઠિરના માર્કંડેયને પ્રશ્ન વગેરેમાં મહાભારતમાં યુધિષ્ઠિરની તીર્થયાત્રા અને વનપર્વનો મહિમા વાંચતા એ સહજ પ્રતીતિ થાય છે કે યુધિષ્ઠિર આજીવન એકાંતસેવી જ રહ્યા છે. એને સતી દ્રોપદી, હસ્તિનાપુરની ગાદી, રાજની ખટપટો... કશું જ સ્પર્શતું નથી. રાજ્યશાસનમાં યુધિષ્ઠિર ખીલતા નથી, વન વિચરણમાં ફરજિયાત આવી પડેલા કે જાતે મેળવેલા એકાંતવાસમાં તેઓ અનેકાનેક વિજ્ઞાનીઓને શરમાવે તેવી જિજ્ઞાસા અને ત્વરાથી જીવન અને પરમ તત્વના નિગૂઢ અર્થોને પામવાનો સતત પ્રયાસ કરતા રહે છે. એ જ કારણ હતું કે હેમાળે હાડ ગાળવા સતી સાથે નીકળેલા પાંચેય પાંડવોમાં ધર્મનાં દ્વાર સુધી માત્ર તેઓ એકલા જ પહોંચી શક્યા.•