મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગુરુવારે સાંજે લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લઇને 'પિતા બાલાસાહેબ ઠાકરેને કરેલું વચન' પૂર્ણ કરવાના છે.
મહારાષ્ટ્રની રાજનીતિને અત્યાર સુધી 'રિમોટ કંટ્રોલ' થી ચલાવનારી શિવસેનાના આ અધ્યક્ષની સફર કેવી રહી અહીં જાણીએ.
આજે લખ્યો ઇતિહાસ, ક્યારેક તંત્રી હતા ઉદ્ધવ
પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે બાદ પાર્ટીની કમાન સંભાળનારા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટી જીતની ક્ષણ છે. ઉદ્ધવ બાલા કેશવ ઠાકરેનો જન્મ 27 જુલાઇ 1960ના દિવસે મુંબઇમાં થયો હતો. તેઓને 2003માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા પહેલા કદાચ જ કોઇ જાણતુ હશે. રાજનીતિમાં આવતા પહેલા ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મુખપત્ર 'સામના' નું કામ જોતા હતા. ઉદ્ધવ ઠાકરે પ્રોફેશનલ ફોટોગ્રાફર અને લેખક છે.
પુત્રને બનાવ્યો પરિવારનો પહેલો ધારાસભ્ય
ઉદ્ધવના લગ્ન એક બિઝનેસમેન માધવ પાટનકરની પુત્રી રશ્મિ સાથે 13 ડિસેમ્બર 1989ના દિવસે થયા હતા. રશ્મિએ 1987માં એલઆઇસીમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તેમની મુલાકાત એમએનએસ ચીફ રાજ ઠાકરેની બહેન જયવંતી સાથે થઇ. બાદમાં રશ્મિ ઉદ્ધવ ઠાકરેને મળ્યા. લગ્ન બાદ બે પુત્ર આદિત્ય અને તેજસ થયા. આદિત્ય ઠાકરે પહેલા એવા ઠાકરે બની ગયા જેમણે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું અને વર્લી વિધાનસભા બેઠક પરથી વિજય મેળવ્યો.
પહેલીવાર મેળવી સફળતા
2012માં બાલા ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ બન્યા હતા. ઉદ્ધવ ઠાકરેને પહેલીવાર 2002માં મુંબઇ નગર નિગમની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી અને શિવસેનાને તેમા ભારે સફળતા મળી. જોકે, આ દરમિયાન ઉદ્ધવ મોટાભાગનો સમય 'સામના' ને આપી રહ્યા હતા. ત્યારબાદ 2004માં બાલા ઠાકરેએ પોતાના ભત્રિજા રાજ ઠાકરેથી અલગ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના અધ્યક્ષ જાહેર કરી દીધા હતા.
પહેલા 40 વર્ષ નહોતી કોઇ ઓળખ
આ પહેલા 2003માં ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરી દેવામાં આવ્યા હતા. રસપ્રદ વાત છે કે, ઉદ્ધવ પોતાના જિંદગીના શરુઆતના 40 વર્ષ પાર્ટીથી દુર રહ્યા હતા અને તેઓને કોઇ જાણતુ નહોતું. ઉદ્ધવ ઠાકરેના પાર્ટીના અધ્યક્ષ બનવાથી તમામ ચોંકી ગયા હતા. ત્યારે માનવામાં આવતું હતું કે તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે આ પદ પર હશે, પરંતુ બાલા સાહેબના નિર્ણયે તમામને ચોંકાવી દીધા હતા. રાજ ઠાકરેએ બાદમાં ખુદની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવી લીધી.
વલણ બદલ્યું તો મેળવ્યું પદ
ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની કમાન સંભાળ્યા બાદ કટ્ટર હિન્દુત્વવાદી સ્ટેન્ડને નરમ કર્યું. કદાચ આ જ કારણ છે કે કોંગ્રેસ અને એનસીપી જેવી પાર્ટીઓ વિચારધારામાં ટકરાવ છતા શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લઇ શકી. આ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ઠાકરે પરિવારના કોઇ સભ્ય (આદિત્ય ઠાકરે)ને ચૂંટણી મેદાનમાં ઉતારીને તેઓએ દાયકા જુની પરંપરા તોડી દીધી. હવે સીએમ પદ સંભાળવાની સાથે જ 'રિમોટ કંટ્રોલ' રાજનીતિથી બહાર આવી સત્તા ચલાવવાની જે નીતિ ઉદ્ધવ ઠાકરે ચલાવી છે, તેના પર આખા મહારાષ્ટ્રની નજર ટકી છે.