વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો જીવના જોખમે રસ્તા પર મોતની જાણે સવારી કરી રહ્યા છે. સરકાર અને વહીવટી તંત્ર રસ્તાઓના સમારકામ અને નિર્માણ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે..પરંતુ આ બજેટનો વપરાશ જાણે ખાડે જાય છે.
દર વર્ષે કરોડો રૂપિયાની લ્હાણી થાય છે પરંતુ આ રૂપિયા ક્યાં વપરાય છે અને ક્યારે વપરાય છે તેનો કોઈ હિસાબ નથી. હિસાબ હશે તો કામ નહીં થયું હોય. કામ થયું હશે તો રોડ તૈયાર નહીં થયા હોય. આ સવાલો મહામંથનના મંચથી ઉઠતા જ રહ્યા છે અને ઉઠશે. પરંતુ આજે રાજ્યના રસ્તાઓની સ્થિતિ પર કેટલાક ગંભીર પ્રશ્નો પણ થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ છે કે પ્રજા ટેક્સ પેટે પૈસા ચુકવે છે તો અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. પ્રજાના પૈસાનો વપરાશ ક્યાં થાય છે. ટેક્સ ભરનારી જનતા અસુવિધા કેમ ભોગવે?. અસુવિધાઓના કિસ્સાઓ ક્યાં સુધી જોવા મળશે. રસ્તાઓની સ્થિતિથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ છે...આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન