8 માર્ચે બીજી વખત ત્રિપુરાના સીએમ બનેલા માણિક સાહા 7 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. માણિક સાહાની એક ડોક્ટરથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની રાજકીય સફર ઘણી રસપ્રદ રહી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા માણિક સાહા
રાજ્યપાલે લેવડાવ્યા મુખ્યમંત્રી પદના શપથ
7 વર્ષ પહેલા જોડાયા હતા ભાજપમાં
ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય દળના નેતા માણિક સાહાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. છ વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા માણિક સાહા બીજી વખત ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા છે. માણિક સાહાની એક ડોક્ટરથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની રાજકીય સફર ઘણી રસપ્રદ રહી છે.
Manik Saha takes oath as Tripura CM for second consecutive time
2022માં બિપ્લબ દેવને હટાવીને માણિક સાહાને બનાવાયા હતા CM
2022માં જ્યારે ભાજપે ત્રિપુરામાં ભાજપના લોકપ્રિય નેતા બિપ્લબ દેવને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આનું એક કારણ એ પણ હતું કે, સાહા 7 વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ જેવા કેડર આધારિત પક્ષમાં કોઈએ અપેક્ષા નહોતી કરી કે તેઓ આટલા જલ્દી મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચશે.
2016માં જોડાયા હતા ભાજપમાં
માણિક સાહા 2016માં ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. આ એવો સમય હતો જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે બે વર્ષ બાદ 2018ની ચૂંટણીઓમાં ભાજપ ડાબેરીઓના આ ગઢ જીતી લેશે. 2018માં ભાજપની સરકાર બની અને બિપ્લબ દેવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે સમય સુધી બિપ્લબ દેવ જ ત્રિપુરા ભાજપના અધ્યક્ષ હતા. 2020માં માણિક સાહાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે સૌથી પહેલા ભાજપના સંગઠનને મજબૂત કરવાનું કામ શરૂ કર્યું.
2023ની ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતું નહોતું ભાજપ
2022માં ભાજપે જાહેરાત કરી કે તે બિપ્લબ દેવની જગ્યાએ માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવા જઈ રહ્યા છે. આ સમયે બિપ્લબ દેવ સામે અસંતોષની ચર્ચાઓ થવા લાગી હતી. પાર્ટી 2023ની ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માંગતી નહોતી. માણિક સાહાનું નામ એક એવા ચહેરા તરીકે ઉભરી આવ્યું જે બધાને ગમ્યું અને તેમને મુખ્યમંત્રી તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો. એવું કહેવાય છે કે મૃદુભાષી માણિક સાહાની છબીએ સત્તા વિરોધી લહેર ઘટાડવા માટે ઘણું કામ કર્યું.
ડેન્ટિસ્ટ છે ત્રિપુરાના મુખ્યમંત્રી
બે વખત ત્રિપુરાના મુખ્યમંત્રી બનેલા માણિક સાહા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેમણે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ (હવે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી)થી અભ્યાસ કર્યો છે. તેઓ એક ખેલાડી પણ છે. તેઓ ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.