ગુજરાત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને કોરોના થતા ચાર્જ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.
મનોજ અગ્રવાલ કોરોનાગ્રસ્ત થતા મુકેશ કુમારને ચાર્જ
આરોગ્ય વિભાગના અધિક મુખ્ચિ સચિવને કોરોના
મનોજ અગ્રવાલ હોમક્વૉરન્ટાઇન
રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. બોલિવુડ સેલિબ્રિટી સહિત નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ મંગળવારે સાંજે પોઝિટીવ આવ્યો હતો. જેને લઇને હવે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. હાલ કોરોનાગ્રસ્ત મનોજ અગ્રવાલ હોમક્વોરોન્ટાઈન છે. મનોજ અગ્રવાલ સહિત પાંચ જેટલા IAS અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ IAS અધિકારીઓનો કોરોનાગ્રસ્ત
જે.પી. ગુપ્તા, પ્રિન્સિપાલ સેક્રેટરી,ફાઇનાન્સ
હારિત શુક્લા,સેક્રેટરી, ટુરિઝમ
જયપ્રકાશ શિવહરે,કમિશનર, હેલ્થ
રાજકુમાર બેનિવાલ, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી
કોરોનાને લઇને ફફડાટ
ગુજરાતમાં એક તરફ વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી છે. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. તેવામાં અધિકારીઓને કોરોના થતા સચિવાલય સ્ટાફ સહિત મંત્રીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. મનોજ અગ્રવાલ સહિત પાંચ IAS ઘણા લોકોને મળ્યા હશે જેથી સંપર્કમાં આવેલા લોકો પણ કોરોનાનો ભોગ બને તેવી ભીતિ સેવાઇ છે.
છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.
હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર
રાજ્યમાં હાલમાં કુલ 7881 એક્ટિવ કેસો છે તો હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 7863 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. તો કુલ 8,19,287 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો બીજી બાજુ કુલ 10,125 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ રોજ એક જ દિવસમાં 240 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે તો 2265 નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. તો આજ રોજ 8,73,457 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.