ચીનમાં કોરોના વાઈરસનો કહેર જારી છે. ઘાતક કોરોના વાઈરસના તાંડવથી ચીનમાં અત્યાર સુધીમાં ૨૧૫ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસના કેસ સતત સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક મોટો નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ચીનના કોરોના વાઈરસને ‘ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી’એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી દીધી છે. ડબ્લ્યુએચઓની આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમન ઈર્જન્સી કમિટીની બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચીનના વુહાનમાં અંદાજે ૫૦૦ ભારતીયો હજુ પણ ફસાયેલા છે
ચીનના વુહાનમાં અંદાજે ૫૦૦ ભારતીયો હજુ પણ ફસાયેલા
ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે બપોરે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ચીન જશે. ચીનના વુહાનમાં અંદાજે ૫૦૦ ભારતીયો હજુ પણ ફસાયેલા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૬૯૨લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. બિજિંગમાં ભારતીય રાજદૂતે કહ્યું છે કે, આજે સાંજથી ભારતીયોને ચીનની બહાર કાઢવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. પહેલી ફ્લાઈટથી તે ભારતીયોને બહાર લાવવામાં આવશે, જેઓ વુહાનની આસપાસ રહે છે અને ભારત પરત ફરવા માંગે છે. ત્યારબાદ બીજી ફ્લાઈટ મોકલવામાં આવશે.
ચીનના હુબેઈ શહેરમાં સૌથી વધારે ૨૦૪ લોકોનાં મોત થયાં છે
ચીનના હુબેઈ શહેરમાં સૌથી વધારે ૨૦૪ લોકોનાં મોત થયાં છે અને અહીં ૫,૮૦૬ લોકોને વાઈરસનું ઈન્ફેક્શન લાગ્યું હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. આ જીવલેણ વાઈરસનાં લક્ષણો જણાતાં એક લાખથી વધારે લોકોને હાલ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયેસિસે જણાવ્યું હતું કે, સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ વાઈરસ સૌથી ખરાબ આરોગ્ય સુવિધાઓ વાળા દેશમાં જ ફેલાયો છે. જ્યારે બીજી તરફ ચીનનું કહેવું છે કે, તેઓ વાઈરસ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત સહિત ૨૦ દેશોમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાયો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના વાઈરસને ‘ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સી’ જાહેર કરવા પાછળ ચીન પર અવિશ્વાસ છે એવી કોઈ વાત નથી. ડબ્લ્યુએચઓ ચીનની સરકારે આ વાઈરસ સામે લડવા કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે અને તેની પ્રશંસા કરવી જ જોઈએ. ચીનની જેમ અન્ય દેશો આ વાઈરસ સામે લડવા માટે કદાચ સક્ષમ ન પણ હોય એ કારણે અમે આ નિર્ણય લીધો છે. દુનિયાભરમાં નવ હજારથી પણ વધુ દર્દીઓને હાલ મદદની જરૂર છે.
ઈટલીમાં એક ક્રૂઝમાં ચીની દંપતીની તબિયત અચાનક ખરાબ થતાં તેમને ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે. ક્રૂઝ પણ ત્યાં જ રોકી દેવામાં આવ્યું હોવાથી તેમાં ૬,૦૦૦થી વધુ લોકો ફસાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના વાઈરસના ડરના કારણે ક્રૂઝને સિબિટાવેકિયા વિસ્તારમાં રોકી રાખવામાં આવ્યું છે.
ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે
કોરોના વાઈરસને ‘ગ્લોબલ ઈમર્જન્સી’ જાહેર કરવામાં આવ્યા બાદ વાઈરસ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો વધારવામાં આવ્યા છે. વાઈરસ વધારે દેશોમાં ન ફેલાય તે માટે ડબ્લ્યુએચઓ દરેક દેશ સાથે વાતચીત કરીને આગામી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે. વર્ષ ૨૦૦૭માં ચીનમાં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ફેલાયા બાદ પહેલીવાર ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી વર્ષ ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂના કારણે, ૨૦૧૪માં પોલિયો, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઈબોલા અને ૨૦૧૬માં ઝીકા વાઈરસ ફેલાયા બાદ ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.