દુનિયાભરના દેશોમાં જીવલેણ કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ 4,13,623 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો વધીને હવે 73,16,770 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સારવાર લીધા બાદ ૩૬,૦૨,૪૮૦ લોકો સંપૂર્ણ સ્વસ્થ પણ બન્યા છે.
WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું
ઈમરાન અગાઉ જ લોકડાઉનથી ઈનકાર કરી ચૂક્યા છે
લોકડાઉનથી અર્થવ્યવસ્થા સાવ બરબાદ થઈ જશે : ઈમરાન
કોરોના મહામારીથી ત્રસ્ત પાકિસ્તાન માટે બેવડી મુશ્કેલી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ ઈમરાન ખાન સરકારને ફરીથી લોકડાઉન લાગુ કરવા અને તેનો કડક અમલ કરવા જણાવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આ અગાઉ પણ ઘણી વાર ફરી લોકડાઉન લગાવવાનો સાફ ઈનકાર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, ફરી લોકડાઉન લગાવવાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાવ બરબાદ થઈ જશે.
પાકિસ્તાને કહેવા ખાતર તો ગયા મહિને પણ આંશિક લોકડાઉન લાદ્યું હતું, પરંતુ તેની કોઈ અસર ક્યાંય જોવા મળી નહોતી. રમજાન દરમિયાન મસ્જિદો સતત ખુલ્લી રહી હતી અને ઈદ દરમિયાન તમામ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. અહીંના ડોક્ટર્સ એસોસીએશને ગયા મે મહિનાની શરૂઆતમાં જ ઈમરાન સરકારને ગંભીર ચેતવણી આપી હતી કે, જો કડક લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
પાકિસ્તાનમાં માર્ચના પહેલા અઠવાડિયામાં કોરોનાનો ચેપ ફેલાવવાનું શરૂ થઈ ગયું હતું. કોરોનાના સતત વધતા કેસની સાથે વડા પ્રધાન ઈમરાન ખાન પર પણ દબાણ વધતું જાય છે. જુદા-જુદા પ્રાંતોમાં ફક્ત દેખાડા માટે આંશિક લોકડાઉન લાગુ થયું હતું, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં, કારણ કે લોકો તેનું પાલન જ કરતા નહોતા.
ઈમરાને કહ્યું હતું કે, લોકડાઉનથી પડનારો આર્થિક બોજો દેશ સહન કરી શકે તેમ નથી. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ,પાકિસ્તાનમાં ૧.૮ લાખથી વધુ કેસ અને ૨,૧૭૨ લોકોનાં મોત નોંધાયાં છે. જોકે, સાચો આંકડાઓ આના કરતા ઘણા વધારે હોવાની આશંકા છે.