શું તમને ખબર છે ? ધાર્મિક કાર્યોમાં પૂજા વિધી દરમિયાન કેમ વપરાય છે સફેદ ચોખા ?
પૂજામાં ચોખાનું વિશેષ મહત્વ
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે
તૂટેલા ચોખા દેવી-દેવતાઓને ન ચઢાવવા જોઈએ
દરેક પૂજા પાઠ તથા શુભ પ્રસંગે આપણે સફેદ ચોખાનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત લાલ અને પીળા રંગના ચોખા પણ વિશેષ પૂજન સામગ્રીમાં વપરાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, જો ચોખાનો ઉપયોગ પૂજામાં ન કરવામાં આવે તો તેને વિશેષ ભૂલ માનવામાં આવે છે. બીજી તરફ, જે પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં જો અન્ય પૂજા સામગ્રી રહી જાય તો ચોખા અર્પણ કરવાથી ભૂલ માફ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૂજામાં ચોખાનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. તેની સાથે ધન અને સંપત્તિમાં પણ વધારો થાય છે.
પૂજામાં ચોખાનો કેવી રીતે કરવો ઉપયોગ ?
પૂજા દરમિયાન અખંડ ચોખાનો જ ઉપયોગ કરવો. એટલે કે ચોખાનો દાણો આખો હોવો જોઇએ. અડધા ચોખાથી કરેલી પૂજા અશુભ ગણાય છે. નિયમિત પૂજા દરમિયાન ભગવાનને ચોખાના થોડા દાણા અર્પણ કરવાથી ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
શિવલિંગ પર ચોખા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવપૂજામાં અન્ય પૂજા સામગ્રી ન હોય તો પણ ચોખા અર્પણ કરવાથી જ પૂજાનું પૂર્ણ ફળ મળે છે. ભગવાન શિવ ચોખા અર્પણ કરનારાઓને સંપત્તિ અને વૈભવ આપે છે.
જો ઘરમાં આર્થિક મુશ્કેલી હોય તો તેને દૂર કરવા માટે ઘરના પૂજા મંદિરમાં ચોખાના ઢગલા પર માતા અન્નપૂર્ણાની સ્થાપના કરો. આમ કરવાથી ઘરમાં ભોજન અને પૈસાની કમી નથી રહેતી. પૂજા સમયે દેવી-દેવતાઓને ચોખા સાથે આ મંત્ર અર્પણ કરવો જોઇએ. 'અક્ષતશ્ચ સુરશ્રેષ્ઠ કુંકમક્ત: સુંદર:, માયા નિવેદિતા ભક્ત્યા ગૃહન પરમેશ્વર'.