ઇરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઇરાક સ્થિત અમેરિકી સેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઇરાને ઇરાકના અનબર પ્રાન્તમાં સ્થિત એન અલ અસદ બેઝ અને ઇરબિલમાં એક ગ્રીન ઝોન પર 22 બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો.
ઇરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે અમેરિકી સેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો
ઇરાનનો ઇરાકના એન અલ અસદ બેઝ અને ઇરબિલમાં એક ગ્રીન ઝોન પર 22 બેલેસ્ટિક મિસાઇલથી હુમલો
ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે, આ હુમલાઓમાં 80 'અમેરિકી આતંકીઓ' માર્યા ગયા
ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે, આ હુમલાઓમાં 80 'અમેરિકી આતંકીઓ' માર્યા ગયા. હાલમાં જ ઇરાને અમેરિકાની તમામ સેનાઓને આતંકીઓ જાહેર કર્યા છે. આ સૌની વચ્ચે ભારતમાં ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ કહ્યું છે કે, અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે ક્ષેત્રમાં સૌના માટે શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છીએ છીએ. એવામાં જો ભારત ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિની પહેલ કરે છે, તો અમે તેનું સ્વાગત કરીએ છીએ.
ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ બુધવારે કહ્યું કે, ઇરાકમાં અમેરિકી સેનાના ઠેકાણાઓ પર હુમલો તેમના ગાલ પર થપ્પડ છે. એમેરિકી સેનાએ પશ્ચિમ એશિયા ક્ષેત્રને છોડવું પડશે. ઇરાન સ્ટેટ ટીવીએ રેવૉલ્યૂશનરી ગાર્ડ્સના હવાલાથી દાવો કર્યો છે કે હુમલામાં અમેરિકી હથિયારો અને હેલિકોપ્ટરોને નુકશાન પહોંચ્યું છે. ઇરાનના નિશાન પર હાલ 100 અમેરિકી ઠેકાણાઓ છે. જો અમેરિકાએ પલટવાર કરવાની કોશિશ કરી, તો તેઓ આ સેનાના ઠેકાણાઓ પર હુમલો કરશે.
વિદેશમંત્રી જયશંકરે કરી હતી ઇરાન-અમેરિકા સાથે વાત
હાલમાં જ વિદેશમંત્રી જયશંકર જાવેદ જરીફ અને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ બંનેને સંયમ રાખવાની અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના વિવાદથી અમે પણ ચિંતામાં છીએ. બંને નેતાઓએ અમારી સાથે સંપર્કમાં રહેવાની વાત કહી હતી.