અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થતાવાળા નિવેદનને લઇને એવુ માનવામાં આવતું હતું કે આ નિવેદનના કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે. જો કે આ આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા બંને દેશ વચ્ચેના સંબંધ અતૂટ હોવાનું જણાવ્યું છે.
વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સતત મજબૂત બની રહ્યાં છે. વ્હાઉટ હાઉસના કાન્સલર કેલિયાને કોનવેએ કહ્યું અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે સારા સંબંધો છે અને આ સંબંધ હજુ પણ વધુ મજબૂત થઇ રહ્યાં છે.
ટ્રમ્પના કાશ્મીર નિવેદન બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ અંગો પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કોનવેએ આ ટિપ્પણી કરી હતી. જો કે આ વચ્ચે ગુરૂવારે યોજાયેલ વિદેશ મંત્રાલયની અલગ બેઠકમાં આ મુદ્દે પૂછવામાં આવતાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
મોર્ગેને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર હાલમાં મારા પાસે કહેવા કંઇ નથી. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનને ફગાવી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલે તેમને મધ્યસ્તા કરવા અનુરોધ કર્યો હતો.
જો કે અમેરિકા ખાતે મુખ્ય સમાચાર પત્રકોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત સંબંધી મોટી ભૂલ કરીને ભારત સાથેના સંબંધો સુધારવા માટેની પૂર્વ રાષ્ટ્રપતિઓની ઉપલબ્ધિ પર પાણી ફેરવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આ નિવેદન આપી ભારત સહિત દુનિયાભરને સ્તબ્ધ કરી દીધું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ઓસાકામાં યોજાયેલ G-20 સંમેલન દરમિયાન કાશ્મીર મામલાનું સોલ્યુશન લાવવા મદદ માંગી હતી.
જો કે ટ્રમ્પના આ નિવેદન બાદ તરત ભારતે તેનો વિરોધ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આવો કોઇ અનુરોધ કર્યો નથી અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.