કોંગ્રેસની પાછળ-પાછળ નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમારોહને બોયકોટ કરવા આશરે જે 20 વિપક્ષી દળો રાજી થયાં હતાં તેમાંથી કુલ 15 પાર્ટીઓનાં પ્રમુખ જ પટનામાં થનારી નીતીશ કુમારની વિપક્ષી દળોની બેઠકમાં જોડાશે. હવે એ જોવાનું રહ્યું કે કઈ-કઈ પાર્ટીઓ નીતીશ કુમારની અધ્યક્ષતાવાળી આ બેઠકનો પણ બહિષ્કાર કરે છે.
તેજસ્વી યાદવે આપી હતી માહિતી
બિહારનાં ડેપ્યુટી CM તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે આશરે 15 વિપક્ષી દળોનાં પ્રમુખ બિહારનાં CM નીતીશ કુમારની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં પહોંચશે. મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે સહિત અનેક પાર્ટીનાં નેતાઓ મીટિંગમાં ભાગ લેશે. હવે આ દળોમાં કોંગ્રેસમાંથી કોણ જોડાશે તે અંગે પાર્ટીનાં મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે પટનામાં થનારી વિપક્ષી બેઠકમાં હાજર રહેશે. તો હવે સવાલ એ છે કે ક્યા નેતા આ મીટિંગથી દૂર રહેવાનાં છે?
ક્યા નેતા રહેશે ગેરહાજર?
આ મીટિંગમાં ન જોડાય તેવા નેતાઓમાં બસપા ચીફ માયાવતીનું નામ સૌથી પહેલા આવી શકે છે. આ સિવાય આંધ્રપ્રદેશનાં CM અને YSR કોંગ્રેસનાં અધ્યક્ષ જગન મોહન રેડ્ડી, BRS ચીફ અને તેલંગાણાનાં CM ચંદ્રશેખર રાવ, BJDનાં ચીફ અને ઓડિશાનાં CM નવીન પટનાયક, TDP ચીફ ચંદ્રબાબૂ નાયડૂ, JDS નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડા, શિરોમણી અકાલી દળનાં નેતા સુખબીર સિંહ બાદલ આ બેઠકમાં ન જોડાય તેવી શક્યતા જણાઈ રહી છે.
આ વિપક્ષી દળ પર રહેશે દૂર
ઔવેસીની પાર્ટી AIMIM નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમારોહનાં બહિષ્કારમાં શામેલ હતી પરંતુ આ પાર્ટી પણ નીતીશ કુમારની વિપક્ષી દળોની બેઠકમાં જોડાશે નહીં. આ સિવાય ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગમાંથી પણ આ બેઠકમાં કોઈ જોડાશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી.
આ નેતાઓ જોડાશે
પટનામાં વિપક્ષી દળોની બેઠક પહેલાં 12 જૂનનાં રોજ થવા જઈ રહી હતી. પરંતુ નીતીશ કુમારની પાર્ટી JDUનાં અધ્યક્ષ લલન સિંહે બુધવારે જણાવ્યું કે હવે આ બેઠક 23 જૂનનાં રોજ થશે. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ શામેલ થશે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, કેજરીવાલ, હેમંત સોરેન, સ્ટાલિન, અખિલેશ યાદવ પણ શામેલ થશે. એવું જાણવા મળી રહ્યું છે કે આ તમામ નેતાઓની સહમતી બાદ 23 જૂનની તારીખ ફાઈનલ કરવામાં આવી છે.આ બેઠકમાં લેફ્ટનાં નેતા સીતારામ યેચુરી, ડી રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય વગેરે નેતાઓ પણ શામેલ થશે.