અફઘાનિસ્તાનમાં ભારે અફરાતફરીનો માહોલ છે. તાલિબાનોના ફાયરિંગ વચ્ચે લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની પણ નાસી ગયા હતા.
અફઘાનિસ્તાનમાં ભારે અફરાતફરીનો માહોલ
રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિએ દેશ છોડ્યો
129 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્લી લાવવામાં આવ્યા
અફઘાનિસ્તાનમાં આખરે તાલિબાને કબજો મેળવી લીધો છે. કાબુલમાં પણ તાલિબાને કબજો કરી લીધો. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ પોતાના નજીકના સાથીઓ સાથે દેશ છોડી દીધો. બાદમાં તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો . મોડી રાત્રે અનેક વીડિયો પણ સામે આવ્યા હતા. તાલિબાન કાબુલના માર્ગો પર નજરે પડ્યા હતા.
આટલી સરળતાથી જીત મળશે એવુ ન્હોતું લાગતું
તાલિબાન નેતા મુલ્લા બરાદરે તમામ લોકોની સુરક્ષાની બાંહેધરી આપી. બરાદરે કહ્યું કે થોડા દિવસમાં બધુ નિયંત્રણમાં લઈ લેવાશે. વધુમાં કહ્યું કે અમે વિચાર્યું ન હતું કે આટલી સરળતાથી જીત મળશે.
આ સ્થિતિ વચ્ચે દેશમાં શાંતિ માટે સમન્વય પરિષદ બનાવવામાં આવી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ આગેવાની કરશે. સાથે જ અફઘાનિસ્તાનના વર્તમાન CEO અબ્દુલ્લા અબ્દુલ્લા અને જેહાદી નેતા ગુલબુદ્દીન હિકમતયાર પણ સામેલ થશે. ઉપરાંત મુલ્લા શીરીનને કાબુલના ગવર્નર બનાવવામાં આવશે.
કાબુલમાં અનેક સ્થળે લૂંટફાટની ઘટનાઓ પણ બની હતી. અમુક તો પેસેન્જર ફ્લાઈટ લોકોને લીધા વિનાજ ઉડી ગઈ હતી. કાબુલ એરપોર્ટ પર હાલ માત્ર અમેરિકી સેનાનું જ વિમાન છે. અમેરિકાએ પણ સિક્યોરિટી અલર્ટ જાહેર કર્યું છે અને અમેરિકી રાજદૂત અફઘાનિસ્તાન છોડી ચૂક્યા છે.
અમેરિકા જશે ગની
અશરફ ગની અમેરિકા જઈ રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે .અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અને કેટલાક નજીકના સાથીઓ પાડોશી દેશના માર્ગે અમેરિકા જઈ રહ્યા છે. આવનાર સમયમાં તેઓ કદાચ તાજિકિસ્તાન જાય તેવી પણ સંભાવના છે. બીજી તરફ તાલિબાને કહ્યું કે અમે શાંતિથી સત્તા મેળવવા માગીએ છીએ. છેલ્લા બે દિવસમાં તાલિબાને અફઘાનિસ્તાનના 5 પ્રાંતમાં કબજો મેળવી લીધો છે. સાથે જ કાબુલના 4 જિલ્લા પર પણ કબજો કરી લીધો છે
129 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્લી લાવવામાં આવ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટે રવિવાર સાંજે કાબૂલથી ભારતીયોનું રેસ્ક્યૂ કર્યું છે.. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 129 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્લી લાવવામાં આવ્યા છે.. ફ્લાઈટે બપોરે 12.43 વાગે કાબૂલ જવા માટે ઉડાન ભરી હતી. અને બપોરે 2.45 વાગે કાબૂલમાં લેન્ડિંગ કર્યું હતું. કાબૂલ એરપોર્ટ પર તમામ દેશના નાગરિકોની ભારે ભીડ હતી. જેમાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 129 ભારતીયોને લઈને ફ્લાઈટે સાંજે 5.03 વાગે દિલ્લી આવવા માટે ઉડાન ભરી હતી અને આ તમામ ભારતીયોને દિલ્લી પરત લાવવામાં આવ્યા છે.