બનાસકાંઠામાં ચાલુ વર્ષે વરસાદ ન પડવાના કારણે ખેડૂત ચિંતામાં મુકાયો છે. બીજી બાજુ અંતરિયાળ વિસ્તારમાં જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં સરકાર દ્વારા પાણી છોડવાની જાહેરાત કરી છે પણ હજી ભાભર ડિસ્ટ્રીક કેનાલમાં પાણી ન છોડવાના કારણે 27 જેટલા ગામના ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે.
ચાલુ વર્ષે વરસાદ પડયો નથી અને બીજી બાજુ અંતરિયાળ વિસ્તારોમાં પાણી ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે. ભાભરને ડીસ્ટ્રીકટ કેનાલમાં પાણી ન આવતા 27 ગામડાઓ હાલ પાણી વગર વલખાં મારી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી વગર અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એક બાજુ સરકારે નર્મદા કેનાલમાં પાણી આપવાની જાહેરાત કરી છે. છતાં હાલ ભાભર ડીસ્ટ્રીકટ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી.
આ મામલે અધિકારીને વારંવાર રજૂઆત કરી છતાં અધિકારીઓ તેમની મનમાની ચલાવી રહ્યા છે. અધિકારીઓ ખેડૂતોને એક જ જવાબ આપી રહ્યા છે કે અમને પાણી છોડવાનો કોઈ આદેશ મળ્યો નથી. જેથી પાણી છોડાયું નથી હાલ ભરચોમાસે આ 27 ગામના લોકો પાણી વગર વલખાં મારવા મજબૂર બન્યા છે.
ભાભર ડીસ્ટ્રીક કેનાલની આજુ-બાજુના 27 ગામોમાં ખેતરોમાં હજારો એકર જમીનમાં જુદાજુદા પાકોનું વાવેતર કરાયું છે. આ વર્ષે વરસાદ ન પડતાં પાક બળી રહ્યો છે બીજી બાજુ પાકને બચાવવા માટે સરકાર દ્વારા પાણી છોડવાની જાહેરાત કરાઈ છે. બનાસકાંઠાની મુખ્ય નર્મદા કેનાલમાંથી ઘણી બધી ડિસ્ટ્રીકટ કેનાલ અને માઇનર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી તેમના પાક બચે.
હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતો કહી રહ્યા છે કે હવે પાણી આપવામાં નહીં આવેત તો અહીંથી બીજે ગામ હિજરત કરવી પડશે. હાલ આ અંતરિયાળ વિસ્તારોની પાણી વગર ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતો દિવસ રાત પાણીની રાહ જોઈ કેનાલ પાસે બેસી રહે છે પણ છેલ્લે તેમને નિરાશા જ હાથ લાગે છે. ભાભર સુઇગામ- વાવ જેવા અંતરિયાળ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો નથી. જેથી હાલ ખેડૂતો અને તેમના ઢોરઢાખરો પાણી માટે રઝડી રહ્યા છે.