બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પણ એ કેનાલોમાં આજ સુધી કોઈ ખેડૂતોએ પાણી જોયું નથી. કેનાલમાં પાણીના બદલે બાવળો દેખાઈ રહ્યા છે. ખેડૂતો પુછે છે અમારી જમીન બાવળ ઉગાડવા સંપાદિત કરાઈ હતી? જોઈએ તરસી કેનાલો અને સૂકાભટ ખેતરોનો આ અહેવાલ
વાવ તાલુકાના બાહીસરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલ છેલ્લા 6 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે કે 2015 અને 2017માં આવેલ પૂરમાં પણ કેનાલનું ઠેર ઠેર ધોવાણ થયું હતું પરંતુ તંત્રને હજી કેનાલ રિપેરિંગ કરવાનો સમય પણ નથી મળ્યો.
કેનાલમાં અત્યારે મોટા મોટા બાવળો ઉગ્યા છે. આજે પણ કેનાલ કોરીધાકોર દેખાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પૂર વખતે કેનાલા રિપેરિંગ કરવા માટે કરોડો રૂપિયા ફાળળવવામાં આપ્યા હતા છતાં આજ સુધી નથી તો કેનાલ રિપેર થઈ કે નથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાનો સરહદી સુઇગામ તાલુકો હાલ દુષ્કાળની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. સરકારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો પરંતુ અછતના નામે ખેડૂતો ને હજુ સુધી કોઈ સહાય અપાઈ નથી. ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્યસરકારે કેનાલોમાં શિયાળુ સીઝન પૂરતું પાણી છોડવા માટે દોઢ માસ પહેલાં જાહેરાત કરી હતી. જો કે જાહેરાત માત્ર જાહેરાત જ રહી. હજુ સુધી છેવાડાના કેટલાય ગામડાઓ સુધી કેનાલો દ્વારા હજુ પૂરતું પાણી મળતું નથી.
કેનાલ રિપેરિંગના નામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભષ્ટાચાર થયો હોવાના અનેકવાર આક્ષેપો થયા છે. છતાં રાજ્ય સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી વળી આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ હોય કે ગેરરીતિમાં સામેલ અધિકારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય પગલાં લીધા હોય તેવો ખુલાસો કરવામાં આવ્યો નથી. શું દરેક રાજ્યમાં દરેક ખેતરો સુધી નર્મદાના જળ પહોંચાડવા ભગીરથ આયોજન હાથ ધરતી સરકારના વહીવટી તંત્રને આ કેનાલની દુર્દશા દેખાતી નથી. જો કે સિંચાઈ વિભાગના અધિકારીઓ હંમેશ મુજબ ખેડૂતોને માત્ર ઠાલા વચન આપી રહ્યા છે.
કેનાલ રિપેરિંગ કરવાની વાત તો દૂર રહી પરંતુ આ કેનાલમાં રહેવા બાવળના ઝાડ દૂર કરવાની પણ તંત્રને પડી નથી. જો કેનાલમાંથી ઝાડી ઝાખરા જ દૂર ન કરવાના હોય અને પિયતનું પાણી જ ન છોડવાનું હોય તો તો કેનલ દૂર કરીને ખડૂતોને તેમની જમીન પરત કરી દેવી જોઈએ એવી ખેડૂતોની માગણી છે.