ભરૂચ નજીક હાઇવે પરથી તરછોડાયેલ હાલતમાં થેલામાંથી દોઢ માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ નજીક થેલામાંથી દોઢ માસની બાળકી મળી
ભરૂચ-અંકલેશ્વર હાઈવે પરની ઘટના
નિર્દય જનેતા સામે ચોતરફથી ફિટકાર
કળીયુગના એંધાણ અને માનવતા અસ્તિત્વ સામે સવાલો ઊભા કરે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતી મહિલાને એક થેલો નજરે પડ્યો હતો.આ થેલો ઉપયોગમાં લેવા માટે મહીલાએ થેલો ખોલતા મહીલાના પગ નીચેથી જામીન સરકી ગઇ હતી. કારણ કે,એમાંથી દોઢ માસની ફૂલ જેવી નવજાત બાળકી મળી આવી હતી. આથી મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
થેલામાંથી દોઢ માસની બાળકી મળી આવી
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો. આ દરમિયાન શાંતાબેન રાઠોડ નામના મહિલા ત્યાંથી પસાર થતા હતા. જેને આ થેલો કામ લાગે તેવો હોવાથી તે થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. મહિલાએ થેલાની ચેઇન ખોલીને જોતાં અંદરથી અંદાજે દોઢ માસની બાળકી મળી આવી હતી આ ઘટનાને લઈને ચકચાર મચી ગઇ હતી.
પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો
આથી માસુમ બાળકીને શાંતાબેન રાઠોડે વ્હાલ કરીને રમાડીને શાંત કરી હતી. ત્યારબાદ બાળકીના મોઢાના ભાગે ખોડખાપણ હોવાનું સામે આવ્યું હતું. આથી જ તેના માતા પિતાએ તેને બાળકીને નિર્દયતાથી તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. ત્યાંરબાદ આ અંગે સ્થાનિકો દ્વારા ઇમર્જન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને માસૂમને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.