રીવાબાએ અધિકારીઓને ફરી આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા કહ્યું
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શહેરના ગોકુલનગર વિસ્તારની આજે મુલાકાત લીધી હતી. ગોકુલ નગરમાં બની રહેલ રોડની કામગીરી નબળી થતી હોવાની જાણ ધારાસભ્યને થતા ધારાસભ્ય પોતે સ્થળ નીરીક્ષણ કરવા નીકળ્યા હતા અને બની રહેલ રોડનું જાત નીરીક્ષણ કર્યું હતું. બની રહેલ રોડ બાબતે લોકો દ્વારા જણાવ્યું હતું કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ કરી હતી. ધારાસભ્ય રીવાબાએ કોન્ટ્રાક્ટરને પણ આડે હાથ લીધા હતા. તેમજ અધિકારીઓને કહ્યું હતું કે આવી ઘટના ફરીથી ન બને તેની તકેદારી રાખવી.
ધારાસભ્યની કામગીરીને લઈને લોકોમાં ઉત્સાહ
કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો રોડ-રસ્તા સહિતના કામમાં નબળી ગુણવત્તાવાળું કામ કરે છે. ધારાસભ્ય દ્વારા રોડનું જાત નીરીક્ષણ કરવા આવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને સંતોષ જોવા મળ્યો હતો. તેમજ તેઓની કામગીરીને બિરદાવી હતી.
ભાજપના આગેવાનો તેમજ એન્જીનીયર તાત્કાલીક સ્થળે પહોંચ્યા
ધારાસભ્ય દ્વારા બની રહેલ આરસીસી રોડની મુલાકાત લેવા આવ્યા છે. જે સમાચાર વાયુ વેગે પ્રસરતા શહેર ભાજપ મહામંત્રી મોરામણભાઈ ભાટુ, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ તેમજ નાયબ એન્જીનિયર પાઠક સહિતના અધિકારીઓ તાત્કાલીક સ્થળે આવી પહોંચ્યા હતા.