સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ નાણાપ્રધાન સિતારમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તે દરમિયાન એક મહિલા રિપોર્ટરને 2 સવાલ કરવાથી એક અધિકારી દ્વારા જ્યારે રોકવામાં આવ્યા ત્યારે નાણામંત્રીએ એવો જવાબ આપ્યો કે તમે પણ હસવા લાગશો.
મહિલા પત્રકારે પૂછયા 2 સવાલ
કૃષિ કાયદા વિશે કહી આ ખાસ વાત
સામાન્ય નાગરિક પર સેસની અસર
નાણામંત્રી નિર્મલા સિતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદભવનમાં વર્ષ 2021-22નું બજેટ રજુ કર્યું હતું. તે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. આ કોન્ફરન્સમાં તેમણે બજેટની વિશેષતાઓ પર ભાર મુકતા સમજૂતી આપી હતી અને કહ્યું હતું કે," સરકારે બધા જ ખાતાઓને વધુ પારદર્શક બનાવ્યું છે". આ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી તે દરમ્યાન એક પછી એક બધા પત્રકારો નાણામંત્રીને પ્રશ્નો પૂછી રહયા હતા ત્યારે તેમાંના એક મહિલા પત્રકારે 2 પ્રશ્નો પૂછયા હતા અને ત્યારબાદ જે ઘટનાક્રમ ઘટ્યો તે લઈને ત્યાં બેઠેલા બધા જ હસવા લાગ્યા હતા. તો આખરે એવું તો શું બન્યું હતું કે લોકોને હસવા પર મજબુર કરી દીધા.
મહિલાએ પૂછયા 2 સવાલ
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક મહિલા પત્રકારે નાણામંત્રી નિર્મલા સિતારમણને 2 પ્રશ્ન પૂછયા ત્યારે ત્યાં હાજર રહેલા એક અધિકારીએ તે મહિલાને પ્રશ્ન પૂછતા જ રોકી દીધા હતા. આ જોઈને નાણામંત્રી નિર્મલા સિતારમણે તે અધિકારીને કહ્યું કે," તમે માત્ર આ મહિલાને જ પ્રશ્ન પૂછતા કેમ રોક્યા? તમે પુરુષોને પ્રશ્ન પૂછતા કેમ ન રોક્યા? નાણામંત્રી નિર્મલા સિતારામનાની આ પ્રતિક્રિયા સાંભળીને ત્યાં બેઠેલા બધા જ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતાં.
કૃષિ કાયદા વિશે નાણામંત્રીએ કહી આ ખાસ વાત
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી કૃષિ આંદોલન અંતર્ગત વિવિધ પ્રદર્શનો ચાલી રહયા છે. કૃષિ આંદોલન બાદ પ્રથમવાર નાણામંત્રીએ બજેટ રજુ કર્યું છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ પ્રકારના મુદ્દા રજુ કરાયા છે જેને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાકર્મીઓએ નાણામંત્રીને પ્રશ્નોના જાળામાં ઘેરી લીધા હતા. પત્રકારોના જવાબો આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, " દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો બેઠાં છે, પરંતુ સાચી વાત એ છે કે, કૃષિમંત્રીએ ક્યારેય પણ તેમની સાથે વાત કરવામાં જરા પણ સંકોચ રાખ્યો નથી" . તેમણે ત્રણેય કૃષિ કાયદા ભંગની માંગનો અસ્વીકાર કરતા કહ્યું કે, " તમે ત્રણેય અધિનિયમોની ક્લોઝ દર ક્લોઝ વાત કેમ નથી કરતા?".
સામાન્ય નાગરિક પર પડશે સેસની અસર ?
મહત્વનું છે કે, વૈશ્વિક કોરોના મહામારી સામે જ્યારે આખી દુનિયા જજુમી રહી હતી તે બાદ ઘણા પડકારોની વચ્ચે બજેટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 1 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે.તે અંગેના પત્રકારના સવાલ પુછાતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે," બજેટમાં જે કૃષિ સેસ લાહગાવવામાં આવ્યો છે તેનો આમ જનતા પર કોઈ ખાસ ભાર નહીં પડે".