લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને આડે હવે માત્ર દસ દિવસ જ બાકી રહ્યાં છે. રાજકીય પક્ષોએ માત્ર પ્રચાર-પ્રસાર જ નહીં પરંતુ વાસ્તવિક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આ માહોલ વચ્ચે જ્યાં ચૂંટણીપંચ ઉમેદવારોની તમામ ગતિવિધિઓ પર નજર નાખી રહ્યું છે. ત્યાં સોશિયલ મીડિયા પર પણ આદર્શ આચાર સંહિતા જાળવી રાખવા ફેસબુકે બાદ હવે વોટ્સએપે પણ કમર કસી છે. ત્યારે આખરે આચાર સંહિતાનાં રક્ષણ માટે ફેસબુકે કેવું પગલું ભર્યું છે તે જોઇએ.
લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને હવે માત્ર 10 દિવસ જ બાકી છે. ઉનાળાની ગરમીનાં પારા સાથે-સાથે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર તૈયારી આરંભી દીધી છે. પ્રથમ તબક્કાનાં મતદાન પહેલાં ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરવામાં વ્યસ્ત છે અને વિપક્ષો એકબીજા સામે શાબ્દિક પ્રહારો કરવામાં વ્યસ્ત છે.
ત્યારે આ ચૂંટણીને ધ્યાને રાખીને નિયમ અને કાયદાઓ પણ આકરા થઈ રહ્યાં છે. ચૂંટણીપંચ રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે તો સામે પક્ષે સોશિયલ મીડિયા પર આચારસંહિતા જળવાઈ રહે તે માટેની પણ કવાયત ચાલુ છે.
ચૂંટણી પહેલાં વોટ્સએપ કેટલાંક સખ્ત નિયમો લઈને આવ્યું છે. વોટ્સએપે `ફેક્ટ ચેક સર્વિસ' લોન્ચ કરી છે. આ સર્વિસને કંપનીએ એક લોકલ સ્ટાર્ટઅપ સાથે મળીને લોન્ચ કરી છે. જેમાં એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મેસેજ કરીને ફેક્ટ ચેક કરી શકાય છે.
એક તરફ ચૂંટણી નજીક છે. ત્યારે ખોટા સમાચારો અને મેસેજ ન ફેલાઈ શકે તે માટે વોટ્સએપ આ સુવિધા લઈને આવ્યું છે. જેમાં કોઈ મેસેજ કે સમાચાર પર શંકા લાગે તો ફેક્ટ ચેક માટે આપેલાં નંબર પર તે મેસેજને ફોરવર્ડ કરી શકાય છે. જેથી ફેક્ટ ચેકની ટીમ સમાચારને વેરિફાઈ કરશે અને બતાવશે કે તે સાચા છે કે ખોટા. આ ઉપરાંત વોટ્સએપે ગ્રુપ ઈન્વિટેશન સિસ્ટમની પણ શરૂઆત કરી છે. જેમાં કોઈ પણ વ્યક્તિને ગ્રુપમાં એડ કરતાં પહેલાં વોટ્સએપ તેની મંજૂરી માગશે.
આધુનિક ટેક્નોલોજીનાં આ જમાનામાં દરેક વ્યક્તિનાં હાથમાં રમતો સ્માર્ટ ફોન અને સાવ સસ્તા દરે મળી રહેલાં ડેટા પેકેજીસનાં કારણે ઇન્ટરનેટ સુધીની પહોંચ સાવ સરળ બની ચૂકી છે. ભલે આચારસંહિતા પ્રમાણે મતદાનનાં બે દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવે છે પરંતુ આજનાં જમાનામાં ઇન્ટરનેટ ઉપર છેક છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર ચાલુ રહે છે.
મતદાનનાં બે દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો હેતુ એ છે કે કોઇ પાર્ટી છેલ્લી ઘડીએ મતદારોને લોભાવીને તેમનું મન ન બદલી શકે. પરંતુ આદર્શ આચાર સંહિતા અનુસાર ચૂંટણીનાં બે દિવસ અગાઉ ઉમેદવારોનો પ્રચાર તો થંભી જાય છે પરંતુ એ પછી પણ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા છેક છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર ચાલું રહે છે. એટલાં માટે જ સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાનાં પ્લેટફોર્મ પરથી પસારીત થતાં ફેક ન્યુજ પર ગાળીયો કસવા એક કદમ આગળ ભર્યુ છે.
સમાજ પર સોશિયલ મીડિયાનો પ્રભાવ જોતાં આ વખતની આચાર સંહિતા હેઠળ પહેલી વખત સોશિયલ મીડિયાનો સમાવેશ થયો છે ફેક ન્યૂઝ અને હેટ સ્પીચ દ્વારા લોકોનાં મનને ડહોળવામાં સોશિયલ મીડિયા મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આદર્શ આચાર સંહિતા હેઠળ સોશિયલ મીડિયાને આવરી લેવાની પહેલ અને સોશિયલ મીડિયાનાં આવકારદાયક કદમ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં ઘણી મોટી મદદ મળી રહેશે.