ડિસેમ્બર 2022માં વોટ્સએપે 36 લાખ ભારતીયોના એકાઉન્ટસ બંધ કરી દીધા છે.
ડિસેમ્બરમાં વોટ્સએપ એકાઉન્ટ પ્રતિબંધના આંકડા
કંપનીએ 36 લાખ ભારતીયોના એકાઉન્ટ કર્યાં બંધ
દુરપયોગ અને કમ્યુનિટી ગાઈડલાઈન્સના ભંગ બદલ કાર્યવાહી
હજુ પણ વોટસ્એપ આવી કાર્યવાહી ચાલુ રાખશે
દુનિયાભરમાં લાખો યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ ચેટિંગ અને મેસેજિંગ માટે કરે છે, પરંતુ તેની નીતિઓ અને કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરનારાના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ છે. હવે ખુલાસો થયો છે કે વોટ્સએપે એક મહિનાની અંદર 36 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ કમ્પ્લાયન્સ રિપોર્ટમાં આ આંકડો શેર કર્યો છે. 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે વોટ્સએપે ભારતમાં કુલ 3,677,000 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ કહ્યું છે કે આમાંથી 1,389,000 એકાઉન્ટ્સ પર પ્રો-એક્ટિવ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વોટ્સએપનો દુરુપયોગ કરનારની સામે કાર્યવાહી
મેટા-માલિકીના પ્લેટફોર્મ વોટ્સએપે આઈટી નિયમો, 2021 થી સંબંધિત નિયમો હેઠળ માસિક પાલન અહેવાલ શેર કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપનો દુરુપયોગ કરતા લાખો એકાઉન્ટ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ખાતાઓને ઓળખવા માટે, કંપની નંબર સાથે જોડાયેલા દેશના કોડ (+91) ની મદદ લે છે. ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ છે.
વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાએ દર મહિને ફાઈલ કરવો પડે રિપોર્ટ
ડિસેમ્બરમાં યુઝર્સ દ્વારા વોટ્સએપના ફરિયાદ વિભાગને 1,607 ફરિયાદો મોકલવામાં આવી હતી. કંપનીએ કહ્યું છે કે તપાસ બાદ આમાંથી 166 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આઇટી રૂલ્સ 2021 માં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 50 લાખથી વધુના યુઝરબેઝવાળા તમામ પ્લેટફોર્મ્સે માસિક પાલન અહેવાલો પ્રકાશિત કરવાના રહેશે. આ અહેવાલમાં પ્લેટફોર્મ દ્વારા કઈ ફરિયાદોનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો તે સમજાવવામાં આવશે.
આવું ન કરતા નહીંતર તમારુ એકાઉન્ટ પણ બંધ થઈ જશે
વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધનું સૌથી મોટું કારણ સ્પામ મેસેજિંગથી સંબંધિત છે. એટલે કે જો તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ સ્પામ મેસેજ મોકલવા અને બીજાને પરેશાન કરવા માટે કરી રહ્યા છો તો એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. તેવી જ રીતે કોઈપણ પ્રકારની વંશીય, ધાર્મિક, હિંસા ભડકાવવા કે અફવાઓને પ્લેટફોર્મ પર પ્રમોટ કરવાથી પણ એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.