લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનકારીઓ ભાજપ વિરુદ્ધના પ્રચારમાં જોડાયા હતા તેવી રાજકીય ચર્ચાઓ છે, પરંતુ ચૂંટણી પૂરી થતાંની સાથે જ ‘પાસ’ના પૂર્વ કન્વીનર દિનેશ બાંભિણયા દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા હાર્દિક પટેલને પત્ર લખીને અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે રાજ્યભરના ‘પાસ’ કન્વીનર રાજકોટમાં એકસાથે ભેગા થાય તેવું આયોજન કરાયું છે. હાર્દિક પટેલને પાસમાં રાખવા કે નહીં તે અંગે પણ ચર્ચા થશે. જો કે હાલ કોઈ કશું બોલવા તૈયાર નથી.
લોકસભા ચૂંટણી પહેલાં ‘પાસ’ના કન્વીનર અલ્પેશ કિથરિયા જેલમાં છે. ત્યારબાદ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પાટીદાર આગેવાનોએ પારણાં કરાવતાં તે પોતે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે મધ્યસ્થી બનશે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્યારબાદ અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે કોઈ પ્રયત્ન હાથ ધરાયા નથી તેવો અન્ય ‘પાસ’ કન્વીનરનો આક્ષેપ છે. આ બાબતથી વ્યથિત દિનેશ બાંભિણયાએ રાજ્યભરના ‘પાસ’ કન્વીનરને ૧ મેના રોજ રાજકોટના સરદાર ભવનમાં હાજર રહેવા માટે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
આ અંગે પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે તમામ પાસ કન્વીનર ૧ મેના રોજ મળશે. જેમનો મુખ્ય મુદ્દો અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ હશે. અમારી માતૃ સંસ્થા ખોડાલધામ અને ઉમિયાધામના અગ્રણીઓ સાથે પણ અમારી મુલાકાત થશે. જેમાં અલ્પેશ કથિરિયાનો મુદ્દો મૂકવામાં આવશે. આ સિવાયના અન્ય કોઇપણ મુદ્દાઓ બેઠકની અંદર ઊભા થશે તો તે અંગેની ચર્ચા કરવામાં આવશે. હાર્દિક પટેલના મુદ્દે તેમણે કંઈ કહેવાનું ટાળ્યું હતું.