ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી થયેલા ચોથા સીરો સર્વેમાં 67.6 ટકા લોકોએ એન્ટીબોડી મેળવી હોવાનો એટલે કે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો કરાયો છે.
ICMR દ્વારા કરાયેલા ચોથા સીરો સર્વેના પરિણામો જાહેર કરાયા
28,975 લોકો પર કરાયેલા સર્વેના તારણો બહાર પડાયા
67.6 ટકા લોકોએ એન્ટીબોડી મેળવી લીધી
6 થી 17 વર્ષના બાળકોએ પણ એન્ટીબોડી મેળવી લીધી
ICMR દ્વારા જુન-જુલાઈની વચ્ચે 28,975 લોકો પર સર્વે કરાયો
ICMR દ્વારા જુન-જુલાઈની વચ્ચે 28,975 લોકો પર સર્વે કર્યો હતો, સર્વેમાં 6 થી 17 વર્ષના બાળકોને પણ સામેલ કરાયા હતા. તેમાં 6 થી 9 વર્ષના 2892 બાળકો, 10 થી 17 વર્ષના 5, 799 બાળકો તથા 18 વર્ષથી ઉપરના 20, 284 લોકોએ ભાગ લીધો હતો.
હજુ પણ 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો- ICMR
સીરો સર્વેના પરિણાણો જાહેર કરતા ICMR ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું કે સર્વેમાં સામે આવ્યું છે કે દેશની બે-તૃતિયાંશ વસતીમાં કોવિડ એન્ટીબોડી મળી છે અને હજુ પણ 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો છે. સર્વેમાં સામેલ 6 થી 17 વર્ષના અડધાથી વધારે બાળકોમાં પણ એન્ટીબોડી જોવા મળી છે. તેનો અર્થ એવો થયો કે બીજી લહેરમાં સંક્રમણે બાળકોને પણ પ્રભાવિત કર્યાં છે.
સર્વેમાં આ તથ્યો સામે આવ્યાં
- 6 થી 9 વર્ષના 57.2 ટકા અને 10 થી 17 વર્ષના 61.6 ટકા બાળકોમાં એન્ટીબોડી જોવા મળી.
- 18 થી 44 વર્ષના 66.7 ટકા, 45 થી 60 વર્ષના 77.6 ટકા અને 60 થી વધારે વયના 76.7 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી.
- સર્વેમાં સામેલ 69.2 ટકા મહિલાઓ તથા 65.8 ટકા પુરુષોમાં કોવિડની સામે એન્ટીબોડી મળી.
- શહેર વિસ્તારોમાં રહેનાર 69.6 ટકા અને ગ્રામીણ વિસ્તારોમા રહેતા 66.7 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળી.
વેક્સિને અસર દેખાડી
આ સર્વેમાં સામેલ 12, 607 લોકો એવા હતા જેમણે વેક્સિન લીધી નહોતી, 5,038 લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો જ્યારે વેક્સિનની બન્ને ડોઝ લેનાર લોકોમાં 89.8 ટકા એન્ટીબોડી જોવા મળી હતી.