કોરોના વાયરસના તાંડવ ભારતમાં ધીમે ધીમે વરવું સ્વરૂપ લઇ રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી આ વાયરસને મ્હાત આપવાના પુરજોશથી પ્રયત્નો થઇ રહ્યા છે. દેશવ્યાપી લોક ડાઉન ઉપરાંત દરેક રાજ્યો ઉપરાંત જીલ્લાઓ અને નગર પાલિકાઓ પોતાની રીતે પગલા લઇ રહી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં જયારે દેશના સૌ પ્રથમ કેસ પકડાયા ત્યારે બાદ થોડા સમય માટે આ રાજ્ય હોટ સ્પોટ બની રહ્યું. જો કે અત્યારે રાજ્યની કુશળ આરોગ્ય તંત્રની અને સરકાર અને અધિકારીઓની મહેનતના પગલે કોરોના વાયરસ અન્ય રાજ્યો કરતા એટલો કાબૂમાં આવ્યો છે કે હવે ભીલવાડાની જેમ કેરળ મોડલની પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે અત્યારે કેરળમાં ગુજરાત કરતા પણ ઓછા કોરોના પોઝીટીવ દર્દીઓ છે.
કેરળમાં IAS અધિકારી P B નૂહની પ્રશંસનીય કામગીરી
સેલ્ફ આઈસોલેશનમાં રહેતા લોકોના સતત સંપર્કમાં રહે છે અને તેમને ચીજવસ્તુઓ ઘર બેઠા પૂરી પાડે છે સરકાર
કેરળે સૌથી પહેલા તેના એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ વ્યવસ્થા ગોઠવી હતી
કેરળમાં ૭મી માર્ચે જયારે ઇટાલીથી એક પરિવાર કેરળ પાછો ફર્યો ત્યારે તેમનો ટેસ્ટ કરતા તેઓ કોરોના પોઝીટીવ નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ. જો કે રાજ્યમાં કોરોનાની ધૂરા સાંભળી રહેલા IAS અધિકારી P B નૂહે કુનેહ પૂર્વક કામ શરુ કરી દીધું. નોંધનીય છે કે ૨૦૧૮ના કેરળ પૂર વખતે શ્રેષ્ઠ રાહત કામગીરી કરનારા નૂહના કેરળવાસીઓ ચાહક છે. તેમનું ફેસબુક પર ફેનપેજ પણ છે.
દર્દીઓ કોને કોને મળ્યા હતા તે તમામ લોકોની યાદી બનાવાઈ
તેમણે ડોક્ટર, પોલીસ અને સ્વયંસેવકોની ટીમ બનાવીને ઓનલાઈન અને GPSના આધારે આ પરિવાર કેરળ પાછા ફરીને કોને કોને મળ્યો છે એની યાદી બનાવીને આ તમામ જગ્યાઓએ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરુ કરાવી દીધા. નૂહને આ માટે તમામ પ્રકારની મદદ કરવા રાજ્યના હેલ્થ મિનિસ્ટર K K શૈલજા હાજર થઇ ગયા. તેમણે નૂહના ટાસ્કફોર્સની ૬ વ્યક્તિઓની ટીમને મજબૂત કરીને ૧૫ વ્યક્તિઓની કરી દીધી.
ભારત જેવા દેશમાં વાયરસનો ફેલાવો રોકવો એકમાત્ર વિકલ્પ
નોંધનીય છે કે ભારત જેવા દેશમાં જ્યાં ચીન ઇટાલી USA જેવી હોસ્પિટલ સુવિધાઓ નથી ત્યાં વાયરસનો ફેલાવો રોકવો એ એક જ વિકલ્પ છે. જો કે કેરળ આ દેશો કરતા પણ વધુ દુરંદેશી રહ્યું હતું. તેણે જાન્યુઆરી ૨૦૨૦થી વિદેશથી એરપોર્ટ ઉપર આવનાર પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરુ કરી દીધું હતું. આખા દેશમાં કેરળ તેની સામ્યવાદી સરકાર માટે અને તેમના સમાજ કલ્યાણ અને આરોગ્ય વિભાગ માટે જાણીતું છે.
સેલ્ફ આઈસોલેશનના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એ માટે વ્યવસ્થા કરાઈ
શંકાસ્પદ દર્દીઓ અને પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા માંડી. નૂહે એ પ્રકારનું પ્લાનિંગ કર્યું કે આ રીતના શંકાસ્પદ દર્દીઓ જેઓ હોમ ક્વોરનટાઈનમાં છે તેમની સાથે સતત ફોનથી સંપર્કમાં રહી શકાય અને તેમના લક્ષણો વિષે નોંધ રાખી શકાય. આ લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ બંદોબસ્ત તો કરાયો જ પરંતુ સાથે સાથે આ લોકોને ઘરે જ અનાજ કરિયાણું મળી રહે તેની વ્યવસ્થા પણ ગોઠવાઈ.
કેરળમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન થયું તેના થોડા દિવસ અગાઉથી જ મુખ્યમંત્રીએ શાળાઓ બંધ કરાવીને કોઈ પણ જન મેળાવડાઓ અને પ્રાર્થનાના સ્થળો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત તેમણે માસ્ક, હેન્ડ સેનીટાઈઝર્સનો પુરવઠો વધારવા માટે અને વર્ક ફ્રોમ હોમ માટે ઇન્ટરનેટની ક્ષમતા વધારવા માટેની વ્યવસ્થાઓ ગોઠવી દીધી હતી. નોંધનીય છે કે કેરળની ૯૪% સાક્ષરતા ધરાવતી વસ્તી સરકારના હુકમ અને ગાઈડલાઈન્સ પાળે છે અને સોશ્યલ મીડિયાની અફવાઓથી દુર રહે છે.
દેશના પ્રથમ કોરોનાગ્રસ્ત રાજ્યમાં અત્યારે ગુજરાત કરતા પણ ઓછા કેસ
નૂહ અત્યારે વધુ સક્રિય થઇને કામ કરી રહ્યા છે. કેરળ દેશનું પ્રથમ કોરોનાગ્રસ્ત રાજ્ય હતું જ્યાં અત્યારે ગુજરાત કરતા પણ ઓછા કેસ છે. અત્યારે નૂહના રાજ્યમાં ૧,૬૨,૦૦૦થી વધુ લોકો સેલ્ફ આઈસોલેશનમાં છે અને ૬૦થી વધુ અન્નદાનના રસોડા ધમધમી રહ્યા છે. આવા નિષ્ઠા અને સમર્પણથી આયોજનબદ્ધ કામ કરી રહેલા કેરળના મોડલની ભારત જ નહીં દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે.