ર૦૧૯ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને જીતાડવાની વાતો કરનારા સુરત અને દિક્ષણ ગુજરાતના વેપારીઓ પણ પુલવામામાં થયેલા આતંકી હુમલાથી ખૂબ જ રોષમાં છે તેમાંથી કેટલાક વેપારીઓએ પોતાના બિલ પર જ આ રોષ વ્યક્ત કર્યો છે.
કંપનીના બિલ પર સર્જિકલ સ્ટ્રાઇક ર.૦ લખવા ઉપરાંત બિલ પર બોમ્બનુું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે અને પુલવામામાં જીવ ગુમાવનારા શહીદોને પણ આ બિલ પર યાદ કરવામાં આવ્યા છે.
આ પ્રકારે પોતાના બિલ પર આક્રોશ વ્યકત કરનાર સુરતની પ્રોલાઇન સેલ એજન્સીના માલિક ચિરાગ દેસાઇએ જણાવ્યું કે આ એક એવો રસ્તો છે જે તમને આ ઘટના ભૂલવા નહીં દે. જ્યાં સુધી આર્મી ચીફનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નહીં આવે કે આપણે બદલો લઇ લીધો છે ત્યાં સુધી અમારા બિલ પર આ માગણી ઊભી રહેશે. અમારું એક એજન્સી હાઉસ છે. અમારા ત્યાં રોજ હજાર કરતાં વધુ વેપારીનાં બિલ બનતાં હોય છે.
દેશની ૧૬થી વધારે કંપનીની એજન્સી પ્રોલાઇન પાસે છે. તમામ એજન્સીને પણ ખ્યાલ છે કે અમે બિલ પર આ ડિમાન્ડ કરી છે. અમારી ડિમાન્ડથી તેઓ ખુશ છે. પ્રોલાઇનનાં બિલ કમ્પ્યૂટરાઇઝ છે. આ માટે તેમણે સોફ્ટવેરમાં જરૂરી ચેન્જ કરાવવાના રૂ.૧પ ૦૦૦ ચૂકવ્યા હતા.
સુરતના અન્ય બે વેપારીઓએ પણ આ રીતે સર્જિકલ સ્ટ્રાઇકની ડિમાન્ડ કરતાં બિલ બનાવ્યાં છે. નેશનલ ઇશ્યૂને બિલ પર મૂકવાની આ પહેલી ઘટના છે.