પિતૃઓ માટે શ્રદ્ધાથી કરેલ તર્પણ, પિંડદાનને જ શ્રાદ્ધ કહે છે. પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે અને તેનું ખૂબ મહત્વ હોય છે. શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષમાં પૂર્વજોને સમ્માન આપે છે અને કહેવાય છે કે આમ કરવાથી પિતૃ ખુશ થાય છે.એવી માન્યતા છે કે આ પક્ષમાં કરાયેલા બધા કાર્યને સાચી રીતે પૂર્ણ કરવાથી પરિવાર પર પિતૃ દોષ આવતો નથી.
આજે પુર્ણિમા એટલે કે ઋષિ તર્પણનું શ્રાદ્ધ છે અને ત્યારબાદ એટલે કે આવતીકાલથી પિતૃ પક્ષના શ્રાધ્ધનો આરંભ થશે. તે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. પિતૃપક્ષ પિતૃઓને યાદ કરવાનો દિવસ માનવામાં આવે છે.
પિતૃઓના બે પ્રકાર હોય છે એક દિવ્ય પિતૃ અને બીજા પુર્વજ પિતૃ. દિવ્ય પિતૃ બ્રહ્માના પુત્ર મનુથી ઉત્પન્ન થયેલા ઋષિ છે. પિતૃમાં સૌથી પ્રમુખ અર્યમા છે, જેના વિશે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યુ છે કે પિતૃઓમાં પ્રમુખ અર્યમા તેઓ સ્વયં છે.
બીજા પ્રકારના પિતૃ પુર્વજ હોય છે. પિતૃપક્ષમાં પોતાના આજ પિતૃઓને લોકો યાદ કરે છે. તેમના નામથી પિંડદાન, શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવે છે. કઠોપનિષદ, ગરુડપુરાણ, માર્કણ્ડેય પુરાણ અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે પિતૃશ્રાદ્ધના સમયે આવે છે અને અન્ન જળ તેમજ આદરની અપેક્ષા કરે છે.
એવુ મનાય છે કે જે લોકો શ્રાદ્ધ કર્મ કરતા નથી તેમના પિતૃઓ ભુખ્યા તરસ્યા ધરતી પરથી પાછા ખરે છેઅને તેમને પિતૃદોષ લાગે છે. તેમના પરિવારમાં રોગ અને મુશ્કેલીઓ વધી જાય છે.
પિતૃપક્ષમાં ખાણીપીણી સાથે સંકળાયેલી વસ્તુઓમાં શું કરવું જોઈએ અને શું નહી તે જાણવુ પણ ખુબ જરુરી છે
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે.
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવી વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચર, દૂધી, કાકડી, સરસવનુ શાક વગેરે.
- માંસ માછલી અને દારૂનુ સેવન ન કરવું.
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવો શુભ ગણાય છે.
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનુ ભોજન ઘરે ન બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ હોવું જોઇએ
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળા શાક પિતૃઓને ધરાવાતા નથી તેથી શક્ય હોય તો એવા ખોરાકનો 15 દિવસ ત્યાગ કરવો