બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 PM, 15 April 2025
સુબ્રમણ્યમ સ્વામીએ 2012 માં ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ને અન્યાયી રીતે હસ્તગત કર્યું છે. સ્વામીનો આક્ષેપ હતો કે, આ બધું 2000 કરોડ રૂપિયાની કિંમતની હેરાલ્ડ હાઉસ ઇમારત પર કબજો કરવા માટે કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઇડીએ રાઉઝ એવન્યું કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ED ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ જોડ્યા છે. જે અંગે આગામી 25 એપ્રીલે રજુ થશે.
ADVERTISEMENT
ભાજપ નેતાએ ઝડપી લીધું હતું સમગ્ર કૌભાંડ
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012 માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ને અન્યાયી રીતે હસ્તગત કરી હતી. આ બધુ જ દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલી 2000 કરોડ રૂપિયાના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગને કબજે કરવા માટે કરાયું હતું. ષડયંત્ર હેઠળ, યંગ ઇન્ડિયન લિમિટેડને AJL ની મિલકતના અધિકારો આપવામાં આવ્યા હતા.
નેશનલ હેરાલ્ડની સ્થાપના નેહરૂએ કરી હતી
નેશનલ હેરાલ્ડની સ્થાપના 1938 માં જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને કરી હતી. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) નેશનલ હેરાલ્ડ અખબારની માલિક કંપની છે. 26 ફેબ્રુઆરી, 2011 ના રોજ, કોંગ્રેસે તેના 90 કરોડ રૂપિયાના દેવાની જવાબદારી સ્વિકારી. જેનો અર્થ થયો કે પાર્ટીએ તેને 90 કરોડ રૂપિયાની લોન આપી. ત્યાર બાદ 5 લાખ રૂપિયાના ખર્ચે યંગ ઈન્ડિયન કંપનીની રચના કરવામાં આવી. જેમાં સોનિયા અને રાહુલ ગાંધીનો 38-38 ટકા હિસ્સો હતો. બાકીનો 24 ટકા હિસ્સો કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ (બંને હવે મૃત્યુ પામ્યા છે) પાસે હતો.
કોંગ્રેસે દેવું માફ કર્યું
આ પછી, 'યંગ ઈન્ડિયન' ને 10 રૂપિયાના AJL ના નવ કરોડ શેર આપવામાં આવ્યા અને બદલામાં યંગ ઈન્ડિયનને કોંગ્રેસનું દેવું ચૂકવવું પડ્યું. 9 કરોડ શેર સાથે, યંગ ઈન્ડિયનને આ કંપનીના 99 ટકા શેર મળ્યા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ પણ 90 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. તેનો અર્થ એ કે 'યંગ ઇન્ડિયન' ને AJL ની માલિકી મફતમાં મળી ગઇ હતી.
રાહુલ ગાંધી તે સમયે હતા મહાસચિવ
યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) ની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી. રાહુલ ગાંધી તે સમયે કોંગ્રેસના મહાસચિવ હતા. તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂપિયાથી થઈ હતી. આ કંપનીના 38 ટકા શેર રાહુલ ગાંધી પાસે હતા અને 38 ટકા શેર તેમની માતા સોનિયા ગાંધી પાસે હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના હતા.
2000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબ્જો જમાવ્યો
EDનો દાવો છે કે, YIL દ્વારા AJLની 2,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ પર કબજો જમાવ્યો છે. એજન્સીનો એવો પણ આરોપ છે કે આમાં 988 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) પાસે દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં રૂ. 661.69 કરોડની સ્થાવર મિલકતો છે અને આ ગુનાહિત આવક દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયન (YI) પાસે AJL માં ઇક્વિટી શેરના રૂપમાં કુલ રૂ. 90.21 કરોડ ગુનાની રકમ હોવાનું જાણવા મળ્યું.
2021 મા શરૂ થઇ હતી તપાસ
2021 માં શરૂ થયેલી આ તપાસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી હતી. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના નેતૃત્વએ YIL દ્વારા AJL ની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તપાસ દરમિયાન, ED એ નકલી દાન, એડવાન્સ ભાડું અને જાહેરાતની આવકમાં વધારો સહિત નાણાકીય અનિયમિતતા દર્શાવતા દસ્તાવેજો શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.
કોંગ્રેસ સતત આ મામલાનો ઇન્કાર કરતી રહી
એપ્રિલ 2022 માં, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન નોંધાવવા માટે ED ઓફિસ પહોંચ્યા હતા. આ પછી, ED એ કોંગ્રેસ નેતા પવન બંસલનું પણ નિવેદન નોંધ્યું. કોંગ્રેસ પાર્ટી ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સતત નકારી રહી છે અને પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. ઉપરાંત, કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ષડયંત્રના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોઇ રાજકીય પક્ષ વતી લોન આપવી ખોટી નથી
કોંગ્રેસની દલીલ છે કે, 1937 માં સ્થપાયેલી નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવતી કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને લગભગ 10 વર્ષ માટે ચેક દ્વારા અને લગભગ 100 હપ્તામાં તેની જવાબદારીઓ ચૂકવવા માટે 90 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. આમાંથી, નેશનલ હેરાલ્ડ દ્વારા તેના કર્મચારીઓને પગાર આપવા માટે 67 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાકીના પૈસા વીજળી બિલ, ભાડા, મકાન વગેરેમાં ખર્ચવામાં આવ્યા હતા. કોઈપણ રાજકીય પક્ષ વતી લોન આપવી એ ગુનો નથી અને તેને ગેરકાયદેસર માનવામાં આવતું નથી.
કોંગ્રેસનો બીજો દલીલ એ છે કે, નેશનલ હેરાલ્ડ અખબાર આવકના અભાવે લોન ચૂકવી શક્યું ન હતું; તેના બદલામાં, AJL ના શેર યંગ ઈન્ડિયનને આપવામાં આવ્યા હતા. જે કાયદા મુજબ એક બિન-લાભકારી કંપની છે. યંગ ઈન્ડિયનની મેનેજિંગ કમિટીના સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી છે. જેઓ કોઈપણ પ્રકારનો નફો, ડિવિડન્ડ, પગાર અથવા કોઈપણ નાણાકીય લાભ લઈ શકતા નથી. એટલું જ નહીં, મેનેજિંગ કમિટી યંગ ઈન્ડિયનના શેર પણ વેચી શકતી નથી. આનો અર્થ એ થયો કે, યંગ ઇન્ડિયન પાસેથી એક પૈસો પણ નાણાકીય લાભ લઈ શકાતો નથી કે તેના શેર વેચી શકાતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.