વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતી ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો હતો. આજે પણ તે દિવસને લોકો ભૂલી શકતા નથી.
૨૦૧૧માં વર્લ્ડ કપના ક્રિકેટરોને આજે પણ નથી ભૂલી શક્યો દેશ
૨૦૨૦માં ધોનીએ જાહેરાત કરી નિવૃત્તિની
સેહવાગ આજે છે સફળ બિઝનેસમેન
૧૦ વર્ષ બાદ આજે તે સમયની ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ નિવૃત થઈ ચૂક્યા છે. ત્યારે તે સમયની ટીમના સભ્યો અત્યારે શું કરી રહ્યાં છે, તે જાણવાનો પ્રયાસ કરાયો છે.
મહેન્દ્ર સિંહ ધોની
ધોનીની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કૅપ્ટનમાં થાય છે. તેને પાંચ વર્લ્ડકપ જીતવાની ઈચ્છા હતી. જોકે, તે ચેમ્પિયન ટ્રોફી જીતવામાં સફળ રહ્યો હતો. ૨૦૨૦માં તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી. અત્યારે ધોની આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમી રહ્યો છે.
સચીન તેંડુલકર
વિશ્વ કપ જીત્યા પછી તેંડુલકર ૧૦ વનડે મેચ રમ્યો હતો. તેણે ૨૦૧૩માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. નિવૃત્તિ પહેલા તે ૧૦૦ સદી બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો હતો.
વિરેન્દ્ર સેહવાગ
ધૂંઆધાર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ૨૦૧૫ સુધી ભારતની ટીમમાં હતો. તેનું ફોર્મ બગડવા લાગતા તેણે નિવૃત્તિ લીધી હતી. તે એક સફળ બિઝનેસમેન છે. આ સાથે જ તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે.
ગૌતમ ગંભીર
ડાબોડી બેટ્સમેન ૨૦૧૮માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. હાલ તે રાજકારણમાં સક્રિય છે. તે ભાજપમાં જોડાયા બાદ સાંસદ બન્યો છે. આઈપીએલમાં તે સૌથી સફળ કેપ્ટન હતો. તેણે કેકેઆરને ૨૦૧૨ અને ૨૦૧૪માં બે વખત જીત અપાવી હતી. તે છેલ્લે ૨૦૧૬માં મેચ રમ્યો હતો.
વિરાટ કોહલી
૨૦૧૧થી ટીમ વતી અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા બે ખેલાડીઓમાંથી એક વિરાટ કોહલી છે. ધોની પાસેથી ટીમનું સુકાન મેળવ્યા બાદ તે ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈ પર લઈ ગયો છે. તેનું ફોર્મ જોરદાર રહ્યું છે. કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બન્યો છે. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે અને જૂનમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. હાલમાં તે આઈપીએલની તૈયારીઓમાં વ્યસ્ત છે.
યુવરાજ સિંહ
૨૦૧૧ના વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હતો. વર્લ્ડ કપ બાદ તેણે કેન્સરને પણ હરાવ્યું અને ટીમમાં સફળ રીતે પરત ફર્યો હતો. પરંતુ તેનું ફોર્મ નબળું પડ્યા બાદ તે ટીમની અંદર-બહાર રહેતો હતો. તેણે ૨૦૧૯માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલ તે કેન્સર સામે સામાજિક જાગૃતિ માટે અભિયાન ચલાવે છે.
સુરેશ રૈના
ધોનીની સાથે રૈનાએ પણ ૨૦૨૦માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ૨૦૧૮માં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. પરંતુ તે પહેલાં લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પોતાનું સ્થાન નિયમિત હતું. તે હજી પણ આઈપીએલ સક્રિય રીતે રમી રહ્યો છે. આગામી સિઝન માટે પણ તૈયાર છે.
યુસુફ પઠાણ
વર્ડ કપની જીત બાદ તે માત્ર છ વનડે મેચ રમ્યો હતો. તે આઈપીએલમાં એક્ટિવ છે. તેણે ગયા મહિને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે ભારતીય ટીમની ટોચની શ્રેણીઓનો ભાગ હતો. તાજેતરમાં તે રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં પણ રમ્યો હતો.
હરભજન સિંહ
હરભજન હજી પણ એક સક્રિય ખેલાડી છે. હરભજને તેની છેલ્લી મેચ ૨૦૧૬માં ભારત તરફથી રમી હતી. જોકે તેણે પણ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે. તે બ્રોડકાસ્ટર તરીકે પણ જોડાયેલો છે.
રવિચંદ્રન અશ્વિન
અશ્વિન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં સ્થાન ધરાવે છે. તેણે ભારતને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. તે વનડે ટી ૨૦માં ૨૦૧૭થી ટીમમાં નથી. જોકે, તે ટેસ્ટ ટીમમાં કાયમી છે.
પીયૂષ ચાવલા
ચાવલાની છેલ્લી મેચ વર્લ્ડ કપની છેલ્લી મેચ હતી. ૨૦૧૨માં તેણે ખૂબ ઓછી ટી૨૦ મેચ રમી હતી. પરંતુ તે આઈપીએલમાં નિયમિત પ્લેયર છે. તે આગામી આઇપીએલમાં પણ જોવા મળશે.
ઝહીર ખાન
ઝહીર વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે ૨૦૧૫ સુધી ટીમ તરફથી રમી રહ્યો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર તરીકે જોડાયો હતો. તેના માર્ગદર્શન નીચે બોલરો તૈયાર થઈ રહયા છે.
આશિષ નેહરા
નેહરા તેની કારકિર્દીમાં અનેક વખત ઈજાઓ સામે લડતો રહ્યો અને અંતે તેણે ૨૦૧૮માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તે સફળ બ્રોડકાસ્ટર બન્યો હતો. ઉપરાંત બોલિંગ કોચ તરીકે આરસીબીમાં પણ જોડાયો હતો.
મુનાફ પટેલ
વિશ્વ કપની ફાઇનલ બાદ તેણે માત્ર છ મેચ રમી હતી. તે પછી તે આઇપીએલમાં ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. તેણે ૨૦૧૮માં નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારથી તે તેના ગામના સ્થાનિકોની મદદ કરવા માટે કાર્યરત છે. તાજેતરમાં તે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પણ રમ્યો હતો.
શ્રીસંત
સ્પોટ ફિક્સિંગ કાંડમાં તેના પર ૨૦૧૩માં પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પરંતુ ત્યાર બાદ તે ડોમેસ્ટીક ક્રિકેટમાં ફરી પાછો આવ્યો છે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. •