૨૧મી સદીની શરૂઆતથી જ વિશ્વભરમાં પર્યાવરણનું નિકંદન નીકળવાની ઝડપમાં ભયજનક વધારો થયો છે. આ ઘટનાનાં મુખ્ય વિલનમાંથી એક પ્લાસ્ટિક છે. નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવનાઓ વચ્ચે એ જાણવું જરૂરી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે, તે કેમ હાનીકારક છે અને સરકારની પ્લાસ્ટિક પ્રતિબંધને લગતી યોજના શું છે?
PM મોદીએ UNમાં ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની યોજના વિષે અછડતો ખ્યાલ આપ્યો હતો
SUP પર્યાવરણ માટે અત્યંત જોખમી ઘટક છે.
સરકારે ૮ મંત્રાલયોને આ પ્રતિબંધના અમલીકરણ માટે યોજનાઓ બનાવવા કહ્યું છે
સિંગલ યુઝ પ્લાસ્ટિક SUP શું છે?
સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ફક્ત એક જ વાર વાપરીને તેને ફેકી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની થેલીઓ, સ્ટ્રો, કોફીની ચમચીઓ, સોડા અને પાણીની બોટલો અને મોટા ભાગના ફૂડ પેકેટોસિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉદાહરણ છે.
કેમ SUP ચિંતાજનક છે?
વૈશ્વિક સ્તરે ઉત્પાદિત પ્લાસ્ટીકમાંથી ફક્ત ૧૩% પ્લાસ્ટિક રીસાઈકલ થાય છે. પ્લાસ્ટિક પેટ્રોલીયમ પદાર્થોમાંથી બનતું હોવાથી તેનું રીસાઈકલિંગ કરવું અઘરું અને ખર્ચાળ છે. આ નવું બનેલું પ્લાસ્ટિક બહુ ઓછી પ્રોડક્ટ બનાવા માટે વાપરી શકાય છે. પેટ્રોલીયમથી બનેલું પ્લાસ્ટિક બાયોડીગ્રેડેબલ નથી. અર્થાત તે કુદરતી રીતે માટીમાં ભળી નથી જતું. આ પ્લાસ્ટિક મોટાભાગે જમીનમાં દાટી દેવાય છે અથવા તેને સમુદ્રમાં નાખી દેવામાં આવે છે. વર્ષો પછી તે ઝીણા ટુકડાઓમાં વિભાજીત થાય છે. આ વિભાજન સમયે અનેક ઝેરી રસાયણો ઉત્પન્ન થાય છે. આ રસાયણો આપણા ભોજન અથવા પાણીમાં ભળે છે.
અત્યંત ચિંતાજનક બાબત એ છે કે આ રસાયણો માનવશરીરણા લોહીમાંથી પણ મળી આવવાના શરુ થઇ ગયા છે. આ રસાયણો કેન્સર, વ્યંધત્વ, જન્મ સમયે ખોડખાપણ, રોગપ્રતિકારક શક્તિની કમી વગરે અનેક રોગો માટે જવાબદાર છે.
ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં પ્લાસ્ટિકે ખુબ ગંભીર સંકટ ઉભું કર્યું છે. વિશ્વમાં દરિયામાં ડમ્પ થતા પ્લાસ્ટીકના કુલ જથ્થાનો ૬૦% જથ્થો ભારત ઉત્સર્જીત કરે છે. પ્લાસ્ટીકના કુલ ઉપયોગનો ૪૨% ઉપયોગ પેકેજીંગ માટે થાય છે. ભારતમાં દરરોજ આશરે ૨૬,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો બને છે અને વાર્ષિક ૯૦ લાખ ટન વાર્ષિક કચરો બને છે. ભારતનું પાડોશી દેશ બાંગ્લાદેશ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે SUP ઉપર પ્રતિબંધ મુક્યો છે.
ભારતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા મુદ્દે પડકારો
પ્લાસ્ટીકના મેન્યુફેકચરરો, રેસ્ટોરાંના માલિકો અને નાગરિકોની સાથે સંવાદ કર્યા વગર આ પ્લાસ્ટિક પ્રતિબંધ લાગુ કરવાથી અમલીકરણમાં પ્રશ્નો ઉભા થાય છે.
પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટે પુરતું સંશોધન કરવામાં આવતું નથી જેથી પ્લાસ્ટિક ઉપર આધાર રાખવો પડે છે.
લોકોમાં પ્લાસ્ટીકના નુકશાનને લગતી જાગૃતિનો અભાવ છે.
પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે અનેક કંપનીઓ, રોજગાર, ઉત્પાદન વગેરેને ફટકો પડે તેમ છે જે અર્થતંત્ર માટે નુકશાનકારક છે.
ભારતની SUP પ્રતિબંધ કરવાની કવાયત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ મીટમાં ભારતના ઈરાદા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભારત SUPને અલવિદા કરી દેશે. આ અંગે સુત્રોની જાણકારી અનુસાર મંત્રીઓની એક બેઠકમાં PPT પ્રેઝન્ટેશન સાથે ૮ મંત્રાલયોને ૨જી ઓગસ્ટથી ભારતને SUP પ્રતિબંધ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ અંતર્ગત
રેલ્વે મંત્રાલયને આપેલી સુચના અનુસાર રેલ્વેમાં આપવામાં આવતી પાણીની બોટલો મુસાફરીના અંતે ફરીથી ઉઘરાઇ લેવામાં આવશે જેને રીસાઈકલ કરવામાં આવશે.
હાઈવે ઓથોરીટીને આપેલ સુચના અનુસાર રોડની આસપાસ પડેલ પ્લાસ્ટીકની બોટલો, થેલી, પેકેટોને ઉઘરાવીને તેનો ઉપયોગ રોડના બાધકામ માટે અને સિમેન્ટના ઉત્પાદનમાં બળતણ તરીકે કરવામાં આવશે.
૨ ઓક્ટોબરથી શ્રમ દાન અભિયાન હેઠળ દેશમાં ૮ મંત્રાલયના નેજા હેઠળ ૬ લાખ "સ્વચ્છાગ્રહી" સ્વયંસેવકોની ટુકડી પ્લાસ્ટિક સાફ કરવામાં અને ઉઘરાવવામાં મદદ કરશે.
રાજ્યોને આ અંગે પરિપત્રો આપવામાં આવશે.
હિમાલય ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે.
પ્લાસ્ટિક અંગે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
કચરાને પ્લાસ્ટિકના અલગ અલગ પ્રકારો પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવશે.
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આ પ્રતિબંધની ટીકા કરતા જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલી સમસ્યાઓને ઢાંકી દેવા આ પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. પ્લાસ્ટીકના પ્રતિબંધથી નબળા અર્થતંત્રને વધુ ફટકો પડે તેમ છે. આ પ્રતિબંધ વધુ રોજગાર છીનવી લેશે. તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાનું નીરાકરણ કરવા પ્લાસ્ટિકના પ્રતિબંધ કરતા પ્લાસ્ટિકના રિસાઈક્લિન્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.