CrPC 1973ની કલમ 144 જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટને જે તે રાજ્ય કે ક્ષેત્રમાં 4 કે તેથી વધુ લોકોને એકઠા થતા પ્રતિબંધ ફરમાવવાની સત્તા આપે છે. આ કલમ ઈન્ટરનેટ બંધ કરવાની પણ સત્તા આપે છે. જો કે સામાજિક કાર્યકરોના મતે સરકાર આ કલમનો ઉપયોગ પ્રજાનો અવાજ દબાવવા માટે કરે છે. તો જાણવું જરૂરી છે કે કાનૂની દ્રષ્ટિએ આ કલમ શું કહેવા માંગે છે.
કલમ 144 જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટને જે તે રાજ્ય કે ક્ષેત્રમાં 4 કે તેથી વધુ લોકોને એકઠા થતા પ્રતિબંધ ફરમાવવાની સત્તા આપે છે. આ કલમ લાગુ થયા બાદ ભેગા થયેલા તમામ લોકોને તોફાન કરવા ભેગા થયા હોવાનું ગણી શકાય છે. આ ઉપરાંત જે લોકો પહેલેથી પરવાનગી લઇને ભેગા થાય છે તેમની પણ ગેરકાયદેસર બેઠક ગણી શકાય છે.
ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા આ કલમમાં સામેલ
144ની કલમ સત્તાધીશોને ઈન્ટરનેટ બંધ કરી દેવાની પણ સત્તા આપે છે. આ સત્તાને ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી છે. આ કલમ એટલી શક્તિશાળી છે કે તેને લઇને કેટલાક વિવાદો ઉભા થયા છે.
આ કલમનો ક્યારે ઉપયોગ કરાય છે?
1970ના મધુ લિમાયે વિરુદ્ધ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે કલમ 144 નો મૂળ ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિમાં હાનિકારક પરિણામો ન આવે તે માટેનો છે. આ એક વહીવટી સત્તા નથી પરંતુ જ્યુડીશ્યરી સત્તા છે. આ કલમનો ત્યારે ઉપયોગ કરવામાં આવે છે જયારે તોફાન કરનાર લોકો અને સામાન્ય લોકોને જુદા પાડવા ખૂબ મુશ્કેલ હોય.
જોખમ તથ્યપૂર્ણ હોય ત્યારે જ આ કલમ લાગુ કરી શકાય
2012માં રામલીલા મેદાન ઘટના વિરુદ્ધ હોમ સેક્રેટરી કેન્દ્ર સરકારના કેસમાં (UPA સરકાર સામેના બાબા રામદેવ અને તેમના સમર્થકોના ભ્રષ્ટાચાર વિરુદ્ધના દેખાવોમાં) સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કલમ લાગુ કરવા માટે પ્રજાની શાંતિ અને સુરક્ષા સાચે જ જોખમમાં મુકાઈ હોય તે જરૂરી છે. ફક્ત સંભાવના, આશંકા અથવા કલ્પનાથી આ કલમનો ઉપયોગ ન કરી શકાય.
કલમ 144 અને બંધારણની કલમ 19 (1) ના સિદ્ધાંતો એકબીજા સાથે સીધા ટકરાય છે. કલમ 19 (1) દેશના તમામ નાગરિકોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે. 1989માં S. Rangarajan Etc vs P. Jagjivan Ram કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય બંધારણ તમામ લોકોને વાણી સ્વાતંત્ર્ય આપવા કટિબદ્ધ છે. પરંતુ આ વાણી સ્વાતંત્ર્યથી જો સમાજના હિતો જોખમમાં મુકાતા હોય તો તેની ઉપર લગામ લગાવવી જરૂરી છે. જો કે આ જોખમ દૂરનું, પૂર્વધારણા આધારિત અથવા અચોક્કસ ન હોવું જોઈએ અને તથ્ય આધારિત હોવું જોઈએ.
'અસહમતિ' લોકશાહીનો પાયો
એલગાર પરિષદ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે 5 સામાજિક કાર્યકરોને છોડી દેવાનો આદેશ આપતા નિવેદન આપ્યું હતું કે અસહમતિ અને મતભેદ એ લોકશાહીના સેફટી વાલ્વ સમાન છે. જો અસહમતિને પરવાનગી નહિ મળે તો પ્રેશર કુકર ફાટી જશે.