ભારતીય વાલીઓમાં બાળકોને સ્કૂલે બેસાડવાની ખૂબ ઉતાવળ જોવા મળે છે. આજકાલ બાળક બે વર્ષનું થયું નથી કે તેને પ્લે સ્કૂલમાં મૂકી દેવામાં આવે છે. તેના કારણે ઘણીવાર બાળક માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લે છે. જેની અસર બાળકોની શીખવાની ક્ષમતા પર જ નહીં તેના આરોગ્ય પર પણ પડે છે. શું તમે પણ કરી રહ્યા છો આ પ્રકારની ભૂલ? તો આપે જાણવું જરૂરી બનશે કે બાળકને સ્કૂલે બેસાડવાની ખરી મનોવૈજ્ઞાનિક ઉંમર કઈ છે.
ભારતમાં 3 વર્ષની ઉંમરે નર્સરીમાં પ્રવેશ અપાવી દેવાય છે
યૂ.કે.માં બાળકને શાળા અભ્યાસ શરૂ કરાવવાની લઘુતમ ઉંમર 5 વર્ષ છે
ધોરણ-1માં અભ્યાસ કરનારા 41% બાળકો માત્ર 9 સુધીનો આંકડા જ ઓળખી શકે છે
શું છે બાળઉછેરમાં ભૂલ?
વર્તમાન સમયમાં આપણા દેશમાં `પ્લે સ્કૂલ' અને `પ્રેપરેટરી' સ્કૂલનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. વાલીઓ પણ આ ચલણની જાળમાં આવીને પોતાના બાળકોને યોગ્ય ઉંમર પહેલાં જ સ્કૂલમાં મોકલવાનું શરૂ કરી દે છે. આ જ વાત બાળઉછેરમાં વાલીઓની મોટી ભૂલ સાબિત થાય છે. આજે બાળક બે વર્ષનું થયું નથી કે તેને પ્લે સ્કૂલમાં એડમિશન અપાવી દેવામાં આવે છે. એ પછી બાળકને 3 વર્ષની ઉંમરે નર્સરીમાં પ્રવેશ અપાવી દેવાય છે. 4 વર્ષની ઉંમરે બાળક કેજીમાં પહોંચી જાય છે. બાળક હજુ 5માં વર્ષમાં પ્રવેશ કરે કે તરત ધોરણ-1માં એડમિશન આપી દેવાય છે. કેટલા કિસ્સામાં બાળક 4 વર્ષની ઉંમરે જ પહેલા ધોરણમાં પહોંચી જાય છે.
6 વર્ષ પહેલાં જ ધોરણ-1 માં?
હકીકતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 પ્રમાણે પહેલા ધોરણમાં અભ્યાસ કરનારા બાળકની ઉંમર કોઈપણ કિંમતે 6 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. પરંતુ સરેરાશ ભારતીય વાલીઓમાં પોતાના બાળકોને સ્કૂલ મોકલવા માટેની એવી હોડ મચેલી રહેતી હોય છે કે, ઘણીવાર માત્ર 4 વર્ષનું બાળક પણ ધોરણ-1માં પહોંચી જાય છે. આ પ્રકારનું ચલણ માત્ર શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એટલે કે ASER-2019 પર એક નજર કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરનારા દર 5 માંથી એક બાળક 6 વર્ષ પૂર્ણ કરતાં પહેલાં જ ધોરણ-1માં પહોંચી જાય છે.
આ છે ચોંકાવનારું તથ્ય
કેટલાક મનોવૈજ્ઞાનિક રિપોર્ટની વાત સ્વીકારીએ તો જો પહેલા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ઉંમર 6 વર્ષથી વધારે હોય તો અભ્યાસ સામગ્રીને શીખવાની અને સમજવાની ક્ષમતા વધારે હોય છે. આવા બાળકોની સંજ્ઞાત્મક સ્કીલ વધારે સારી હોય છે. 6 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં શીખવાની ક્ષમતા થોડી નબળી હોય છે. 6 વર્ષની ઉંમરના બાળકોમાં અક્ષરો અને આંકડાઓ પારખવાની ક્ષમતા સારી હોય છે અને આવા બાળકોમાં યાદરાખવાની ક્ષમતા વધારે સારી હોય છે. રિપોર્ટમાં એ ચોંકાવનારી વાત પણ સામે આવી છે કે, જ્યારે ખૂબ ઓછી ઉંમરના બાળકોને શાળામાં પ્રવેશ કરાવી દેવામાં આવે છે તો તે સમગ્ર શૈક્ષણિક જીવનમાં શીખવાની બાબતમાં અન્ય બાળકો કરતાં પાછળ રહી જાય છે.
વિદેશમાં આ છે નિયમ અને ફાયદા
જો કે, શાળાપ્રવેશ માટેની ચોક્કસ ઉંમર બાબતે કેટલાક દેશોમાં ભીન્ન માપદંડ છે. કોઈ દેશમાં શાળા પ્રવેશ માટે 5 વર્ષની ઉંમર નિર્ધારિત કરાઈ છે તો કોઈ દેશમાં છ વર્ષ નકકી કરાયા છે. દુનિયાના બીજા દેશોની વાત કરીએ તો યૂ.કે.માં બાળકને શાળા અભ્યાસ શરૂ કરાવવાની લઘુતમ ઉંમર 5 વર્ષ છે. જ્યારે અમેરિકામાં 6 વર્ષની ઉંમર બાદ જ શાળાપ્રવેશ અપાય છે. K.Gમાં અભ્યાસ નહીં કરનાર બાળકને ડાયરેક્ટ ફોર્મલ સ્કૂલમાં દાખલ કરી શકાતું નથી. એટલે કે છ વર્ષની ઉંમરના બાળકને પણ K.Gમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ ઔપચારિક સ્કૂલમાં એડમિશન મળે છે. સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીના એક અભ્યાસ પર નજર નાખીએ તો જો બાળકોને થોડી મોટી ઉંમરમાં સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવે તો તેનાથી તેની શૈક્ષણિક સફળતા ઉત્તમ બને છે અને ગુનાખોરી તરફની તેની રુચિમાં ઘટાડો પણ થાય છે.
આ રીતે થાય છે નુકસાન
ASERનો અહેવાલ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે, નાની ઉંમરના બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં અનેક નુકસાન છે. હાલમાં ધોરણ-1માં અભ્યાસ કરનારા 41% બાળકો માત્ર 9 સુધીનો આંકડા જ ઓળખી શકે છે. જો NCERTનો માપદંડ જોઈએ તો ધો-1માં અભ્યાસ કરતાં બાળકો 99 અંક સુધી ઓળખી શકવા જોઈએ. હવે તમે વિચારો કે તમારા બાળકોને નાની ઉંમરે સ્કૂલમાં એડમિશન અપાવીને તેનું ભલું કરી રહ્યા છો કે તેનું ખરાબ કરી રહ્યા છો?