ભગવાન જગન્નાથ મોસાળમાં 15 દિવસ રહ્યા બાદ નિજમંદિર પરત ફર્યા છે. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત, ચોમેર ભક્તિમય માહોલ
મામાના ઘરેથી પરત ફર્યા ભગવાન જગન્નાથ
નિજ મંદિરમાં પરત ફરતા કરાઇ નેત્રોત્સવ વિધિ
સી.આર પાટીલ, હર્ષ સંઘવીએ આપી ખાસ હાજરી
આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી રંગેચંગે પૂર્ણ થઇ. ભગવાન મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા છે. તેઓને આઁખો આવી ગઇ હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ હાજર રહ્યા હતા. નેત્રોત્સવ વિધિ બાદ હર્ષ સંઘવીના હાથે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી યોજાઇ હતી. પરંતુ શું તમને ખબર છે, ભગવાનને નેત્રોત્સવ વિધિ કેમ કરવામાં આવે છે ? આવો જાણીએ
શું હોય છે નેત્રોત્સવવિધિ ?
નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મામાના ઘરે આગતા સ્વાગતા એટલી દમદાર હોય છે કે શું ખાવુ ને શું નખાવુ ? મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.
અષાઢી બીજે ખોલવામાં આવશે પાટા
ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે જે બાદ મંગળાઆરતી થશે. મહત્વનું છે કે રથયાત્રામાં ધોળી દાળ અને કાલી રોટીનું ખાસ મહત્વ હોય છે. ધોળી દાળ અને કાલી રોટીનો ભંડારો કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો લાભ લેશે.
આજથી ભંડારાની થઇ શરૂઆત
ભગવાન જગન્નાથની મહાઆરતી અને ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભંડારાની શરૂઆત કરવામાં આવી છે. બે વર્ષથી કોરોનાકાળને કારણે જે રંગેચંગે ઉજવણી કરવામાં આવી ન હતી તે આ વર્ષે હર્ષોલ્લાસ ભેર ઉજવવામાં આવશે. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો મંદિરમાં આવી પહોંચ્યા છે. 1 હજારથી પણ વધારે સાધુ સંતોને મહાપ્રસાદ એટલે કે કાલી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. માલપુઆ અને દૂધપાક પીરસવામાં આવી રહ્યા છે. સાધુ સંતોએ પણ બે વર્ષ બાદ આ પ્રસંગમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી.
રથયાત્રાને લઇને પોલીસ છે સજ્જ
ભગવાનની 145મી રથયાત્રાને પોલીસ વિભાગ સજ્જ થયું છે. આ માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની અધ્યક્ષતા હેઠળ પોલીસ વિભાગ ગ્રાન્ડ રિહર્સલ કરશે. જેમાં 25 હજાર પોલીસ કર્મચારીઓ જોડાશે. આ રિહર્સલ જગન્નાથ મંદિરથી સરસપુર અને પરત મંદિર સુધી કરવામાં આવશે. જેમાં ડ્રોન અને હેલિકોપ્ટરથી ચેકિંગ કરવામાં આવશે. સાથે 8 પોલીસ મથકના કંટ્રોલ રૂમમાં સુરક્ષાનું મોનીટરીંગ કરવામાં આવશે.મહત્વનું છે કે રથયાત્રા રૂટ પર પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, SRP, CAPFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે.