મોદી સરકારે આ મિશન પર 19,744 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત કરી છે. આ પ્રોજેક્ટથી લાખો રોજગારીની તકો પેદા થશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.
નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનાં બજેટને મંજૂરી
મિશન પાછળ 19,744 કરોડ રૂપિયાનો ખર્ચ
આશરે 6 લાખ નવો રોજગાર બનવાની સંભાવના
ભારત સરકારે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી છે. સરકારે જણાવ્યું છે કે આ મિશનથી જળવાયુ પરિવર્તનની મુશ્કેલીઓ સામે લડવા અને ભારતને ગ્રીન હાઈડ્રોજનનો 'ગ્લોબલ હબ' બનાવવામાં મદદ મળશે. 4 જાન્યુઆરી 2023નાં રોજ આ પ્રોજેક્ટ માટે કુલ 19 હજાર 744 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ મુદે ઘોષણા કરી છે.
અનુરાગ ઠાકુરે કર્યું એલાન
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણય પર ઘોષણા કરતાં જણાવ્યું કે દેશમાં 2030 સુધી દરેક વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાં વર્ષે સ્વતંત્રતા દિવસ પર નેશનલ હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી હતી.
ગ્રીન હાઈડ્રોજન એટલે શું?
હાઈડ્રોજન ગેસનાં ફોર્મમાં ઉપલ્બધ નથી. તેથી તેને બનાવવા માટે ચોક્કસ પ્રક્રિયા હોય છે. પાણીનાં ફોર્મ્યુલા H2oમાંથી હાઈડ્રોજનને છૂટ્ટું પાડવામાં આવે છે. પરંતુ આ પ્રોસેસમાં મોટાભાગે આપણે પરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે તેને 'ગ્રે હાઈડ્રોજન' કહેવામાં આવે છે. ઓછાં પ્રદૂષણથી બનતા હાઇડ્રોજનને બ્લૂ હાઈડ્રોજન કહેવામાં આવે છે. પરંતુ ગ્રીન હાઈડ્રોજનનું નિર્માણ રિન્યૂએબલ એનર્જીથી થાય છે. એટલે કે તેને બનાવવા માટે સોલર એનર્જી, વિંડ એનર્જી અને બાયોમાસનો ઉપયોગ થાય છે.
નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન શું છે ?
આ મિશનમાં ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદનની સાથે-સાથે તેની માગને વધારવું અને નિકાસ પણ સમાવિષ્ટ છે.તેના માટે સરકારે સ્ટ્રેટેજિક ઈન્ટરવેન્શન ફોર ગ્રીન હાઈડ્રોજન ટ્રાન્ઝિક્શન પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. જેના અંતર્ગત દેશમાં ઈલેક્ટ્રોલાઇઝરનું મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન શામેલ છે. હાઈડ્રોજન જે પ્રક્રિયાથી બને છે તેને ઈલેક્ટ્રોસિસ કહેવાય છે. સરકારે જણાવ્યું છે કે ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે 60થી 100 ગીગાવૉટ ક્ષમતાવાળા ઈલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરનાં મેન્યૂફેક્ચરિંગ અને ગ્રીન હાઈડ્રોજન પર 5 વર્ષો માટે ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
સરકારનું લક્ષ્ય 2030
ભારત સરકારનું લક્ષ્ય છે કે દેશમાં 2030 સુધી દરેક વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થાય છે. જેનાથી દેશની રિન્યૂએબલ એનર્જી ક્ષમતામાં 125 ગીગાવૉટનો વધારો થશે. સરકારનું કહેવું છે કે તેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની સાથે અશ્મિભૂત ઇંધણ પર પણ નિર્ભરતા ઓછી થશે.
આ ગ્રીન હાઈડ્રોજન મિશનનાં ફાયદાઓ
સરકારનો દાવો છે કે આ મિશનથી 2030 સુધી 6 લાખ રોજગાર પેદા થશે
8 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે
અશ્મિભૂત ઇંધણનાં આયાતમાં ઘટાડાની સાથે એક લાખ કરોડ રૂપિયા બચશે
અહીં થશે કરોડોનો ખર્ચ
કેન્દ્ર સરકારે કુલ 19 હજાર 744 રૂપિયાની મંજૂરી આપી છે. તેમાં પ્રોજેક્ટ લાગૂ કરવા પર 17 હજાર 490 રૂપિયા ખર્ચ થશે. તો 1466 કરોડ રૂપિયા પાયલટ પ્રોજેક્ટ પર, રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ માટે 400 કરોડ અને મિશનની બીજી વસ્તુઓ પર 388 કરોડ રૂપિયા ખર્ચ થશે.
2030 સુધીમાં હાઈડ્રોજનની કિંમતમાં થશે ઘટાડો
ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યૂટનાં રિપોર્ટ અનુસાર હાલમાં ગ્રીન હાઇડ્રોજનની કિંમત 221થી 737 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી છે. 2030 સુધી આ ભાવ 147 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થવાનું અનુમાન છે. ગ્રીન હાઈડ્રોજન પર શિફ્ટ થવાથી ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પરંપરાગત ઈંધણનાં ઉપયોગમાં પણ ઘટાડો આવશે. 2050 સુધીમાં હાઈડ્રોજનની માગ અને ખપત પાંચ ગણી વધી શકે છે.