2015નાં પાટીદાર અનામત આંદોલન બાદ રાજકીય દ્રષ્ટિએ પાટીદાર સમાજને ઘણો મોટો ફટકો પડ્યો. મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના પદ ગુમાવવા પડયા.
2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયું
આવનારી સરકાર પર પોતાનું પ્રભુત્વ વધારવા પાટીદારો એક થયા
શું પાટીદારો એકલા હાથે સત્તા મેળવી શકે તેમ છે?
એકલા પાટીદાર પાવરથી સત્તા અશક્ય છે. ગુજરાતમાં સરકારમાં ટોચના સ્થાને અથવા સરકારમાં મજબૂતી રહેવા માટે મજબુત ગણાતા પાટીદાર સમાજ પણ રાજકીય પક્ષનો આશરો લેવા માટે મજબૂર છે. આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે રાજકીય અને સામાજિક રીતે મજબૂત ગણાતા પાટીદાર સમાજને પણ મુખ્યમંત્રી પદ માટે ભેગા થવું પડે છે અને જાહેરમાં માંગ કરવી પડે છે. આવી સ્થિતિ શા માટે ઊભી થઈ? શું રાજ્યમાં પાટીદારો એકલા હાથે સરકાર ના બનાવી શકે? ગુજરાત વિધાનસભાની 2022ની ચુંટણીમાં માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે 2022ની ચુંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના ચહેરા અંગે તાગ મેળવવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટી પણ ચુંટણીને ધ્યાને રાખી મોટા પ્રમાણમાં ભરતી કરી રહી છે. આ રાજકીય સ્થિતીમા પાવર બતાવી લાભ ઉઠાવવા પાટીદાર આગેવાનોએ બેઠક કરી. આગામી સમયમાં સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તેવી માંગ જાહેરમાં રાખી છે. માંગ બાદ રાજકીય ગતિવિધીઓમાં ઘણી બધી હલચલ જોવા મળી.
છેલ્લા 21 વર્ષમાં માત્ર અઢી વર્ષ જ પાટીદાર CM રહ્યાં
રાજ્યમાં પાટીદાર સમાજ સમૃદ્ધ અને સભ્ય ગણાય છે જેને લઈ દરેક વર્ગ પાટીદાર આગેવાનને હસ્તે મોઢે સ્વીકારી લે છે. એક સમયે કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષોમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળતું હતું. જેથી ધારાસભ્ય, સાંસદ અને મંત્રીમંડળમાં પાટીદાર સમાજનો હિસ્સો લગભગ 50 ટકા જેટલો રહેતો. જો કે કોંગ્રેસના માધવસિંહ સોલંકીની ખામ નીતિ બાદ પાટીદારો ભાજપ તરફ ધસ્યા. કોંગ્રેસના તિરસ્કાર બાદ ભાજપના આવેલા પાટીદારોને હવે ભાજપમાં જ અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કારણકે છેલ્લા 21 વર્ષમાં અઢી વર્ષ માટે એક માત્ર આનંદીબેન પટેલ જ પાટીદાર મુખ્યમંત્રી બની શક્યા છે. એટલે હવે પાટીદારો પોતાની શક્તિ અને વર્ચસ્વ પ્રમાણે મુખ્યમંત્રી પદ માટે માંગ કરી રહ્યા છે.
આંદોલનના કારણે CM અને ગૃહરાજમંત્રી પદ ગુમાવ્યું
2015મા શરૂ થયેલા પાટીદાર આંદોલનને કારણે ભાજપમાં પાટીદાર સમાજની સ્થિતિ નબળી પડી છે તે વાસ્તવિકતા છે. પાટીદાર અનામત આંદોલનને કારણે તત્કાલીન પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પાટીદાર ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને રાજીનામું આપવું પડ્યું હતું. આંદોલનના કારણે પાટીદારોએ 14 વર્ષ બાદ હાથમાં આવેલા રાજ્ય સરકારના બે મહત્વના પદ ખોવા પડ્યાં. ત્યારથી સ્વાભાવિક પણે પાટીદાર સમાજમાં રાજકીય અસંતોષ હોય. સામાજિક રીતે પાવરફુલ, પૈસા હોવા છતાં મુખ્યમંત્રી પદ સુધીના પહોંચી શકો તો બધું નકામું ગણાય.
2012માં પાટીદાર ચહેરાને મળી મોટી હાર
અહી સવાલ એ ઉભો થાય છે કે કુલ વસ્તીના 12 ટકા વસ્તી ધરાવતો સમાજ, ક્યારેય ના ખૂટે તેટતું ફંડ એકત્ર કરવાની ક્ષમતા ધરાવતો સમાજ ભાજપ અને કોંગ્રેસ થી અલગ થઈ પાટીદારોનો અલગ પક્ષ કેમ ઉભો ના કરી શકે? પાટીદારો પાસે રાજકીય પક્ષનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી? અગાઉના અનુભવોથી સમાજના નેતાઓ ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષો સામે બળવો કરતા ડરી રહ્યા છે. વર્ષ 2012 વિધાનસભાની ચુંટણીમાં પાટીદારોએ પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ નીવડ્યો. ભાજપને પડકારવા કેશુભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત પરિવર્તન પાર્ટી નામે પક્ષની રચના કરી પાટીદારોએ એકલા હાથે ચુંટણી લડી અને ભયંકર નિષ્ફળતા મળી. 182 બેઠકમાંથી માત્ર એક જ બેઠક મળી એ પણ કેશુબાપાની પરંપરાગત ગણાતી વિશાવદર બેઠક પર કેશુબાપા નામથી બેઠક જીતી. આ બેઠક પર પણ પાટીદાર પાવરની કોઈ અસર ગણી શકાય નહીં. શહેરી વિસ્તારમાં પણ પાટીદાર ફેક્ટર ચાલ્યું નહીં. સમાજના દમ પર ચુંટણી જીતવી હોય તો પણ બીજા નાના સમાજોની મતદાર તરીકે જરૂર પડે જ છે એ વાત પાટીદાર સમાજના નેતાઓને - આગેવાનોને સારી રીતે સમજાઈ ગઈ.
2017માં ભાજપે જૈન ચહેરા સાથે પણ ચુંટણી જીતી
2015નાં પાટીદાર અનામત આંદોલન બાદ રાજકીય દ્રષ્ટિએ પાટીદાર સમાજને ઘણો મોટો ફટકો પડ્યો. મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના પદ ગુમાવવા પડયા. બીજી તરફ પાટીદારો એકત્ર થતા અન્ય સમાજ પણ સંગઠિત થવા લાગ્યા. ઠાકોર સમાજ, ઓબીસી, રાજપૂત સંગઠનો પણ સક્રિય થયા. જ્યારે જ્યારે પાટીદાર સમાજ રાજકીય માંગ કરે તો તેની સામે આ બધા સમાજ પણ માંગ કરતા થયા. આ સ્થિતિનો ફાયદો ભાજપને 2017 વિધાનસભા ચુંટણીમાં થયો. ભાજપે વિજય રૂપાણી ના નામ પર ચુંટણી લડી અને જીત પણ મેળવી. બે વર્ષના ગાળામાં પાટીદારોની આ બીજી મોટી હાર હતી. કારણ કે પાટીદાર સમાજના કેટલાક લોકો સમાજના નામે ભાજપને હારવાનો પડકાર ફેક્યો હતો. ભાજપને બેઠકોનું નુકશાન ચોક્કસ થયું પણ સત્તા ટકાવી રાખી. પાટીદાર જુવાળ વચ્ચે પણ જૈન કોમ્યુનિટીનાં ચહેરા પર ભાજપ સત્તા મેળવી અને લોકોનો રોષ પણ થોડા ઘણા અંશે દૂર કર્યો. 2019 લોકસભામાં પણ ભાજપે 26 બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો. જો કે તેમાં કોગ્રસની નિષ્ક્રિયતા પણ કારણભૂત ગણી શકાય. હવે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં જે પરિણામો આવ્યા તેનાથી સ્પષ્ટ થયું કે હવે સામાજિક પ્રેશર ટેક્નિકથી ભાજપ ઉપર દબાણ કરી શકાય તેમ નથી. કોંગ્રેસના પાટીદારોનું બહુ ખાસ કંઇ ઉકળે તેમ નથી. જો કે તેમ છતાં ભાજપમાં પાટીદાર સમાજના આગેવાનોનું હજી પણ માન સન્માન ઘણું છે પણ દાદાગીરી કરી પોતાની વાત મનાવી શકે તેવું નહી. હવે પાટીદાર નેતાઓનો માત્ર સમાજને સાથે રાખવા પૂરતો જ ઉપયોગ થઈ રહ્યો છે.
રાજા નહીં વજીરની ભૂમિકામાં છે પાટીદાર સમાજ
ભાજપની વાત કરીએ તો હાલમાં પાટીદાર સમાજ રાજા નહીં પરંતુ વજીરની ભૂમિકામાં ગણી શકાય. કોંગ્રેસમાં રાજા બનવા માટે પાટીદારો અને ક્ષત્રિય ઠાકોર સમાજ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 વર્ષના અનુભવ અને રાજકીય પરિસ્થિતિ પ્રમાણે પાટીદાર સમાજે એકલા હાથે સત્તા મેળવવી અશક્ય વાત છે. એટલે જ પાટીદાર સમાજે મજબૂત અને તાકાતવાર રહેવા માટે રાજકીય પક્ષની શરણમાં રહેવું આવશ્યક છે. નવા પક્ષના નિર્માણ કરવાની વાત હાલના સમયમાં પાટીદાર સમાજ માટે જોખમી સાબિત થઇ શકે છે. 2015ના આંદોલન બાદ અન્ય સમાજમાં પાટીદાર સમાજ પ્રત્યે ધ્રૃણા જોવા મળી રહી છે. જે માન પાટીદાર સમાજ અગાઉ હતું તે જોવા નથી મળી રહ્યું છે. પાવરમાં રહેવાનો પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોની લાલસા હવે બીજા સમાજના લોકો સારી રીતે જાણે છે.
શું છેક સુધી પાટીદારો એક રહી શકશે?
આ સવાલ ઊભો થાય છે કારણ કે હજુ ખોડલધામની બેઠકને માત્ર પાંચ જ દિવસ થયા છે ત્યાં પાટીદારોના નેતાઓમાં કેટલાકના નિવેદનો બદલાઈ ગયા છે. પાટીદારોના નેતા RP પટેલે 12મી જૂને નરેશ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું જે આજે બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે CM નક્કી કરવા એ પાર્ટીનો મામલો છે. બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની હતી. પાટીદાર સિવાયના CMને પાટીદારોએ સહયોગ આપ્યો છે અને તમામને સાથે રાખીને ચાલનારો સમાજ છે. જ્યારે ગુજરાતમાં પાટીદાર CM હતા ત્યારે પાટીદારોએ જ વિરોધ કર્યો હતો.