ગયા મંગળવારે જ ઍક ચોંકાવનારી ઘટના બની હતી. જેને જોઈને સાંભળીને આખો દેશ હચમચી ગયો હતો. એ ઘટના છે સિંગર કેકેના અચાનક થયેલ નિધન વિશેની. જ્યાં કોલકતાના નજરૂલ મંચ પર સિંગર કેકે લાઈવ પર્ફોમન્સ આપી રહ્યા હતા અને એ બાદ હોટલ પહોંચીને એમનું નિધન થયું હતું.
કેકેના નિધન બાદ કોન્સર્ટના આયોજકો સામે સવાલ ઉઠ્યા
જો કે ડોક્ટર્સનું કહેવું છે કે એમનું નિધન હાર્ટ અટેકને કારણે થયું હતું પણ ઘણા લોકો એ કોન્સર્ટના આયોજકો સામે સવાલ ઉઠાવી રહ્યાં છે. લોકોના મત અને વાયરલ વિડીયો મુજબ જ્યાં કોન્સર્ટ ચાલી રહ્યો હતો એ જગ્યા પર લિમિટ કરતા વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાંના વેન્ટિલેશન વિશે પણ કેકે ફરિયાદ કરી રહ્યા હતા એવો વિડીયો સામે આવ્યો હતો. પણ આ બધા દાવાને નકારતા ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે સિંગર કેકેની ડાબી બાજુની કોરોનરી આર્ટરીમાં એક મોટું બ્લૉકેજ હતું અને એ સાથે જ બીજી ઘણી નસોમાં નાના-મોટા બ્લૉકેજ હતા. લાઈવ પર્ફોમન્સ દરમિયાન એ ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને એ જ કારણે એમની બ્લડ સપ્લાઈમાં અસર પડી અને એ અટકી ગઈ, એ જ કારણે એમણે હાર્ટ અટેક આવ્યો અને એમનું નિધન થઈ ગયું હતું.
જો કે ડોક્ટરે એ પણ ખુલાસો કર્યો હતો કે જો એમણે સમયસર સીપીઆર મળી ગયું હોત તો એમનો જીવ બચી ગયો હોત. તો ચાલે જાણીએ કે સીપીઆર (CPR) શું છે અને એ હ્રદયના દર્દીઓ માટે કેવી રીતે જીવ બચાવનાર સાબિત થાય છે.
સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર (CPR) મળી રહે તો એમનો જીવ બચી શકે છે.
સીપીઆર (CPR) વિશે હજુ ઘણા લોકો અજાણ છે તો તમને જણાવી દઈએ કે આ એક મેડિકલ થેરેપી છે જે સમય રહેતા હ્રદય અને શ્વાસની ખામીથી પીડાતા દર્દીને મળી રહે તો એમનો જીવ બચવાની સંભાવના ઘણી વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ કોઈ મેડિકેશન નથી પણ આ એક પ્રોસેસ છે જેમાં સામાન્ય સ્થિતિમાં જ્યારે અચાનકથી કોઈનો શ્વાસ રોકાવા લાગે તો એ વ્યક્તિની છાતી પર દબાણ આપી અને મોઢા દ્વારા ઑક્સીજન આપીને એમને નવું જીવન દાન આપી શકાય છે. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને શ્વાસ અટકી જાય તો તમે એમને આ રીતે સીપીઆર (CPR) આપીને એમનો જીવ બચાવી શકો છો.