કેન્દ્ર સરકારે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) સાથે રાજકીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનેક રીતે મહત્વપૂર્ણ છે અને આ ક્ષેત્રમાં લોહિયાળ બળવાખોરીનો અંત લાવી શકે છે. બોડો લોકો પશ્ચિમ આસામના એવા વિસ્તારમાં રહે છે જે આસામ અને બાકીના ઉત્તર-પૂર્વ વિસ્તારને દેશ સાથે જોડતો એક લાંબો માર્ગ પૂરો પાડે છે. તેથી ત્યાં શાંતિની સ્થાપનાનો અર્થ એ છે કે ભારતની મુખ્ય ભૂમિ અને ઇશાન વચ્ચે સલામત સંપર્કને સ્થાપિત કરવો. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પૂર્વના રાજયોની નીતિ માટે સકારાત્મક છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે, બોડો કરાર નવા રાજ્યોના નિર્માણ અને પ્રાદેશિક પુનઃગઠન માટે પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.
કેન્દ્ર સરકારે કર્યા બોડોલેન્ડ કરાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ્સ દ્વારા કરાર અંગે ખુશી વ્યક્ત કરી
ર૭ વર્ષ દરમિયાન બોડો જાતિઓ સાથે અત્યાર સુધી ત્રણ કરાર કર્યા
ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે એનડીએફબીના બળવાખોરોને મ્યાનમારમાંથી પાછા લાવવામાં આવી શકે છે. તેથી અપેક્ષા કરવામાં આવે છે કે દેશના સરહદી પ્રાંત સેગંગમાં રહેલા પૂર્વોત્તરના અન્ય આતંકવાદી જૂથોને પણ ફરીથી પાછા લાવવામાં આવશે. હાલ તો ઉત્તર-પૂર્વીય રાજયોમાં ચાલતી અશાંતિ દૂર થાય તેવી આશા જાગી છે. ચોથો મહત્વનો મુદ્દો એ છે કે આ સમજૂતીથી નાગાલેન્ડની સમસ્યાને પણ કાયમી ધોરણે હલ કરી શકાશે. જે ભારતની જનજાતિઓના બળવાનું સૌથી જૂનું કેન્દ્ર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ્સ દ્વારા કરાર અંગે ખુશી વ્યક્ત કરી
આસામના મુખ્ય પ્રધાન, એનડીએફબીના ચાર જૂથોનું નેતૃત્વ કરતાં ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (એબીએસયુ), ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અને આસામના મુખ્ય સચિવની હાજરીમાં ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ્સ દ્વારા કરાર અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે જેઓ અગાઉ સશસ્ત્ર સંઘર્ષ જૂથો સાથે સંકળાયેલા હતા તે હવે મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રની પ્રગતિમાં ફાળો આપી રહ્યા છે. બોડો લોકોને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કેન્દ્ર સરકાર શક્ય તેટલી તમામ મદદ કરશે.
બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન તરીકે ઓળખાશે
બોડોલેન્ડને હવે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી) કહેવામાં આવે છે, પરંતુ જ્યારે કરાર લાગુ થશે ત્યારે તે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) બનશે.સમજુતી અનુસાર, બીટીઆરને અધિકાર આપવામાં આવશે. બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની હાલની ૪૦ બેઠકો વધારીને ૬૦ કરવામાં આવશે અને આ ક્ષેત્રમાં નવા જિલ્લાઓ બનાવવામાં આવશે. ગૃહ વિભાગ સિવાયની સત્તાઓ બીટીઆર પાસે રહેશે.
ર૭ વર્ષ દરમિયાન બોડો જાતિઓ સાથે અત્યાર સુધી ત્રણ કરાર કર્યા
ઇતિહાસ પર નજર નાખીએ તો કેન્દ્ર સરકારે છેલ્લા ર૭ વર્ષ દરમિયાન બોડો જાતિઓ સાથે અત્યાર સુધી ત્રણ કરાર કર્યા છે. અસમના આતંકવાદી જૂથો અને સરકાર વચ્ચે અનેક અથડામણ થઈ છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે. ૧૯૯૩માં ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન અને કેન્દ્ર સરકાર વચ્ચે પ્રથમ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તે કરારના પરિણામે બોડોલેન્ડ સ્વાયત્ત પરિષદની રચના થઈ. ર૦૦૩માં કેન્દ્ર સરકાર અને બોડો લિબરેશન ટાઇગર્સ (બીએલટી) નામના એક ઉગ્રવાદી સંગઠન વચ્ચે બીજો કરાર થયો હતો.
તે કરારના પરિણામે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી) ની રચના ચાર જિલ્લાઓ - ઉદલગુડી, ચિરાંગ, બાકસા અને કોકરાઝાર સાથે થઈ હતી. આ વિસ્તારોને સામાન્ય રીતે બોડોલેન્ડ પ્રાદેશિક જિલ્લા ક્ષેત્ર (બીટીએડી) કહેવામાં આવે છે. ત્રીજો કરાર હવે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ બીએફ બોડોલેન્ડ (એનડીએફબી) સાથે છે. બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી) ની રચના ભારતીય બંધારણના છઠ્ઠા શેડ્યૂલ હેઠળ શિક્ષણ, બાગાયતી અને જંગલો જેવા બોદો જાતિઓના પ્રશ્નોની દેખરેખ માટે કરવામાં આવી હતી. જો કે પોલીસ, સામાન્ય વહીવટ અને આવક આસામ સરકાર દ્વારા નિયંત્રિત છે.