ટેલિકોમ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાંથી પસાર થઇ રહી છે. એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના મામલાને લઇ ટેલિકોમ કંપનીઓ સૌથી મોટી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે એજીઆરને ઇન્ડસ્ટ્રીનું સૌથી અભૂતપૂર્વ સંકટ જણાવ્યું છે એટલું જ નહીં, ટેલિકોમ સેક્ટર પર છવાયેલાં કટોકટીનાં કાળાં ડિબાંગ વાદળને લઇ યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાઅે જણાવ્યંુ છે કે જો સરકાર કંઇ કરશે નહીં તો ટેલિકોમ સેેક્ટર તબાહ થઇ જશે. તેમણે જણાવ્યું છે કે ત્રણમાંથી બે ટેલિકોમ કંપનીઓ તો પાયમાલ થઇ જશે જ. નિષ્ણાતોને એવી દહેશત છે કે એજીઆર સંકટને લઇ માત્ર ટેલિકોમ સેક્ટર જ નહીં ડૂબે, પરંતુ રોજગાર, બિઝનેસ, ઇકોનોમી બધું જ ખતરામાં મુકાઇ જશે.
એજીઆર એટલે કે એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ ટેલિકોમ વિભાગ
ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે એજીઆરની ગણતરી માત્ર ટેલિકોમ સેવાઓ દ્વારા થતી આવકના આધારે કરવી જોઇએ
વોડાફોન-આઇડિયા કંપની પાસે એજીઆર પેટે રૂ.પ૩,૦૦૦ કરોડ બાકી કાઢવામાં આવ્યા છે
બેન્કરોએ પણ દહેશત વ્યક્ત કરી છે કે વોડાફોન-આઇડિયા કંપની બંધ થઇ જશે તો બેન્કોની બેડ લોનમાં જંગી વધારો થશે. વોડાફોન-આઇડિયાને આપવામાં આવેલ રૂ.૩૦,૦૦૦ કરોડની લોનની વસૂલાત સામે પણ સવાલો ઊભા થશે, કારણ કે વોડાફોન-આઇડિયાને સુપ્રીમના આદેશ મુજબ બાકી નીકળતા એજીઆર પેટે ટેલિકોમ વિભાગને રૂ.૫૩ હજાર કરોડ ચૂકવવાના થાય છે. આમ, સુપ્રીમ કોર્ટ અને ટેલિકોમ વિભાગ દ્વારા એજીઆરના જંગી પેમેન્ટના દબાણમાં હવે ટેલિકોમ કંપનીઓ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.
વાસ્તવમાં એજીઆર શું છે અને તેને લઇ વિવાદ શું છે? એજીઆર એટલે કે એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી વસૂલાતી યુસેજ અને લાઇન્સિંસગ ફી છે, તેના બે ભાગ હોય છે-સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ અને લાઇન્સિસંગ ફી. ટેલિકોમ વિભાગનું કહેવું છે કે એજીઆરની ગણતરી કોઇ ટેલિકોમ કંપનીને થનારી સંપૂર્ણ આવક કે રેવન્યૂના આધારે કરવી જોઇએ, જેમાં ડિપોઝિટ ઇન્ટરેસ્ટ અને એસેટ્સ વેચાણ જેવા બિનટેલિકોમ સ્રોતથી થતી આવકનો પણ સમાવેશ થાય છે.
જ્યારે બીજી બાજુ ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે એજીઆરની ગણતરી માત્ર ટેલિકોમ સેવાઓ દ્વારા થતી આવકના આધારે કરવી જોઇએ અને તેના કારણે ડોટ દ્વારા એજીઆરની જે રકમ ડિમાન્ડ કરવામાં આવી છે તેની સામે ટેલિકોમ કંપનીઓએ વાંધો ઉઠાવ્યો છે. એરટેલના જણાવ્યા અનુસાર સરકારે એજીઆર પેટે તેમની પાસેથી રૂ.૩૫,૫૦૦ કરોડ બાકી કાઢ્યા છે, પરંતુ વાસ્તવમાં આ રકમ રૂ.૧૫ હજાર કરોડથી રૂ.૧૮,૦૦૦ કરોડ હોઇ શકે છે. વોડાફોન-આઇડિયાના અનુમાન અનુસાર બાકી નીકળતી રકમ રૂ.૧૮,૦૦૦ કરોડથી રૂ.૨૩,૦૦૦ કરોડ હોઇ શકે છે, જ્યારે ટેલિકોમ વિભાગે તેની પાસે રૂ.૫૩,૦૦૦ કરોડ બાકી કાઢ્યા છે.
વોડાફોન-આઇડિયા કંપની પાસે એજીઆર પેટે રૂ.પ૩,૦૦૦ કરોડ બાકી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત તેના પર લાગુ પડતા જીએસટીની નોટિસ પણ સરકાર દ્વારા બજાવવામાં આવી છે. આમ, જો વોડાફોન-આઈડિયાને આટલી જંગી રકમ ચૂકવવી પડે તો તેની બેલેન્સશીટ અને બજેટ બંને ઊંધાં-ચત્તાં થઇ શકે છે અને કંપનીને આખરે તાળાં મારવાની નોબત આવી શકે છે.
આમ, એજીઆરની ફોર્મ્યુલાએ ટેલિકોમ કંપનીઓની કમર તોડી નાખી છે અને ડૂબવાના આરે પહોંચાડી દીધી છે. આવા આર્થિક મંદીના દોરમાં એજીઆર દ્વારા નેગેટિવ સિગ્નલ જઇ રહ્યો છે અને તેની અસર રોજગાર, બિઝનેસ અને ઇકોનોમી સુધી જોવા મળશે, જેના કારણે મંદીનો માર સહન કરી રહેલ અર્થતંત્રને વધુ મરણતોલ ફટકો લાગશે અને તેથી સરકારે યુદ્ધના ધોરણે આ સંકટ નિવારવા પ્રયાસ કરવો જોઇએ.