સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે, કેજરીવાલની પાર્ટીએ ગુજરાતમાં રાજકીય ભાવિ માટેના પાયા નાખી દિધા છે.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજો મોરચો સફળ રહ્યો નથી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિ અને ત્યાર બાદ આવેલા પરિણામથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે, કેજરીવાલની પાર્ટીએ ગુજરાતમાં રાજકીય ભાવિ માટેના પાયા નાખી દિધા છે.
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના આક્રોશમાંથી ઉભી થયેલી આમ આદમી પાર્ટીને એક દાયકા કરતા પણ ઓછા સમય થયો છે. પરંતુ તેના રાજકીય કદના વિકાસમાં જરા પણ ઓટ આવી નથી. ડિસેમ્બર 2013માં દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 15 વર્ષથી સત્તાસુખ ભોગવતી કોંગ્રેસને આશ્ચર્યજનક રીતે ઝટકો આપ્યા બાદ કેજરીવાલ સત્તામાં આવ્યા હતા. 49 દિવસ સુધીની સરકાર બાદ ફરી બે વખત પ્રચંડ બહુમત સાથે દિલ્લીનો તાજ પોતાના નામે કરવામાં સફળ રહ્યા. અને હવે ભાજપના બે કદ્દાવર નેતા મોદી અને અમિત શાહના ગઢમાં પણ આમ આદમી પાર્ટીએ સૂચક રીતે પાયા નાખી દિધા છે.
આમ આદમી પાર્ટી સુરતમાં સત્તાની લગામ તો હાથમા ન લઈ શકી પરંતુ કોંગ્રેસને સાઈડલાઈન કરીને મજબૂત વિપક્ષ તરીકે પોતાનો દાવો ઠોકી દિધો છે. એક હકીકત એ પણ છે કે સુરત સિવાય અન્ય કોઈ મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટી સારુ પ્રદર્શન નથી કરી શકી. પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે વકરો એટલો નફો જેવી સ્થિતિ હતી. અને પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ આ સ્થિતિથી ખૂબ સારી રીતે વાકેફ હતા. આ જ વાતનો ઉલ્લેખ તેમણે વીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં પણ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે ખુદ અરવિંદ કેજરીવાલ તો ન આવ્યા પરંતુ તેમનો જમણો હાથ ગણાતા સંઘર્ષ સમયના સાથી અને દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાને પ્રચાર માટે મોકલ્યા હતા. ગયા વર્ષે યોજાયેલી દિલ્લી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ મુજબ જ આમ આદમી પાર્ટીએ લોકો સમક્ષ ગુજરાત મોડેલની સામે દિલ્લી મોડેલને પ્રચારના મુખ્ય હથિયાર તરીકે વાપર્યો. મતદારોને સીધી રીતે અસર કરે તેવા મુદ્દા સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, ભ્રષ્ટાચાર વગરના તંત્રના વાયદા કર્યા. આ ઉપરાંત ઉમેદવારના નામ કરતા કેજરીવાલની રાજકીય નીતિમાં પ્રજાએ રસ દાખવ્યો.
ગુજરાતમાં રાજકીય રીતે પગપેસારો કરવા માટે ઘણા વર્ષોથી કેજરીવાલ પ્રયાસમાં હતા. કારણકે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પોતાનું એક આગવું સ્થાન ઉભુ કરવાનો અર્થ આખાય દેશ માટે એક સંકેત આપવા જેવો હોય છે. વર્ષ 2014માં જ્યારે પૂર્ણ બહમત ન હોવાના કારણે કેજરીવાલને દિલ્લીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. ત્યાર બાદ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અને જે તે સમયે ગુજરાત મોડેલ પર જ સવાલ ઉભા કર્યા હતા. 2014માં કેજરીવાલ પ્રધાનમંત્રી મોદી સામે વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા પણ ખરા, પરંતુ મોદી લહેરમાં માઠી હાર વેઠવી પડી.
પરંતુ ગુજરાતમાં પગપેસારો કરવાની આશા સાત સાત વર્ષ સુધી સાચવી રાખી. જ્યારે હાલમાં ગુજરાતમાં કોંગ્રેસનું કદ ઘટી રહ્યું છે, તેને તક સમજીને કેજરીવાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એન્ટ્રી મારી દિધી. જેનો અર્થ છે કે સત્તા ભલે ન મળે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનના પાયા નાખવામાં સફળ રહી છે. એ વાત પણ ચર્ચામાં છે કે દોઢ વર્ષ બાદ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી બમણા જોરે મેદાને ઉતરશે. અને જો આવું થશે, તો માત્ર કોંગ્રેસ જ નહીં, ભાજપ પણ આમ આદમી પાર્ટીની ઉપસ્થિતિને અવગણી નહીં શકે.
ભાવનગરમાં ભાજપે સર્જયો ઇતિહાસ
ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીનો ફરીવાર ભગવો લહેરાયો છે. તમામ મહાપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે પરંતુ ભાવનગરમાં તો ભાજપે આ વખતે ઇતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધીના સમયમાં આ એક રેકોર્ડ છે કે કોઈ પાર્ટી ભાવનગર મનપામાં 52 માંથી 44 સીટો મેળવીને સત્તામાં આવી હોય, આમ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ગણાતા ભાવનગરમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સત્તામાં પુનર્વાપસી કરી છે.