દિલ્હીની શ્રદ્ધા વોલ્કર હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આવો વધુ એક ખુલાસો થયો છે.
શ્રદ્ધાની માતા જીવતી હતી ત્યારે પુત્રીના લગ્ન જોવા માંગતી હતી
શ્રદ્ધાની માતાની તબિયત દિવસે ને દિવસે કથળતી જતી હતી
શ્રદ્ધાના પિતા વિકાસ પુત્રીનું માગુ લઈને આફતાબના ઘેર ગયા હતા
આફતાબના નાના ભાઈ અસદે ઘરની અંદર પણ આવવા દીધા નહોતા
શ્રદ્ધા વોકર મર્ડર કેસ મુંબઈ, દિલ્હી સહિત સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ શ્રદ્ધાના પિતા વિકાસ બેમને પણ શ્રદ્ધા અને આફતાબ પૂનાવાલાના લગ્ન માટે રાજી થઈ ગયા હતા. વાસ્તવમાં શ્રદ્ધાની માતાની તબિયત ખૂબ જ ખરાબ બની રહી હતી અને જીવતેજીવ શ્રદ્ધાનું ઘર બંધાઈ જાય તેવી માતાની અંતિમ ઈચ્છા હતી. પત્નીની આ ઈચ્છા પૂરી કરવા માટે પિતા વિકાસ ડિસેમ્બર 2019માં શ્રદ્ધાનું માગુ લઈને આફતાબના ઘેર ગયા હતા.
શું બન્યું આફતાબના ઘેર
પિતા શ્રદ્ધાનું માગુ લઈને જ્યારે આફતાબના ઘેર ગયા ત્યારે આફતાબના નાના ભાઈ અસદે તેમને ઘરમાં પણ આવવા દીધા નહોતા અને સંબંધ ઠુકરાવીને બારોબાર રવાના કરી દીધા હતા. આ ઘટના બાદ જાન્યુઆરી 2020માં શ્રદ્ધાની માતાનું નિધન થયું હતું. દીકરીની હત્યાથી પીડિત વિકાસ વોકર પણ એ વાત યાદ કરીને ભાવુક થઈ જાય છે કે જ્યારે તે પોતાની દીકરીના લગ્ન માટે વસઈ સ્થિત આફતાબના ઘરે ગયા હતા ત્યારે તેમની સાથે પત્ની અને ભાભી પણ હતી. ત્યારે શ્રદ્ધા ઘર છોડીને આફતાબ સાથે રહેવા લાગી હતી તો બીજી તરફ વિકાસની પત્નીની તબિયત પણ દિવસેને દિવસે બગડતી જતી હતી. વિકાસે એમ પણ કહ્યું હતું કે, તેણે શ્રદ્ધા સાથે વહેલી તકે લગ્ન કરવાની વાત પણ કરી હતી કારણ કે તેની માતાની તબિયત લથડી રહી હતી. જો કે તે સમયે શ્રદ્ધાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બધું જાણવા છતાં તે આફતાબના પરિવારને તેના ઘરે મળવા ગયો હતો પરંતુ તેમને મળવા દેવાયા નહોતા.
શ્રદ્ધાની હત્યા બાદ અચાનક ગાયબ થયો આફતાબનો પરિવાર
વિકાસ વાલકરે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે કે અચાનક આફતાબનો આખો પરિવાર વસઈમાંથી ગાયબ થઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાએ તેમના મનમાં શંકા વ્યક્ત કરી હતી કે તેની પુત્રી સાથે કંઈક અઘટિત ઘટના બની છે. આફતાબનો પરિવાર બે દાયકાથી વસઈમાં રહેતો હતો, પરંતુ 11 નવેમ્બરે શ્રદ્ધાની હત્યાની વાત સામે આવી તેના બે અઠવાડિયા પહેલા જ તેઓ વસઈ છોડીને ચાલ્યા ગયા હતા. આફતાબે તેમને વસઈથી બીજી જગ્યાએ ખસેડવામાં મદદ કરી હતી. વિકાસ વાલકરે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે, આ હત્યા બાદ તેણે આફતાબને સીધો જ દિલ્હીમાં પોલીસની કસ્ટડીમાં જોયો હતો. તેમણે કહ્યું કે પોલીસે આફતાબના પરિવારની પણ પૂછપરછ કરવી જોઈએ.
માતાના મોત બાદ શ્રદ્ધા ઘર છોડીને ચાલી ગઈ
પિતા વિકાસે જણાવ્યું કે, આ ઘટના બાદ શ્રદ્ધાની માતાનું મોત થયું હતું. જે બાદ તેણે આફતાબ સાથે લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ પછી વિકાસે તેને થોડા સમય માટે રોકાવાનું કહ્યું હતું કારણ કે તે જ સમયે શ્રદ્ધાની માતાનું નિધન થયું હતું. કદાચ શ્રદ્ધા પણ આ વાતથી ગુસ્સે થઇ ગઇ હતી, જેના કારણે તેણે પોતાના ઘરનું સરનામું પણ પરિવારને જણાવ્યું ન હતું. વિકાસે એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધાએ ક્યારેય કહ્યું ન હતું કે આફતાબ તેના પર હુમલો કરતો હતો. જોકે શ્રદ્ધાના મિત્રોએ કહ્યું છે કે તે આફતાબના પરિવાર સાથે સંપર્કમાં હતી અને તેઓ જાણતા હતા કે આફતાબ તેને માર મારતો હતો.