સરદાર પટેલ સાથે મુલાકાત કર્યાં બાદ પ્રાર્થના સભા તરફ જઈ રહેલા બાપુને નાથુરામ ગોડસે રસ્તામાં જ રોક્યા અને તેણે બાપુને હાથ જોડીને નમન કર્યું
બિરાલા હાઉસમાં પ્રાર્થના સભામાં જોડાતા પહેલા હત્યા કરાઈ
સરદાર પટેલ તેમની દિકરી મણિબેન સાથે બિરલા હાઉસ પહોંચ્યા હતા
ગોડસેએ બાપુની હત્યા કરી હોવાની કબુલાત કરી
ગોડસેએ 3 ગોળીઓ ધરબી દીધી
આજે મોહનદસ કરમચંદ ગાંધીની પુણ્યતિથી છે. 30 જાન્યુઆરી 1948નાં રોજ દિલ્હીમાં સ્થિત બિરલા ભવનમાં ગાંધીજીને ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. નાથુરામ ગોડસેએ ગાંધીજીને એકપછી એક ત્રણ ગોળીઓ ધરબી હતી અને તેમણે તે સ્થળ પર જ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા. દરેક પેઢીનાં વ્યક્તિઓ ગાંધીજી વિશે વિસ્તારથી જાણવા માંગે છે. કે 30 જાન્યુઆરીને તે સાંજે એવું તો શું થયું હતું કે નાથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીઓ ચલાવી દીધી હતી. જાણીએ કેવી રીતે નાથુરામ ગોડસે બિરલા ભવન સુધી કેવી રીતે પહોંચ્યો અને તેને ત્યાં કાઈ રોકી કેમ ના શક્યું.
સરદાર પટેલ સાથે વધુ ચર્ચા કરવી હતી
30 જાન્યુઆરી 1948ની સાંજે 4 કલાકનો સમય હતો. તે દિવસે ગાંધીજીએ સરદાર પટેલને વાતચીત માટે સાંજે 4 કલાકે બોલાવ્યા હતા. પટેલ તેમની દિકરી મણિબને સાથે તે સમયે મળવા માટે પહોંચી ગયા હતા. ગાંધીજી પ્રાર્થના સભા બાદ પણ સરદાર પટેલ સાથે વાતચીત કરવા ઇચ્છતા હતા માટે તેમને ત્યાંજ રોકાવા માટે કહેવામાં આવ્યું હતું. પણ નિયતિને તે મંજૂર નહોતુ. પટેલની સાથે બેઠક બાદ પ્રાર્થના માટે જતા સમયે ગોડસેએ ગાંધીજી પર ગોળી ચલાવી દીધી.
દિલ્હીમાં હોય ત્યારે પ્રાર્થના સભામાં અચૂક જોડાતા
30 જાન્યુઆરીએ પણ રોજની જેમ બિરલા ભવનમાં સાંજે 5 વાગે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવનાર હતું. જે સભામાં ગાંધીજી જ્યારે પણ દિલ્હીમાં રહેતા તો તેમાં જોડાવાનું ચૂકતા નહી. 30 જાન્યુઆરી 1948એ પણ સાંજે 5 વાગી ચૂક્યા હતા. ગાંધીજી સરદાર પટેલની સાથે બેઠકમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક સવા 5 કલાકે ગાંધીજીની નજર ઘડિયાળ પર પડી અને તેમને યાદ આવ્યું કે પ્રાર્થના માટે સમય વીતી રહ્યો છે.
મનુએ ગોડસેને કહ્યું બાપુને જવા દો
બેઠક કરીને ગાંધીજી આભા અને મનુનાં ખભે હાથ રાખીને પ્રાર્થના સભામાં સામેલ થવા માટે મંચની તરફ આગળ વધી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની સામે નાથુરામ ગોડસે આવી ગયો. ગોડસેએ તેની સામે ગાંધીજીને જોતા જ તેમની સામે હાથ જોડીને નમસ્તે બાપુ કહ્યું. ત્યારે બાપુની સાથે ચાલી રહેલી મનુએ કહ્યું કે, ભાઈ આગળથી હટી જાઓ બાપુને જવા દો પહેલા જ ખૂબ મોડુ થઈ ગયું છે.
એક ગોળી બાપુનાં શરીરમાં ફસાઈ ગઈ
સાંજે 5.17 કલાકનો સમય હતો, પહેલા ગોડસેએ અચાનક મનુને ધક્કો મારી દીધો અને તેનાં હાથમાં છુપાવેલી નાની બેરેટા પિસ્ટલ ગાંધીજીની સામે નિશાન સાધ્યુ અને જોત જોતામાં તેણે ગાંધીજીની છાતીમાં એક પછી એક ત્રણ ગોળીઓ ધરબી દીધી. જેમાંથી બે ગોળીઓ બાપુનાં શરીરની આરપાર નીકળી ગઈ અને એક ગોળી શરીરમાં ફસાઇને રહી ગઈ અને ગાંધીજી ત્યાંજ ઢળી પડ્યાં.
બીજા આરોપી તરીકે ભાઈ ગોપાલ ગોડસેનું નામ લખાવ્યું
ગાંધીજીની હત્યા બાદ નાથુરામે તેનુ નિવેદન સ્વીકાર્યું હતું કે ગાંધીની હત્યા કેવળ તેણે જ કરી છે. નાથુરામે બાદમાં બીજા આરોપીનીમાં તેનાં નાના ભાઈ ગોપાલ ગોડસેનું નામ લખાવ્યું હતું. ગોડસેએ તેનો ગુનો કબુલ્યો હતો. શુક્રવાર સાંજે 4.50 કલાકે બિરલા ભવનનાં ગેટ પર પહોંચીને ચાર-પાંચ લોકોનાં ઝુંડમાં વચ્ચે ઘુસીને સિક્યોરિટીને ચકમો આપીને ગોડસે અંદર જવામાં સફળ રહ્યો હતો. તેણે ભીડમાં પોતાને છુપાવીને રાખ્યો હતો જેથી તેને કોઈ ઓળખી નહોતુ શક્યું,
બે જ ગોળી મારવી હતી પણ ત્રીજી વાગી ગઈ
ગોડસેએ કહ્યું હતું કે સાંજે 5.10 કલાકે તેણે ગાંધીજીને તેમનાં કક્ષમાંથી નીકળીને પ્રાર્થના સભા તરફ જતા જોયા હતા. ગાંધીજીની આસપાસ બે છોકરીઓ હતી જેમનાં ખભે હાથ રાખીને તેઓ ચાલી રહ્યાં હતા. ગાંધીજીને સામે આવતા જોઈ ગોડસેએ તેમનાં મહાન કામો માટે તેમને હાથ જોડીને નમન કર્યું હતું અને બે છોકરીઓને અલગ કરીને ગાળી ચલાવી દીધી હતી. ગોડસે બે જ ગોળી ચલાવવાનો હતો પણ ત્રીજી ગોળી પણ વાગી ગઈ અને ગાંધીજી ત્યાં જ પડી ગયા.
જમા ભીડે ગોડસેને ખૂબ માર્યો
ધરપકડ બાદ ગોડસેએ કહ્યું કે, જ્યારે મેં એકપછી એક ત્રણ ગોળીઓ ગાંધીજી પર ચલાવી દીધી ત્યારે તેમની આસપાસ ઉભા લોકો તેમનાંથી દૂર ભાગી ગયા હતા. ત્યારબાદ મેં સરેન્ડર કરી દીધુ અને બે હાથ ઉપર કરી દીધા પણ ત્યાર બાદ પણ કોઈની હિંમત મારી નજીક આવવાની નહોતી થઈ. પોલીસ પણ મને દૂર થી જોઈ રહી હતી. મેં જાતે પોલીસ-પોલીસની બુમો પાડી, આશરે 5-6 મિનિટ બાદ એક વ્યક્તિ મારી પાસે આવ્યો. ત્યારબાદ અન્ય લોકો પણ આવ્યા અને ભીડ જમા થઈ ગઈ જેમણે મને ખૂબ માર્યો.
અહિંસાનાં પુજારીની સાથે થયેલ હિંસાને દુનિયા જુએ
સાંજે 6 કલાક બાદ મહાત્મા ગાંધીની હત્યાનાં સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. બિરલા હાઉસમાં જ ગાંધીજીનાં પાર્થિવ શરીરને ઢાંકીને મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનાં સૌથી નાના દીકરા દેવદાસ પણ ત્યાં પહોચ્યા અને તેમણે બાપુનાં પાર્થિવ શરીર પરથી કપડુ હટાવ્યું અને તેમણે કહ્યું કે અહિંસાનાં પુજારીની સાથે થયેલ હિંસાને દુનિયા જુએ.
આજે પણ એફઆઈઆર સચવાઈ છે
ગાંધીજીની હત્યાની એફઆઈઆર પણ તે જ દિવસે 30 જાન્યુઆરીએ દિલ્હીનાં તુગલક રોડ ચોકીમાં દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆરની કોપી ઉર્દુમાં લખવામાં આવી હતી. જેમાં આખી ઘટના અંગે જણાવવામાં આવ્યું હતું. દિલ્હીનાં તુગલક રોડનાં રેકોર્ડ રુમમાં આજે પણ તે એફઆઈઆરનાં પન્ના સાચવીને રાખવામાં આવ્યા છે.