મનુષ્યએ પોતાનાં તન, મન અને ચિત્તની વિશુદ્ધિ વ્રતનાં ઉપવાસથી એકાદશી કરવી જોઈએ, પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું? અને એકાદશી એટલે શું? ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટ્લે કે રહેવું અર્થાત નજીક રહેવું. આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિઓમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ.
જ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી બન્યો છે. પૂનમથી અમાસ સુધીના શુક્લ અને વદનાં પંદર દિવસોમાં અગિયારમા દિવસે કરવાનું વ્રત તે એકાદશીનું વ્રત. બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દશ ઇન્દ્રિયો જેનાં વડે જીવોએ પોતાનાં જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે.
મનુષ્યોની આ પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને આપણાં અંતઃકરણની વિશુદ્ધિ કરવાનું વ્રત તે એકાદશી છે. સામાન્ય રીતે બે એકાદશી પંદર પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણી વાર એવું થાય છે કે એકાદશી કદાચિત બે વાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
ગરુડ પુરાણમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયનાં એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરૂ થતી હોય તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે. પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલા એક કલાક ૩૬ મિનિટ કરતાં ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો તે અપૂર્ણ એકાદશી કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહે છે કે જો એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો તો એકાદશી બીજા દિવસે કરવી અને ત્યાર પછીનાં ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડવો.
આ વ્રત સામાન્ય રીતે ત્રણ દિવસનાં વિધાનથી થાય છે જેમાં દશમીનાં દિવસે મનુષ્યએ એકવાર ભોજન કરવું, એકાદશીનાં દિવસે કેવળ જળ પર આધાર રાખવો અને બારશનાં દિવસે ફરી એકટાણું કરવું. એકાદશીનું વ્રત કરવાથી સુખ,શાંતિ તથા સમૃદ્ધિની સાથે પણ થાય છે. પરંતુ વિજ્ઞાન કહે છે કે પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શારીરિક આધિ વ્યાધિઓ દૂર થાય છે.
એકાદશી કરી રહેલા ભક્તજનો માટે થોડાં નિયમ બતાવેલા છે. જેમ કે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ. આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ. બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ, અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ. એકાદશીની રાત્રીએ જાગરણ કરવું. એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્યવસ્તુઓનો નિષેધ પણ કરવામાં આવ્યો છે.
એકાદશી એ વ્રત છે જેનાં દ્વારા ભક્તજનો પોતાનાં પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે એકાદશીનાં વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિ દેવીની કૃપા ઊતરે છે જેને કારણે જીવો અને જીવાત્મા પોતાનાં કર્મનાં
બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે.•