માણસ જેને ભાગ્યશાળી ગણે છે એવી વ્યક્તિ જો તમે હો તો આ લખાણ વાંચવાની તમારે જરૂર નથી, પરંતુ જો તમે સામાન્ય વ્યકિત હો અને અસામાન્ય બનવાની તમને મહેચ્છા હોય અથવા તો જીવનમાં કશુંક કરી બતાવવાની ઇચ્છા ધરાવતા હો અથવા તો સુખે જિંદગી વીતાવવા ઇચ્છતા હો અથવા તો ભાગ્યશાળી ગણાતા માણસોમાં અને બીજા સામાન્ય માણસોમાં પાયાના તફાવતો શું હોય છે એ જાણવા આતુર હો તો આ લખાણ તમારા માટે જરૂરી ખરું.
કેટલીક વાર આપણા જ ગામના કોઇ માણસને કે આપણે આપણી સાથે અભ્યાસ કરતા કોઇ સહાધ્યાયીને જીવનમાં ખૂબ આગળ વધેલો જોઇએ છીએ ત્યારે આપણને નવાઇ લાગે છે. બચપણમાં તો તે સાવ બાઘો હતો અથવા તો બીકણ હતો અથવા ગરીબ હતો, ઠોઠ હતો, એના બદલે એકાએક એવું તે શું બની ગયું કે એ આટલો આગળ વધી ગયો!
બચપણમાં ડરપોક, ઠોઠ કે સામાન્ય લાગતી વ્યક્તિઓ પુખ્ત ઉંમરે એકાએક ભારે ગજું કાઢીને તેમની સાથેની બીજી ચપળ, હોશિયાર, ચબરાક વ્યકિતઓ કરતાં ખૂબ આગળ નીકળી જાય છે. એવું કેમ બને છે, એનાં કારણોનો અભ્યાસ કેટલાક મનોવિજ્ઞાનીઓએ કર્યો છે. તેમનાં તારણો જાણવા જેવાં છે.
ભાગ્યશાળી વ્યકિતઓ હિંમતબાજ હોય છે.
અજાણી પરિસ્થિતિનો ડર માણસ માત્રને લાગે છે. માણસને નાહિંમત કરી નાખનાર કદાચ આ સૌથી મોટો ડર છે. માણસ પોતાની જાતની પરવા કર્યા વિના બીજા સાથે લડી-ઝઘડી શકે છે. અંધારા કે એકાંતમાં રહી શકે છે. યુદ્ધના મેદાનમાં ધસી જઇ શકે છે પણ અજાણી પરિસ્થિતિમાં પગ મૂકતાં તે ડરે છે. સામાન્ય માણસ અને ભાગ્યશાળી માણસમાં આ પાયાનો તફાવત છે.
ભાગ્યશાળી માણસને બીજી ૧૦-ર૦ વસ્તુનો ડર લાગતો હશે, પરંતુ અજાણી પરિસ્થિતિનો ડર તેને લાગતો નથી. અજાણી પરિસ્થિતિમાં ધસી જઇને તેમાં રસ્તો શોધવામાં તેને મજા આવે છે. જે માણસો ર૦-રપ વર્ષની ઉંમરે સારી નોકરી શોધીને, ઘરબાર વસાવીને, નિયમિત જીવન જીવીને પેન્શનર બની બુઢાપા સુધીની સુખી સફર કરતા હોય છે એમાંથી જવલ્લે જ કોઇ કરોડપતિ, ઉદ્યોગપતિ, મહાન વિજ્ઞાની, મહાન નેતા કે મહાન કલાકાર બની શકે છે.
તેઓ પોતાની પરિસ્થિતિના કોશેટામાં પુરાઇને પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. બહાર ખુલ્લામાં તેમને ડર લાગે છે. બીજી તરફ આપણને એવા માણસો જોવા મળશે, જેમાંનો કોઇ અભણ માણસ સાહસ કરીને આફ્રિકા જઇને કરોડપતિ બન્યો હશે, કાપડની ગાંસડી ખભે ઉપાડી ફેરી કરનાર કોઇક માણસ મિલમાલિક બન્યો હશે, અભ્યાસ અધૂરો છોડીને રાજકારણમાં ઝુકાવનાર મહાન નેતા બન્યો હશે.
એવી રીતે વર્તનાર વ્યકિતઓને અજાણી પરિસ્થિતિનો ડર લાગવાના બદલે તેનું આકર્ષણ થતું હોય છે. કેટલાક માણસોના જીવનનો અભ્યાસ કરતાં આપણને જોવા મળે છે કે તેમને પોતાની સાચી મંજિલ મેળવતાં પહેલાં ઘણો લાંબો સમય આથડવું પડે છે. ઘણા માણસો એક ધંધો છોડીને બીજો ધંધો કર્યા કરે છે અને એમ કરતાં અચાનક જ પોતાના માટેનો સાચો ધંધો કે સાચું કામ શોધી કાઢે છે અને સફળતા મેળવે છે.
આનો અર્થ એ નથી કે ભાગ્યશાળી બનવા માટે અભ્યાસ છોડી દેવો, સારી નોકરી કે કામ છોડી દેવું, ધંધાઓ બદલ્યા કરવા, નવી નવી પરિસ્થિતિમાં આથડ્યા કરવું, કારણ કે એવી રીતે વર્તીને ખુવાર થઇ જનારા અસંખ્ય માણસો આપણને જોવા મળે છે. ભાગ્ય કે દુર્ભાગ્ય માત્ર એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં આથડવામાં છુપાયેલું નથી, પરંતુ પરિસ્થિતિથી ડરીને સલામતી શોધવાના બદલે પરિસ્થિતિનો નીડર બનીને તાગ કાઢવામાં સદ્ભાગ્ય છુપાયેલું છે.