દેશની રાજનીતિમાં જમણેરી પરિબળ તરીકે ભાજપનો દબદબો જેમ વધતો જાય છે તેમ સંસદમાં મુસ્લિમોની હાજરી પર ધ્યાન કેદ્રિત થવાનું વધી રહ્યું છે. ભાજપને ખાળવા આ વખતે વિપક્ષોએ મુસ્લિમો પર ધ્યાન કેદ્રિત કર્યું હતું. જો કે, મહાગઠબંધનનાં અનેક દિગ્ગજો ધૂળ ચાટતા થઈ ગયા પરંતુ મહાગઠબંધનના 6 મુસ્લિમ ઉમેદવારોએ બેઠકો જીતીને થોડી-ઘણી લાજ રાખી લીધી છે.
દેશની રાજનીતિમાં જમણેરી પરિબળ તરીકે ભાજપનો દબદબો જેમ વધતો જાય છે તેમ સંસદમાં મુસ્લિમોની હાજરી પર ધ્યાન કેદ્રિત થવાનું વધી રહ્યું છે. ભાજપને ખાળવા આ વખતે વિપક્ષોએ મુસ્લિમો પર ધ્યાન કેદ્રિત કર્યું હતું. જો કે, મહાગઢ બંધનના અનેક દિગ્ગજો ધૂળ ચાટતા થઈ ગયા પરંતુ મહાગઠબંધનના 6 મુસ્લિમ ઉમેદવારોએ બેઠકો જીતીને થોડી-ઘણી લાજ રાખી લીધી છે. ત્યારે સંસદમાં 2014ની સરખાણીએ આ વખતે કેટલી રહેશે મુસ્લીમ સાંસદોની સંખ્યા જોઈએ અહીં અહેવાલમાં.
6 મુસ્લિમ ઉમેદવારોએ મહાગઠબંધનની રાખી લાજઃ
ભાજપને ખાળવા આ વખતે વિપક્ષોએ મુસ્લિમ ઉમેદવાર પર ધ્યાન કેદ્રિત કર્યું હતું. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં મહાગઠબંધનનો આધાર જ દલિત, યાદવ, જાટ અને મુસ્લિમ વોટબેન્ક હતી. પરંતુ મોદી મેજિક સામે ફરી એક વાર મહાગઠબંધનનો પ્રયાસ ધૂળ ચાટતો થઈ ગયો છે, જો કે તેમ છતાં મહાગઠબંધનનાં 6 મુસ્લિમ ઉમેદવારોએ બેઠકો જીતીને થોડી-ઘણી લાજ રાખી લીધી છે.
મહાગઠબંધનને મુખ્યત્વે દલિત, યાદવ, જાટ અને મુસ્લિમ વોટબેન્ક પર ધ્યાન કેદ્રિત કર્યું હતું પરંતુ તેમાં મુસ્લિમ સિવાયની તેમની વોટબેન્ક ભાજપ તરફ ખસી ગઈ છે. ખુદ મુલાયમ અને અખિલેશ સિવાય ડિમ્પલ યાદવ હાર્યા છે. જાટ વોટબેન્ક પર પ્રભુત્વ ધરાવતા અજીતસિંહ અને તેમના પુત્ર પણ હાર્યા છે. જ્યારે સપા-બસપાએ 10 મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા હતાં તે પૈકી 6 વિજેતા નીવડ્યાં છે. આથી એવું ચોક્કસપણે કહી શકાય કે ઉત્તરપ્રદેશનાં મુસ્લિમોએ જ મહાગઠબંધનની થોડી-ઘણી લાજ રાખી છે.
1980માં સંસદમાં સૌથી વધુ હતું મુસ્લિમ સાંસદોનું પ્રમાણઃ
આઝાદી પછી ધર્મનિરપેક્ષતાની હવામાં મુસ્લિમ સાંસદોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું. દેશભરમાં પ્રભાવ ધરાવનાર કોંગ્રેસ જનસંખ્યાના પ્રમાણમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં કોઈ છોછ રાખતી ન હતી જેના કારણે 1952ની પહેલી લોકસભાની કુલ 489 બેઠકોમાં 11 સાંસદો મુસ્લિમ સમુદાયમાંથી આવતા હતા...એ પછી આ પ્રમાણ ધીમે ધીમે વધીને 25-30ની સરેરાશ સુધી પહોંચ્યું હતું.
સૌથી વધુ મુસ્લિમ સાંસદો 1980ની લોકસભામાં હતાં. ત્યારે કુલ 49 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા, જેમાં નેશનલ કોન્ફરન્સ અને ડાબેરી પક્ષોને બાદ કરતાં મોટાભાગનાં કોંગ્રેસનાં હતાં. દેશમાં મુસ્લિમોની વસ્તી આશરે 19.5 કરોડ જેટલી છે. મુસ્લિમ વસ્તીનાં વૃદ્ધિદરની સરખામણીએ સંસદમાં મુસ્લિમોનું પ્રમાણ સતત ઘટતું જાય છે. 1980માં 49 મુસ્લિમ સાંસદો હતા એ પછી સતત ઘટાડો થતો રહ્યો છે. 2004માં 34, 2009માં 30, 2014માં 23 મુસ્લિમસાંસદો સંસદ સુધી પહોંચ્યા હતા. આ વખતે કુલ 27 મુસ્લિમો જીત્યા છે.
તુષ્ટિકરણની રાજનીતિ હવે અસ્તાચળ તરફઃ
ભાજપના દબદબાના પગલે કોંગ્રેસ સહિતના પક્ષોની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ તદ્દન ધરાશાયી થઈ રહી જણાય છે. દેશભરમાં મુસ્લિમોની જનસંખ્યા જે દરથી વધતી જાય છે એ દરથી તેમનું રાજકીય પ્રતિનિધિત્વ વધતું જણાતું નથી. દેશભરમાં અત્યારે ભાજપની બોલબાલા છે. ભાજપ ભાગ્યે જ મુસ્લિમ ઉમેદવારને તક આપે છે. 2014 પછી 2019માં પણ ભાજપે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતાં. એમ છતાં બંને ચૂંટણીઓમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી.
ભાજપનાં આક્રમક હિન્દુત્વને મળી રહેલી સફળતાનાં પગલે અન્ય પક્ષો પણ સોફ્ટ હિન્દુત્વની નીતિ તરફ વળી રહ્યાં છે. જેને લીધે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટતું જાય છે. આ વખતે સંસદમાં 2014ની સરખામણીએ મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 27 થઈ છે. જો કે તેમ છતાં દેશમાં મુસ્લીમ વસ્તીની સરખાણીમાં તેમનું આ પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. કેમ કે, દેશમાં 15 ટકા વસ્તીનાં હિસાબે સંસદમાં 82 મુસ્લિમ પ્રતિનિધિ હોવા જોઈએ. જેની સામે પ્રતિનિધિત્વનું આ પ્રમાણ ખૂબ ઓછું છે.
દેશમાં મુસ્લિમોની વસ્તી આશરે 15 ટકા છે એ જોતાં લોકસભામાં 82 મુસ્લિમો હોવા જોઈએ. પરંતુ આ પ્રમાણ આઝાદીથી આજ સુધી કદી જળવાયું નથી. મુસ્લિમ તુષ્ટિકરણની વ્યાપક ફરિયાદો છતાં આ પણ એક નોંધપાત્ર વાસ્તવિકતા છે.