ગુજરાતના મહાનગર અમદાવાદમાં અચાનક 60 કલાકનો કર્ફ્યુ લાગુ કરી દેતા લોકોમાં મૂંઝવણ અને ભયનો માહોલ ફેલાયો છે.
છેલ્લા થોડા સમયથી આમ તો ઘણા લોકોના વૉટ્સએપમાં ફરીથી લોકડાઉન લાગુ થઇ શકે છે તેવા મેસેજ તો ફરી રહ્યા હતા પણ ગુજરાત સરકારના મંત્રીઓ અને અમદાવાદના કોવિડ 19 ઇન્ચાર્જ અધિકારી ડો રાજીવ ગુપ્તા સહિતના લોકોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ એક અફવા છે અને ગુજરાતમાં ફરીથી લોકડાઉન જાહેર નહીં થાય.
જો કે સૌના આશ્ચર્ય વચ્ચે અચાનક સરકારે અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી અને ગણતરીના કલાકોમાં તો શહેરમાં 60 કલાકના કડક કર્ફ્યુની જાહેરાત કરી દીધી જેમાં અતિ અગત્યની સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું.
Corona situation was reviewed late night and it has been decided that “complete curfew”shall be imposed from tomorrow night 9:00 pm till Monday morning 6:00 am in city of Ahmedabad. During this period, only shops selling milk and medicines shall be permitted to remain open
કર્ફ્યુની જાહેરાત થવાની સાથે જ આત્મવિશ્વાસથી શાળા કોલેજો ફરીથી શરુ કરવાની વાતો કરતી ગુજરાત સરકાર ઠંડી પડી ગઈ હતી અને આ 23 નવેમ્બરથી શાળા કોલેજો ફરી શરુ કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો હતો.
અમદાવાદમાં દિવાળી પહેલા કોરોનાની શું સ્થિતિ હતી?
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં દિવાળીના 10 દિવસ પહેલા સુધીના સમયમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હતી. આ દરમિયાન બન્યું એવું કે AMCએ તેમનું ધ્યાન કોરોનાની સાથે સાથે દબાણ હટાવવા ઉપર પણ કેન્દ્રિત કર્યું જેમાં શહેરના ઘણા ગેરકાયદેસર બાંધકામોને તોડવામાં આવ્યા અને રસ્તાઓનું રિસરફેસિંગ કરવામાં આવ્યું.
આ સાથે જુના શહેર વિસ્તારમાં દિવાળીની ખરીદીઓ માટે બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું જેમાં માસ્ક, સામાજિક અંતર જેવા નિયમોનો છડેચોક ભંગ થયો. નિષ્ણાતો માને છે કે આ કારણોને લીધે શહેરમાં કોરોના વકર્યો છે. જો કે તંત્ર અને સરકારે પણ તહેવાર હોવાને કારણે પ્રજાને છૂટ આપી હતી.
આ સમયમાં ટેસ્ટિંગમાં થયો જબરજસ્ત ઘટાડો
દિવાળીના સમયમાં AMCના કોરોના ટેસ્ટિંગ બૂથની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. આ સમયે શહેરના કુલ 125 ટેસ્ટિંગ બૂથમાંથી ફક્ત 50 બૂથ સક્રિય હતા. આ કારણે શહેરના દૈનિક ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો થયો. 15,000ની આસપાસ થતા દૈનિક ટેસ્ટ સરેરાશ 7,000 થઇ ગયા.
દિવાળી દરમિયાન શું સ્થિતિ હતી?
આ ટેસ્ટિંગની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા 12 નવેમ્બરની રીવ્યુ મિટિંગમાં અમદાવાદના કોવિડ 19 ઇન્ચાર્જ અધિકારી ડો રાજીવ ગુપ્તાના વડપણ હેઠળની બેઠકમાં શહેરના AMC કમિશનર, ડેપ્યુટી કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ આગળના એક્શનપ્લાનની ચર્ચા કરી.
14 નવેમ્બર સુધી શહેરમાં કોરોનાના કેસ કાબૂમાં હતા. તેની સંખ્યા દૈનિક 160-180 રહેતી હતી. 12 નવેમ્બરે તો AMCએ ફક્ત 4 વિસ્તારોને કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. જો કે અચાનક આ આંકડો 200ને પર કરી ગયો. 19 નવેમ્બરે 230 નવા કેસ આવ્યા જયારે આજે તો નવા 305 કેસ નવા આવતા કોરોનાની ગંભીર સ્થિતિ સામે આવી હતી.
સરકારની શું ભૂમિકા રહી?
બેઠક બોલાવ્યા બાદ શહેરમાં ટેસ્ટિંગ બૂથની સંખ્યા રાતોરાત બમણી કરવામાં આવી. શહેરની 5 સરકારી કોરોના હોસ્પિટલમાં 2800 બેડની સંખ્યા વધારીને 3250 કરી દેવામાં આવી. આ સાથે શહેરમાં સરકારી અને ખાનગી એમ મળીને કુલ સંખ્યા 8800 થઇ છે. આ ઉપરાંત ગુરુવારે 300 વધુ ડોકટરો અને 300 વધુ મેડિકલ વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી માટે લગાવવામાં આવ્યા છે. આ સાથે 108 એમ્બ્યુલન્સની સંખ્યા 20માંથી વધારીને 40 કરી દેવાઈ છે.
શું વાસ્તવિક સ્થિતિ ચોપડા ઉપર દેખાય છે તેના કરતા વધુ ગંભીર છે?
આ પ્રકારની દોડધામ લોકોમાં ચર્ચા જાગી છે કે કોરોનાના કેસમાં ચોપડા ઉપર તો એટલો મોટો વધારો દેખાયો નથી પણ સરકાર અને તંત્ર જે રીતે હિલચાલ કરે છે તે રીતે કદાચ કોરોનાની સ્થિતિ શહેરમાં કાગળ ઉપર જણાય છે તેના કરતા વધુ વિકટ હોય તેવી શક્યતા છે.