દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની વધતી સંખ્યાની વચ્ચે ઘણા મીડિયા રિપોર્ટ્સ આ મહામારીનો ત્રીજો સ્ટેજ આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે સરકાર તેનો ઇન્કાર કરી રહી છે. સરકારનો દાવો છે કે ત્રીજો સ્ટેજ ન આવે તે માટે પ્રયાસો થઇ રહ્યા છે. વિજ્ઞાનીએ જણાવ્યું કે ૩૦ ટકા કેસમાં સંક્રમણનો સોર્સ જાણ ન થાય ત્યારે મહામારી ત્રીજા સ્ટેજની માનવામાં આવે છે.
વિજ્ઞાની કહે છે કે, જ્યારે ૩૦ ટકા કેસમાં સંક્રમણનો સ્રોત જાણવા ન મળે ત્યારે આવે છે ત્રીજો તબક્કો
પહેલાં સ્ટેજમાં વિદેશથી આવેલા લોકો વાઇરસ લાવે છે. અહીં વાઇરસ પહેલેથી હોતો નથી, પરંતુ દુનિયાના મોટા ભાગના દેશો માટે કોરોના વાઇરસ આપનાર દેશ ચીન રહ્યો. ભારત માટે એવું માનવામાં આવે છે કે અહીં સૌથી પહેલાં વાઇરસ લાવનાર ઇટલીથી આવનાર કેટલાક પર્યટકો હતા. જે બાદમાં કોવિડ-૧૯ પોઝિટિવ મળી આવ્યા.
બીજા તબક્કામાં વાઇરસ સ્થાનિક સ્તર પર ફેલાય છે. જે લોકો દેશની બહાર ગયા નથી અને ટ્રાવેલ હિસ્ટ્રીવાળા સંક્રમિત લોકોના સંપર્કમાં આવે છે તેમને સંક્રમણ થાય છે તેને લોકલ ટ્રાન્સમિશન કહેવાય છે. અત્યાર સુધી આપણે માનીએ છીએ કે આપણે બીજા તબક્કામાં છીએ.
ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ આવે છે. જ્યારે મોટી સંખ્યામાં વાઇરસના કન્ફર્મ કેસ અંગે જાણ ન થતાં તે ફેલાય છે. વાઇરસ ક્યાંથી આવ્યો છે અને શેમાંથી ફેલાઇ રહ્યો છે તેની જાણ થતી નથી અને તે મોટી સંખ્યામાં લોકોમાં ફેલાય છે.
ચોથો તબક્કો ત્યારે આવે છે, જ્યારે દેશ માટે બીમારી મહામારી બની જાય છે. દરેક મહામારીમાં એક ચોથો સ્ટેજ હોય છે. ચીનમાં પણ આમ જ થયું હતું. મોટી સંખ્યામાં અને ઝડપથી સંક્રમિત થવાના કારણે લોકો ફટાફટ મરવા લાગે છે. આ બીમારીનો સ્પષ્ટ અંત પણ જોઇ શકાતો નથી.