ધો. 12 સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે વાલીઓને એ ચિંતા સતાવી રહી છે કે ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ મસમોટી ફી ની રકમ લાવવી ક્યાંથી.
જયારે કોઈ વિદ્યાર્થી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં પાસ થાય અને એ વિદ્યાર્થી એવી ઈચ્છા ધરાવે કે મારે મેડિકલ લાઈનમાં પ્રવેશ મેળવવો છે ત્યારે તેના વાલી ખુશ તો થશે જ કે મારુ સંતાન ભવિષ્યમાં ડૉકટર બનીને બહાર નિકળશે પણ સાથે-સાથે મનમાં એક મીઠી મુંઝવણ પણ સતાવતી હશે કે મેડિકલમાં પ્રવેશ મેળવ્યા બાદ ખાનગી કોલેજમાં જો પ્રવેશ મળ્યો હશે તો મસમોટી રકમની ફી કયાંથી લાવવી. આ મીઠી ચિંતા એક સામાન્ય કે મધ્યમવર્ગના વાલીની તો હશે જ તેમા શંકા નથી. હવે અમે તમને જરા સિક્કાની બીજી બાજુ કહીએ. સિક્કાની બીજી બાજુ એ છે કે રાજયમાં યુનિવર્સિટીની વધતી સંખ્યાની સાથે ખાનગી યુનિવર્સિટીની સંખ્યા પણ વધી. અને હવે અગાઉ જે સ્તરની ફી મેડિકલ કે ઈજનેરી શાખામાં પ્રવેશ વખતે હતી તે સ્તરની ફી આર્ટસ, કોમર્સ કે BBA જેવા બેચલર ડિગ્રી કોર્સ માટે લેવામાં આવી રહી છે. એટલે 10 લાખ કે તેથી વધુ રૂપિયા ભરો અને ચાર વર્ષ બાદ આર્ટસ કે કોમર્સ ગ્રેજ્યુએટ થઈને બહાર નિકળો. સવાલ એ છે કે શાળાઓમાં તો ફી નિયમનના કાયદાઓ છે ભલે તેની અમલવારી કેટલી એ પછીનો સવાલ છે. આવા સમયે ખાનગી યુનિવર્સિટી જે લાખોની ફી લે છે તેને રોઈ રોકનાર ટોકનાર છે કે કેમ. ચાર વર્ષના આર્ટસના કોર્સ માટે સવા આઠ લાખ જેટલી મોટી રકમ આપવી તે શૈક્ષણિક, વ્યવહારિક દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે.
ખાનગી યુનિવર્સિટીઓની તોતિંગ ફી ચર્ચાનો મુદ્દો
ખાનગી યુનિવર્સિટી લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે
આર્ટસ, કોમર્સ જેવા વિષયમાં પણ લાખો રૂપિયાની ફી
ખાનગી યુનિવર્સિટીઓની તોતિંગ ફી ચર્ચાનો મુદ્દો છે. ખાનગી યુનિવર્સિટી લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે. આર્ટસ, કોમર્સ જેવા વિષયમાં પણ લાખો રૂપિયાની ફી ઉઘરાવી રહી છે. કેટલાક કિસ્સામાં તબીબી શિક્ષણ કરતા આર્ટસ, કોમર્સની ફી વધુ છે. ખાનગી યુનિવર્સિટીઓ ઉપર ફી નિયમન જરૂરી છે.
ખાનગી યુનિવર્સિટીનો હેતુ
2021માં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર થયું. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચશિક્ષણ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિને અનુરૂપ શિક્ષણ મળે. ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યની યુનિવર્સિટીઓની પૂરક બને. ગુજરાતના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર ઉચ્ચ શિક્ષણ મેળવવા ન જવું પડે તેમજ ખાનગી યુનિવર્સિટીઓથી સ્પર્ધાત્મક શિક્ષણનું વાતાવરણ બને. ત્યારે ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશની ટકાવારી 22.5% જેટલી છે. નવી શિક્ષણ નીતિ મુજબ કોલેજ પ્રવેશનો રેશિયો 50% સુધી લઈ જવા પ્રયાસ કરાયો છે.