માહિતી અધિકાર વિભાગ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા પ્રકશિત થયેલી એક માહિતી અનુસાર ટ્રેનો અને યાર્ડમાં મોટી સંખ્યાના વસતા ઉંદરોના ત્રાસથી મુક્ત થવા પશ્ચિમ રેલવેએ છેલ્લા 3 વર્ષમાં ઉંદર દીઠ તોતિંગ 2785 રૂપિયા અને કુલ અધધ 1.52 કરોડ ખંખેર્યા છે.
પશ્ચિમ રેલવેના સત્તાધીશોએ અધધ 1.52 કરોડ રૂપિયા ઉંદરોના આતંકને કાબુમાં લેવા ખર્ચ કર્યા છે જેમાંથી ફક્ત 5457 ઉંદરો પકડાયા છે. જો કે પશ્ચિમ રેલવેએ દાવો કર્યો હતો કે આ આંકડા સિવાય મોટી સંખ્યામાં ઉંદરોના મોત થયા છે. મોટી સંખ્યામાં ઉંદરો પોતાના દરમાં જ મરી ગયા હોવાની સંભાવના છે.
પશ્ચિમ રેલવેના એક અધિકારીના કહેવા મુજબ ઉંદરો સામે તમામ ટ્રેનના ડબ્બાઓ, પીટ લાઇન્સ, કોચિંગ ડિપોટ્સ અને યાર્ડ્સમાં પેસ્ટ કંટ્રોલ કરવામાં આવી છે. આ માટે રેલવે વિશેષ એજન્સી રોકે છે. આ માટે ચામાચીડિયાં, ગુંદર લગાવેલા પાટિયા, કેમિકલ્સ, ઉંદર પકડવાનું છટકું વગેરે અલગ અલગ ટેક્નિક્સ વપરાય છે. ઉંદરો મારવા ઉપરાંત તેઓ જ્યાં પણ ઉંદરોના દર મળે છે તે દરને કાદવ અથવા પથ્થરોથી ભરી દે છે.
આ ઉપરાંત દરેક ટ્રેનને નિયમિત તૈયાર કરાયેલા શિડ્યુલ પ્રમાણે સાફ કરવામાં આવે છે. ઉંદર મારવા માટે વપરાતા કેમિકલ્સને થોડા થોડા સમયે બદલવામાં આવે છે. પેન્ટ્રી કારને સાફ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવે છે અને તેને ઘસીને સાફ કરીને, કેમિકલ નાખીને 48 કલાક લોક કરીને રહેવા દેવામાં આવે છે. આવી જ પ્રક્રિયાઓ ટ્રેનના યાર્ડમાં પણ કરવામાં આવે છે.
પેસ્ટ કંટ્રોલનું નિયંત્રણ કરતા એક અધિકારીના મતે આ પ્રકારની ફરિયાદોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઉંદરો વડે બોગી, સિગ્નલ અને મુસાફરોના સામાન ઉપર થતા નુકશાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આ પ્રક્રિયાઓ વડે ફરિયાદોની સંખ્યા 70% ઘટી છે.
પશ્ચિમ રેલવેના બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ઉંદરને પકડવાના સરેરાશ ખર્ચને ગણવો એ સાચી પ્રક્રિયા નથી, કેટલા ઉંદર મર્યા એ મહત્વનું છે. ઉંદર મરવા ઉપરાંત આ પ્રોસેસથી સ્વચ્છતા પણ વધી છે.