પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે બંગાળ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે.
TMC(તૃણમૂલ કોંગ્રેસ)ના કેટલાક બળવાખોર ધારાસભ્ય અને નેતા ભાજપમાં જોડાયા છે. આ નેતાઓએ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પાર્ટી જોઇન કરી છે.
જોકે, ટીએમસીના પૂર્વ નેતા રાજીવ બેનર્જી, ધારાસભ્ય વૈશાલી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રૂદ્રનીલ ઘોષ અને રથિન ચક્રવર્તીએ અમિત શાહ સાથે તેમના ઘરે મુલાકાત કરી. ત્યારબાદ આ તમામ ભાજપમાં સામેલ થઇ ગયા.
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, મને આશા છે કે, આ તમામ મળીને સૌનાર બાંગ્લા માટે ભાજપની લડાઈને વધુ મજબૂત કરશે. ટીએમસી નેતાઓની અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન ભાજપ નેતા મુકુલ રૉય અને બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય પણ હાજર રહ્યા.
Former TMC leaders Mr. Rajib Banerjee, Ms. Baishali Dalmiya, Mr. Prabir Ghoshal, Mr. Rathin Chakraborti and Mr. Rudranil Ghosh joined BJP today in New Delhi. I am sure their induction will further strengthen BJP’s fight for Sonar Bangla. pic.twitter.com/twXrHXWCbY
જણાવી દઇએ કે, રાજીવ બેનર્જીએ હાલમાં જ મમતા સરકારમાં મંત્રી પદ છોડ્યું હતું. ત્યારબાદ તેમણે સ્પીકર સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું આપી દીધું. ત્યારે છેલ્લા દિવસોમાં જ વૈશાલી ડાલમિયાએ ટીએમસીને પાર્ટી વિરોધી ગતિવિધિઓને લઇને બહાર કરી દીધા હતા. પ્રબીર ઘોષાલ પણ ટીએમસીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા.
નદિયા જિલ્લાના રાણાઘાટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય રહેલા ટીએમસીના બળવાખોર નેતા પાર્થસારથી ચટ્ટોપાધ્યાયના પણ ભાજપમાં સામેલ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા શુભેંદુ અધિકારી જેવા કદ્દાવર નેતા મમતા બેનર્જીનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. આ સિવાય બે અન્ય મિહિર ગોસ્વામી અને અરિંદમ ભટ્ટાચાર્યએ પણ ટીએમસીથી અલગ થઇને ભગવો ધારણ કરી લીધો હતો. તેવામાં મમતા માટે પોતાના ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ પોતાની પાર્ટીમાં જ સંતુષ્ટ કરવા ખુબજ જરૂરી થઇ ગયું છે.